- યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ ભવતી ભારત ।
અભ્યુત્થાનામ્ અધર્મસ્ય, તદાત્માનમ્ સૃજામ્યહમ્ ।।
ભગવદ્ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન અને ધર્મ બંનેનો ઉપદેશ આપ્યો છે. વળી કર્તવ્ય અને ફરજ બંને પણ બતાવ્યા છે. ગીતાના એક એક અધ્યાય અને શ્લોક ચિંતન અને મનન કરવા જેવાં છે તેથી અનુભૂતિના દ્વાર ખુલે છે. આમ જોઈએ તો જ્ઞાન-ઉપદેશ માર્ગદર્શન વિગેરે આપવાની પરંપરા વર્ષોથી મહપુરુષો દ્વારા ચાલી આવે છે. ગુરૂ શિષ્યોને મહાપુરુષો સંતો સમાજને માતા-પિતા સંતાનોને આપે જ છે. શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ ચિત્તને શાંત કરી મોહને દુર કરે છે.
વળી એક ઘટનાનો વિચાર કરીએ તો કુરૂક્ષેત્રના મેદાનમાં બંને પક્ષની વિશાળ સેનાઓ રથી-મહારથી-શુરવીર યોદ્ધાઓ ઉભા હોય. શંખનાદ થતો હોય તેના મરવા-મારવા તૈયાર હોય તેવી સ્થિતિમાં શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાન-કર્મ-ભક્તિ અને કર્તવ્ય-ફરજનું પાલન વગેરેનો ઉપદેશ આપે તે અદ્ભુત ઘટના જ કહેવાય ને. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણની થોડી વિવિધ ભુમિકા પણ છે ક્યારેક ઉપદેશ ક્યારેક મિત્રની જેમ વર્તાવ ક્યારેક શરણ પ્રદાન ક્યારેક વિશ્વ વિરાટ સ્વરૂપ દર્શન શ્રીકૃષ્ણે અધ્યાય-૧૨ ભક્તિયોગ અધ્યાય-૧૫ પુરુષોત્તમ યોગ વગેરેમાં ભક્તિ અને ભક્તના અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. આવા ભગવાન શ્રીકૃષ્ણને કોટિ કોટિ પ્રણામ.
- પુરાણી મહેન્દ્ર મહારાજ
મહાભારત સાર માત્ર નવ લીટીમાં
- સંતાનોની ખોટી જીદ કે માગણી ઉપર સમયસર અંકૂશ નહી લાવો તો છેલ્લે તમે નિ:સહાય થઈ જશો. - કૌરવો
- તમે ગમે તેટલા બળવાન હોવ પણ અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું જશે. - કર્ણ
- સંતાનોને એટલું વધુ પડતું મહત્વ ન આપો કે વિદ્યા નો દુરૂપયોગ કરી સર્વનાશ નોંતરે
- અશ્વત્થામા
- ક્યારેય કોઈને ખોટા વચન ન આપો જેથી કરીને અધર્મીઓને સમર્પણ થવું પડે
- ભિષ્મપિતામહ
- દુરાચારી બની સંપત્તિ, શક્તિ સત્તા મેળવેલી હશે તો અંતે તેનો સર્વનાશ થાય છે. - દૂર્યોધન
- અતિ સ્વાર્થથી અંધ વ્યક્તિને કોઈ સત્તા કે સૂકાન ન સોંપવું જોઈએ. નહીં તો અંતે તે પણ સર્વનાશ નોતરે છે - ધૃતરાષ્ટ્ર
- વિદ્યાની સાથે વિવેક હશે તો અવશ્ય વિજય મળશે. - અર્જુન
- દરેક વખત છળકપટથી વિજયી થવાય નહીં.
- શકૂની
- નીતિ અને દાનત, ધર્મ અને કર્મ સાચા હશે તો વિશ્વની કોઈ શક્તિ તમારો વાળ પણ વાંકો નહી કરી શકે. - યુધિષ્ઠિર
- જ્યાં સત્ય અને ધર્મ છે ત્યાં હું છું. - શ્રીકૃષ્ણ
"જય શ્રી કૃષ્ણ"
ગીતા જયંતી-માગસર સુદ અગિયારસ
આશરે પાંચ હજાર વર્ષો પૂર્વે ઋષિ વેદ વ્યાસજી રચેલા, 'મહાભારત'નું ભવ્ય પ્રકરણ એટલે ભગવદ્ગીતા. મહાભારતની મધ્યમાં ૬ઠ્ઠા એટલે 'ભીષ્મપર્વ' ના ૨૫ થી ૪૨ સુધીનાં અઢાર અધ્યાયોમાં પુરાણોમાંનું ધર્મ અને અધ્યાત્માનું નવનીત વર્ણવાયું છે. ભગવદ-ગીતામાંના સાતસો શ્લોકમાં પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર, એ પછીનાં ૪૧ શ્લોક સંજય, ૮૪ શ્લોક અર્જુન અને ૫૭૪ શ્લોક ભગવાન શ્રીકૃષ્ણનાં મુખેથી ઉચ્ચારેયેલા છે. મહાભારતનાં લગભગ એક લાખ શ્લોકોમાં જે વિસ્તારથી કહેવાયેલું છે, તેનો જ સાર કે અર્ક આ સાતસો શ્લોકોમાં સમાવિષ્ટ છે.
કુરુક્ષેત્રની રણભૂમિ પર રચાયેલા આ અક્ષરતીર્થે- સમગ્ર ધર્મ અને અધ્યાત્મ ચિંતનને આવરી લીધા છે. આસક્તિ-વિરકિતની ગાથા 'ગીતા'માં આગવી રીતે રજુ થઈ છે, જેમાં જણાવ્યું છે, ઇશ્વર પ્રત્યેની આસક્તિ એ જગતની કોઈ પણ પ્રકારની વિરકિત કરતાં વધારે પવિત્ર છે. ભારતીય પુરાણો કાળનાં સર્વ શાસ્ત્રોનાં તત્વજ્ઞાનનો સમન્વય ભગવદ્ગીતામાં છે, જે અધ્યાત્મ માર્ગે ચાલવાની દીવાદાંડી છે, જે જીવન જીવવાની કળાની શિક્ષા પણ આપે છે, જેના કેન્દ્રમાં કર્મનો સિધ્ધાંત છે, જેનો કેન્દ્ર વર્તી વિચાર છે, નિષ્કામ કર્મ વિના સાચી સિધ્ધિ શક્ય નથી.


