Get The App

જપ અને તપનો મહિમા .

Updated: Sep 28th, 2022

GS TEAM


Google News
Google News
જપ અને તપનો મહિમા                                    . 1 - image


- તપ કરનાર સિદ્ધિને વરે છે. તપસ્વી ધાર્યુ કરી શકે છે, કે કરાવી શકે છે. ભોળાનાથ શિવજી સદા તપ કે ધ્યાનમાં મગ્ન રહે છે. શિવજીના આરાધ્ય શ્રી રામ અને  કૃષ્ણના આરાધ્ય શિવ સ્વયં છે.

જપ : આપણે આપણા ઇષ્ટદેવની આરાધના કે ઉપાસના કરીએ છીએ ત્યારે હંમેશાં મંત્રનો જપ કરીએ છીએ. જપ સાધનાનો જ એક પ્રકાર છે. મંત્ર શક્તિનો મહિમા અનંત છે. મંત્ર મોટેથી બોલી શકાય છે. મંત્ર જપતી વખતે ચિત્ત સ્થિર રહેવું જોઈએ. મંત્રના જાપ ચાલતા હોય ત્યારે વિચારો દોડે તો વિઘ્ન આવે છે. મંત્રની શક્તિ અમોધ શસ્ત્ર જેવી છે. મંત્ર શક્તિનો પ્રભાવ પણ અનોખો હોય છે.

ફોટા કે મૂર્તિ સામે કે દીપક પ્રગટાવીને મંત્રના જપ કરી શકાય છે. મંત્ર કરવા માટે માળાપણ ઉપયોગમાં લઈ શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે. યજ્ઞાનાં જપયજ્ઞાોસ્મિ એટલે કે યજ્ઞામાં જપ યજ્ઞા હું છું. ઘોર કળીયુગમાં જપ એ શ્રેષ્ઠ સરળ અને સહેલો ઉપાય છે. તેમાં ખર્ચ પણ થતો નથી. જપ કરતી વખતે વારંવાર એક ને એક મંત્ર બોલવાનો હોય છે. સ્વામી વિવેકાનંદને કહેલું કે જપ દ્વારા અનંત શક્તિ સુધી પહોંચી શકાય છે. જપ દ્વારા ધ્યાન પણ થઈ જાય છે જેને લીધે તણાવ પણ દુર થાય છે અને આરોગ્યને ફાયદો થાય છે. સતયુગ, ત્રેતાયુગ અને દ્રાપરયુગમાં પુજા, યજ્ઞા અને યોગનો મહિમા હતો. કળિયુગમાં જપ શ્રેષ્ઠ છે.

તપ : જપ જેટલો જ મહિમા તપનો પણ છે. જપ અને તપ બન્નેથી સિદ્ધિ મળે છે. તપ કરતી વખતે શરીરને કષ્ટ આપવું પડે છે. ભક્ત ધ્રુવે એકપગે ઉભા રહીને તપ કરેલું. વાલ્મીકી તપ કરતાં કરતાં રાફડા સમાન બની ગયેલા. તેમની માત્ર આંખો જ દેખાતી હતી. વાલ્મીકીને જાગૃત કરવા તેમની આંખમાં શસ્ત્ર નાખવા પ્રયત્ન થયેલા ત્યારે તેઓ સખ્ત ગુસ્સામાં આવી ગયેલા. તપ બેસીને જંગલમાં કે પર્વત પર થઈ શકે છે. એકાસને પદૃમાસનમાં બેસીને પણ તપ કરી શકાય છે.

અત્યારના સમયમાં સંસારી લોકો પણ એક જાતનું તપ જ કરે છે. દૃષ્ટાંત તરીકે જોઈએ તો સ્વજનો, પરિવારના સભ્યો, સાથે કામ કરતા કર્મચારીઓ, પાડોશીઓનાં અપમાન કે ગાળો સહન કરવી અને જતુ કરવુ તે પણ તપ જ છે. તપ કરનાર હંમેશા સહન કરે છે અને જતુ પણ કરે છે. વિશાળ દિલ રાખીને માફ પણ કરે છે.

જે લોકો તપસ્વી છે તે હંમેશાં વેલા, પાંદડા, ફળો કે જળ પીને તપ કરતા હતા. તેઓ કદી ગુસ્સો કરતા નહીં. ઇંદ્રીયો પર સંપુર્ણ કાબુ ધરાવતા. તપમાંથી ચલિત થતા નહીં. જળ કે વાયુથી જીવન ટકાવ્યાના દાખલાઓ પણ છે.

તપનું ઉલ્ટું કરીએ તો પત થાય છે. પતનો અર્થ આબરૂ થાય છે. મેરી પત રાખો ગિરધારી એક ગીત પણ હતું. ગિરધારી તપ કરનારની પત હંમેશાં રાખે જ છે.

તપ કરનાર હંમેશા પ્રભુના ધ્યાનમાં લીન રહે છે. એકાગ્ર ચિત્તે ધ્યાનમાં મગ્ન રહે છે. અતિશય આકરાં તપ કરનાર પાર્વતીજી પર અંતે શિવ પ્રસન્ન થયેલા. તપ કરનાર હંમેશા તારક બને છે તપસ્વીના આશીર્વાદ અવશ્ય ફળે છે. તપ કરવાથી આત્માનો ઉદ્ધાર થાય છે.

ખ્રિસ્તી સંપ્રદાયમાં ભગવાન ઇસુ ખ્રિસ્તને જીવીત વધસ્તંભે ચડાવેલા અને હાથપગમાં ખીલા ઠોકેલા ત્યારે તેમણે જે ઘા સહન કર્યા હતા તે એક જાતનું આકરૃં તપ જ હતું. વધસ્તંભે ઇસુ ચઢેલા ત્યાર બાદના રવિવારે (ઇસ્ટર સન ડે ) તેઓ ભક્તોને સદેહે જીવીત દેખાયેલા.

તપ કરનાર સિદ્ધિને વરે છે. તપસ્વી ધાર્યુ કરી શકે છે, કે કરાવી શકે છે. ભોળાનાથ શિવજી સદા તપ કે ધ્યાનમાં મગ્ન રહે છે. શિવજીના આરાધ્ય શ્રી રામ અને  કૃષ્ણના આરાધ્ય શિવ સ્વયં છે.

તપ કરનારને પોતાનાં શરીરનું ભાન રહેતું નથી. તપસ્વીના ભાલમાં અનોખું તેજ હોય છે. તપસ્વીની આભા જ અનોખી હોય છે. ભગીરથે ૧૦૦૦ વર્ષોનું તપ કરીને સ્વર્ગમાંથી ગંગાજીને ધરતી પર ઉતારેલાં. વાલ્મીકી યુવાનીમાં લુંટારા હતા. નારદજીના ઉપદેશથી સુધરીને તપ કરવા લાગ્યા. શ્રી રામ અને સીતાજીને પોતાનાં આશ્રમમાં વાલ્મીકીજી લાવ્યા હતા. અને આશ્રય આપ્યો હતો.

આમ તપનો મહિમા અનોખો અનંત છે. જપ અને તપ થકી જીવન ધન્ય બનાવી શકાય છે.

- ભરત અંજારિયા

Tags :