સુખનું સરનામું અપેક્ષારહિત જીવનશૈલી
સુખ શું? દુઃખ શું? મનગમતું મળે તે ક્ષણે સુખ, અણગમતું મળે તે ક્ષણે દુઃખ-વ્યથા-વિષાદ! મનને ગમે તે છીનવાઈ જાય, ખોવાઈ જાય-નષ્ટ થાય તે ક્ષણે દુઃખ-નિરાશા ! મનને ગમે નહીં અને છીનવાઈ જાય-ખોવાઈ જાય-નષ્ટ થાય તે ક્ષણે સુખ. આધુનિક માનવીની આ સહજ વિચારધારા છે. મનુષ્યમાત્રને સુખની સહજ ઘેલછા હોય! આજનો મનુષ્ય સુખ-સમૃધ્ધિ-ભૌતિક વૈભવ પાછળ આંધળો અને અધીરો બન્યો છે. નાણાં કોથળી (ધનવૈભવ) આજે સર્વસ્વ છે. મનુષ્યએ માની લીધેલ સુખ છે. ભલે પછી જ્યાં સંસ્કારો, ગૌણ હોય, અશાંતિની હાજરી હોય! વિશેષ જીવયાત્રાના મનુષ્યનાં સુખ-દુઃખ અંગેના સ્વરૂપો જુદી જુદી પરિસ્થિતિમાં જુદાં જુદાં હોય. આજે મનુષ્ય જાણ હોવા છતાં હાનિકર્તા બાબતને પોતાનું મનગમતું સુખ માની તે પાછળ દોરવાય છે તે માટે પ્રયત્નો બાદની પ્રાપ્તિ એ રાજિપો કે સુખિયા થયાની અનુભૂતિ કરે છે. જો કે આ મનગમતું સુખ વાસ્તવમાં દુઃખનું કારણ બની રહે છે. આજે વ્યહન-કુસુંગ-બૂરીટેવો-આદતો, વ્યાભિચાર માનવી માટે મનગમતું સુખ બની રહ્યું છે જે ન મળે તો દુઃખી-દુઃખી, બેચેન, હતાશ-વિવશ-વિષાદગ્રસ્ત-તણાવગ્રસ્ત! વાસ્તવમાં મનુષ્ય જેને સુખ માનીને તેનો ઉપયોગ કરે છે તેનું પરિણામ દુઃખદાયક અને પીડાદાયક બની રહે છે. અહીં મનુષ્યનું માનવી લીધેલું મનગમતું સુખ ખરેખર દુઃખ-વ્યથા-વિનાશમાં પરિણમે છે. જે મનમાં-ચિત્તમાં રહે નહીં તે સાચું સુખનું સરનામું. જે પ્રભુએ આપેલ છે તે ગમાડવું-સ્વીકારવું એ જ સુખની વ્યાખ્યા. વિશેષ જ્યાં અપેક્ષા-ઇચ્છા ન હોય ત્યાં અભાવ ન રહે - અસંતોષ ન રહે તેના ફળસ્વરૂપે આનંદ-પરમાનંદ-સદાનંદની લહેરીઓ જન્મે!
- કમલેશ હરિપ્રસાદ દવે