પાંચ તત્વોનો બનેલો આપણો દેહ જ્યારે વિષયાભિમુખ વૃત્તિવાળો થાય ત્યારે રામાયણમાં ગોદાવરી નદીના તટ ઉપર આવેલી પંચવટીનું સર્જન થાય છે.
રામાયણના રચયિતા મહાકવિ વાલ્મિકી આર્ષદ્રષ્ટા છે. તેમણે વનમાં, ગુફાઓમાં, ગિરિકંદરાઓમાં એકાંતમાં બેસીને વગડામાં મળતાં બોર જેવાં ફળ ખાઈને, નદીનું જળ પીને જે ચિંતન કર્યું છે તેના ફળ સ્વરૂપે રામાયણ ગ્રંથની રચના કરી છે. રામાયણની પ્રત્યેક ઘટના અને દરેક પાત્ર ઋષિએ અનુભવેલા સંસારની ઘટનાઓનું ચિત્રણ છે. આપણું જ પ્રતિબિંબ આવાં પાત્રો દ્વારા તેમણે સફળતાપૂર્વક રજૂ કર્યું છે.
પાંચ તત્વોનો વિષયાભિમુખ વિૃતિવાળો આ દેહ એ જ ગોદાવરીના તટ પર આવેલી પંચવટી છે. તેમાં રામ (આપણું આત્મ સ્વરૂપ), સીતાજી (આપણી આત્મશાંતિ અને આપણું મન (લખમન), બહિર્મુખના અધ્યાયથી દેખાતું આ માયાનું રૂપ એ જ મારીચ.
મૃગ મરીચીકા - ઝાંઝવાનું જળ. જે હોય નહીં પણ દેખાય. ભાસ થાય, અજ્ઞાનથી સત્ય થઈને દેખાતો આ સંસાર સુવર્ણમૃગના રૂપમાં ભમતો મારીચ છે. જે ક્યારેક સત્તાના રૂપમાં દેખાય. ક્યારેક ભોગના રૂપમાં, ક્યારેક ધન-સંપત્તિમાં મને શાંતિ મળશે તેવો ભાસ થવાથી તેની પાછળ જીવનભર ભટકતા રહેલા આપણે. છેવટે આપણા હાથમાં કશું જ આવતું નથી. માયાનું મૃગ ક્યારેક પાસે આવતું લાગે, ક્યારેક દૂર જતું ભાસે છે.
કોઈક રામ (જ્ઞાની માણસ) વૈરાગ્ય અને જ્ઞાનનો આશરો લઈને તે મારીચને મારી શકે છે. તે વખતે આપણું મન રામ હશે કે લખમન હશે છતાં શાંતિ સ્વરૂપા સીતાનું હરણ થઈ ગયું હશે. એટલે કે રાવણરૂપી દુષ્વૃત્તિઓ આપણી શાંતિને હરી જશે.
ભગવાન શ્રી રામની જેમ પ્રત્યેક જીવ શાંતિ સ્વરૂપા સીતાને વિકારી વૃત્તિઓની માયા જાળમાંથી છોડાવીને અખંડ શાંતિ મેળવવા મથ્યા કરે છે. આત્મશાંતિને શોધીને છોડાવીને તે સરયૂનો કાંઠો શોધી લેવા માટેની કથા એટલે રામાયણ.
કોઈ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મજ્ઞાની સંતના સાન્નિધ્યમાં બેસીને રામાયણનો અભ્યાસ કરીએ. એક એક ઘટનાનો અને એક એક પાત્રનો તત્વાર્થ સમજીને જીવન સાધના કરતા રહીએ.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


