થોડાં વરસો પર વાંચેલો એક પ્રસંગ યાદ આવ્યો. જાપાન દેશના ઘરોની દીવાલો હલકાંપોચાં લાકડાં તથા અમુક પ્રકારનાં પૂંઠાથી બનાવાય છે. એ દીવાલો વચ્ચે પોલાણ રહે છે. એક ઘરની દીવાલો જૂની થવાથી નવા બાંધકામ માટે તોડવામાં આવી.
ત્યારે અચરજ સાથે જોવા મળ્યું કે એક દીવાલના પોલાણમાં અંદરના ભાગે એક ગરોળી ચીટકી રહેલી હતી. તે પાંચ વર્ષ પહેલાં આ દીવાલ બની ત્યારે ત્યાં હતી. આઘીપાછી થઈ શકતી ન હતી. તો પણ તે જીવી રહી હતી. ઘરના માલિકને જિજ્ઞાાસા થઈ કે પાંચ વર્ષ સુધી તે કશું ખાધાપીધા વિના કેવી રીતે રહી શકી? તેનું રહસ્ય જાણવા તપાસ કરી તો બીજી એક ગરોળી નયમિત રીતે તેની મુલાકાતે આવતી હતી અને એ ગરોળીએ પકડેલી જીવાત કે અન્ય ખોરાક પેલી ગરોળીના મુખમાં મુકી ખવડાવતી હતી. તેનો આ સેવાયજ્ઞા નિત્યક્રમે ચાલી રહ્યો હતો. તેથી તે જીવી રહી હતી.
બનેલું એવું કે આ દીવાલ બનતી હતી ત્યારે તેમાં મારવામાં આવેલી ખીલી આ ગરોળીની પૂંછડીમાં થઈને ઠોકાઈ ગઈ હતી. તેથી તે ત્યાં જડાઈ ગઈ હતી. તેના સહારે તેની સાથી ગરોળી પાંચ વર્ષ સુધી વિદ્યમાન રહી. કેટલીકવાર માણસો બીજાને ખીલા લગાવીને ચોંટાડી દેવા તલપાપડ થતા હોય એવાં દ્રશ્યો જોવા મળે છે. તેનાથી વિપરીત આ દ્રશ્ય છે. આ કિસ્સો માનવ માનવ વચ્ચે હૂંફ, સેવા અને સુમેળ સ્થાપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી


