મંદિર – એક આધ્યાત્મિક પાઠશાળા
હિન્દૂ સંસ્કૃતિમાં મંદિરનું મહત્વ અદકેરું છે. અરે માત્ર હિંદુઓ જ નહિ પરંતુ દરેક ધર્મમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ અથવા ચિત્રપ્રતિમાનું સ્થાપન કરવાનું એક ઉચ્ચ સ્થાનક હોય જ છે. અને એ સ્થળ પર જઈને પોતાના ઇષ્ટદેવની સાધના કરવામાં આવે છે. પછી ભલે ને એ સાધનાનાં અલગ અલગ પ્રકાર હોય. હિન્દુ મંદિરમાં ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને તેમાં ભગવાનનું આહ્વાન કરવામાં આવે છે.
મંદિર પરિસરમાં પ્રવેશતાની સાથે જ કોઈપણ વ્યક્તિના વિચારો બદલાય જાય છે અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર અનુભવાય છે. એક અલૌકિક ઉર્જા અને સ્પંદનો સાથેનાં વાતાવરણમાં મંદિર મહેકી ઉઠે છે. મંદિર પરિસરમાં પ્રવેશ કરતાં જો મનુષ્યનાં મન મંદિરના દ્વાર ખુલી જતાં હોય તો ઇષ્ટદેવની સાધના કરવાથી કેવી અનુભૂતિ થતી હશે તે તો સાચા સાધકને જ ખબર હોય.જીવનમાં ભણતર સાથે જો ગણતર હોવું જરૂરી છે તો પછી જીવનમાં ગણતર સાથે આધ્યાત્મિક માર્ગ પર આગળ જવા માટે એક પાઠશાળા તરીકે મંદિર એક યોગ્ય સ્થાન મુલવી શકાય. આધ્યાત્મિક ક્ષેત્રનાં પાઠ શિખવા ઉચ્ચ સાધના કરવા માટે મન મસ્તિકને કેન્દ્રમાં રાખવાથી મનુષ્ય જન્મ સિદ્ધ કરવામાં સરળતા રહે છે. હિન્દુ ધર્મમાં ખુબ જ મંદિર હોય અમુક લોકો તેને બિનજરૂરી ગણે છે. અને આ મંદિર બનાવવાની પ્રવૃત્તિને ફાલતુ ખર્ચ કહીને વખોડે છે. પરંતુ એ જ વ્યક્તિ જ્યારે દુઃખમાં હોય છે ત્યારે મંદિરે જાય અને ત્યાં જ માથું ટેકવીને શાંતિ માટે પ્રાર્થના કરે છે.
- જતીન ડી. ઘેલાણી
કર્મનો સિધ્ધાંત
કર્મોના ફળ દરેકે ભોગવવાજ પડે છે ભગવાન પણ આમાંથી બાકી નથી રહ્યા. તો સમજી વિચારીને હંમેશા સદ્કાર્યો કરવા ભૂલે ચૂકે પણ કોઈની નિંદા ઇર્ષા પણ કરવી નહીં. આ પણ એક કર્મમાં જ ગણાય છે. અને એનું ફળ અમુક સમયે ભોગવવું જ પડે છે. જીવમાત્ર પ્રત્યે દયાભાવ સદાય રાખવો. સમય હોય ત્યારે ઇશ્વરની લીલાના દર્શન કરવા અને હાલતા ચાલતાં ઇશ્વરનું સતત રટણ કરવું કર્મની ગતિ અતિ ન્યારી છે.
'સ્વભાવ'
માણસ સ્વભાવથી જ ઓળખાય છે જેનો સ્વભાવ સારો તેના મિત્રો ઘણાં સ્વભાવથી લોકોના દિલ જીતી શકાય છે. જેનો સ્વભાવ સારો હોય તેના દરેક કામો સફળ થાય છે. સારા સ્વભાવથી જ જીવન સફળ થાય છે. અનેક કામો બગડતાં હોય તો તેનું કારણ સ્વભાવ જ હોય છે. સારા સ્વભાવમાં દુનિયાને જીતવી સહેલી છે. જેનો સ્વભાવ સારો હશે તેને બધા સારા લાગશે સારા સ્વભાવથી ગમે તેવા વિકટ કાર્યો પણ સફળતાથી પાર થાય છે.
પ્રાર્થના
સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી કરેલી પ્રાર્થના ઇશ્વર ચોક્કસ સાંભળે છે. પ્રાર્થનામાં કોઈ જાતની દલીલ બાજી ન હોવી જોઈએ. પ્રાર્થના દરેકના ભલા માટેની હોવી જોઈએ. પ્રાર્થના લાગણી સભર હોવી જોઈએ પ્રાર્થનામાં બને ત્યાં સુધી કોઈ માંગણી કયારેય કરવી ન જોઈએ ભોળા માણસોની સાચી પ્રાર્થના ઇશ્વર સુધી ચોક્કસ પહોંચે છે. તેની પ્રાર્થના સફળ થાય છે.
પ્રભુની પૂજામાં ઘરમાં દીવો કેમ પ્રકટાવવામાં આવે છે?
મોટા ભાગના હિંદુ પરિવારોમાં ઘરમાં પૂજા થાય છે. વહેલી પ્રભાતે અને સાંજે ત્યાં દીવો પ્રકટાવવામાં આવે છે. ઘણી ગૃહીણીઓ સાંજે પાણીયારા ઉપર દીવો ઘીનો પ્રકટાવે છે. દીવો પ્રકટાવ્યા વીના પૂજાનું કામ અધુરૂ છે. દીવો પ્રકટાવવાથી આપણા ઇષ્ટ દેવ ખુશ થાય છે. આથી આપણા ઇષ્ટ પ્રભુ ઘરમાં કૃપા વરસાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દીવો શુભ ફળ આપે છે. ઘણા વાસ્તુદોષ આપોઆપ દૂર થાય છે. દીવો પ્રકટાવવાથી ઘરમાં જે અનિષ્ટ તત્વો ફરતાં હોય તે ભાગી જાય છે. દીવો નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે. સકારાત્મક ઉર્જાને સક્રિય કરે છે. ભૂત-પીશાચ ઘરમાં નથી આવતા. ઘરમાં જે સુક્ષ્મ કીટાણુઓ ફરતા હોય છે. તેનો નાશ થાય છે. આમ આરોગ્ય માટે સારૂ છે. તુલસી ક્યારે સવારે સાંજે દીવો પ્રકટાવવાથી વિષ્ણુની કૃપા થાય છે. લક્ષ્મીજીની કૃપા થાય છે. દીવો પેટાવી જમીન ઉપર ન મૂકતાં અક્ષત કે ચોખા ઉપર મુકવો જોઈએ. દીવો ભગવાનને ગમે છે. પ્રભુ દોડતા ઘરમાં આવે છે. દીવો પ્રકટાવવાથી પ્રભુની યાદ આવે છે. મનમાં શાંતિ અને શ્રધ્ધા જાગે છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ બાલ સ્વરૂપ છે. તેથી પુષ્ટિમાર્ગમાં સેવામાં દીવો પ્રકટાવવામાં આવતો નથી. આરતી પણ એક દીવાનો પ્રકાર છે. દીવો કરવાથી પિતૃદોષ થતો નથી. આરતી (દીવો) એ જીવનને તારતી છે. ઘણા મંદિરોમાં દીવો અખંડ બળતો હોય છે. દીવાની જ્યોતને પગે લાગવાથી તેના ઓવારણો લેવાથી ભાગ્ય બળવાન બને છે.