Get The App

હૃદય અને બુધ્ધિનું યુગલ ગીત એટલે : જિંદગી

Updated: Sep 22nd, 2021

GS TEAM

Google News
Google News
હૃદય અને બુધ્ધિનું યુગલ ગીત એટલે : જિંદગી 1 - image


'જ નમ જનમ કા સાથ હૈ, તુમ્હારા હમારા. એક તેરા સાથ હમકો દો જર્હાસે પ્યારા હૈ, તુ  હૈ તો હર સહારા હૈ. રફી-લતાએ ગાયેલા આવા સેંકડો ગીતો કિશોર-લતા અને મુકેશ લતાએ પણ ગાયેલા છે. જે સાંભળતાં વેત આપણામાંથી હાલની ઉંમર અને પરિસ્થિતિ બધુ જ ગાયબ થઈ જાય છે. મા ભલે દરજી કામ કરતી હોય કે બાપ ભલે મોચી હોય પણ જ્યારે.. ઓ મેરે, ઓ મેરે સનમ એક જીસ્મ મગર એક જાન હૈ હમ, એક દિલકે દો અરમાન હૈ હમ. કે પછી. તેરે ચહેરેસે નજર નહીં હટતી, નજારે હમ ક્યા દેખે જેવા ગીતો સાંભળે એટલે એ બંનેનું આખુ ભાવ-જગત જ બદલાઈ જાય છે. રૂપ-રંગ, અભણ-શિક્ષિત બધું જ ખરી પડે છે.

શબ્દો, સંગીત અને સુરીલાકંઠમાં આકંઠ ડૂબી જવાય છે. સંગીતમાં કેટલો જાદુ છે તે આનાથી સાબિત થાય છે. સુર-તાલ-લયનો ત્રિવેણી સંગમ જીવનને સંગમતીર્થ બનાવી દે છે. પણ જ્યારે સુર-તાલ અને લય ખોરવાય છે ત્યારે બેસુરું થઈ જાય છે. પછી એ સંગીત કે ગીત, ગીત કે સંગીત નથી રહેતું. ઘોંઘાટ બની જાય છે. કંટાળો આવે તેવો બોરીંગ લાગે. 

આ મનખો પણ જીવનસંગીત માણવા માટે મળ્યો છે. શબ્દ પણ આપણે શોધવાનો રચના પણ આપણી. લય પણ આપણોને તાલ પણ આપણો. આપણું ગીત ગાવાનું પણ આપણે. આપણી મસ્તીમાં આપણે મસ્ત રહેવાનું. એકલા પડીએ એટલે એકલતાના નહિં, એકાંતના ગીતો ગાવાના. આપણી વૃત્તિઓના મુક્તિના ગીતો ગાવાના કારણકે માણસ પહેલાં પોતાની દુવૃત્તિઓની મુક્તિઓમાંથી મુક્ત થાય તો જ એનું મૃત્યુ મહોત્સવ બનવા તરફ આગળ ધપે.

કુદરતે આપણને દિલ અને દિમાગ એટલે કે હૃદય અને બુદ્ધિ આપ્યા છે. આ બંનેના સહયોગથી જીવનસંગીત સર્જાતું હોય છે. ઇશ્વર તો આપણને જન્મ આપી વેગળો થઈ જાય છે. આપણા દીલને ગાતાં આપડે શીખવાડવું પડે. આપણે આપણા લડવૈયા ને ગવૈયા.

આપણું ગીત કે આપણું સંગીત આપણે રચવાનું છે. ભલે આપણે દુનિયાભરની ફિલોસોફી વાંચીએ કે સાંભળીએ છેવટે તો આપણે આપણું કહેલું જ કરવાનું છે. આપણા દીલ અને દિમાગની જુગલ જોડી જ આપણામાં લય અને તાલ પેદા કરે છે. ઘણીવાર દિલમાં કંઈક જુદું હોય છે ને દિમાગમાં કંઈક અલગ. એકની 'હા' હોય અને એકની ના હોય એવા સંજોગોમાં ગીત પેદા થતું નથી, પછી સંગીત તો ક્યાંથી હોય ? આ હા અને નાની કડાકૂટમાં માત્ર ઘોંઘાટ જ હોય ! અને ઘોંઘાટ કોઈનેય ગમતો હોતો નથી. દુ:ખની વાત છે કે મોટાભાગના લોકો બખાળાને થૂંક જ ઉડાડતા હોય છે.

પણ, જેનું હૃદય અને બુધ્ધિ પારદર્શક છે. બંને વચ્ચે કોઈ ભેદ નથી. કોઈપણ વાતને બંને બહાલ કરતાં હોય. કોઈપણ વાતે બંને સંમત હોય પ્રસન્ન હોય, આનંદિત હોય તો જ શરુઆતમાં પેલા ગીતો સાંભળ્યાને જે રોમાંચિત થવાયુ એવો જિંદગી જીવવાનો રઘવા ઉપડે. આપણી બુધ્ધિ જો આસક્તિ છોડે અને આપણું દિલ વિરક્ત બને  તો આપણી જિંદગી યુગલ ગીત બની જાય. પ્રેમીએ આપણે અને માશુકા પણ જાતે. હા, આપણી જાતને પણ લાડ લડાવવા પડે. આપણી જાતને હેરાન-પરેશાન ન કરાય. બલ્કે જાત ઉપર પણ હસીને હસી-ખુશીના ગીત ગાવાના હોય. આમેય, તમે જો જો લોકોને જીવતા જ નથી આવડતું. હસીને લોટપોટ થઈ જવાય એવું હાસ્યાસ્પદ લોકો જીવતા હોય છે. ના હોય એ ય રોવે, ને હોય તોય રોવે. નોકરી ગમે પણ નહીં, ને છોડે પણ નહીં. બીજાની ભાણે મોટો લાડું જોઈ પોતાની પીરસેલી થાળીમાંથી સ્વાદ ઉડી જતો હોય છે. પોતાની જિંદગીને સ્વાદિષ્ટ, રસમય અને સંગીતમય બનાવવા એક કવિએ અનુભવ કર્યો છે. આ 

 જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,

ફુલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો ।।

ઓ મુકદ્ર ! એટલી જિંદા દિલીને દાદ દે,

તેં ઘરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો..!

- અંજના રાવલ

Tags :