શ્રીમદ્ ભગવદગીતા અને આરોગ્ય
- નિરામય જીવનનું માર્ગદર્શન ગીતામાંથી મળી રહે છે. આપણે જમતાં પહેલા ભગવાનને થાળ અર્પણ કરીએ છીએ. પ્રભુને અર્પણ કરેલ અનાજ ખાવાથી તેમની કૃપા ઉતરે છે.
આ પણા પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપણા આરોગ્ય સંબંધી વિવિધ માર્ગદર્શક સુચનાઓ આપેલી છે. અત્યારની મહામારીમાં આપણા મન અને ચિત્ત વ્યગ્ર હોય ત્યારે આ આદર્શો અને સુચનો ઉપયોગી થઈ પડે તેમ છે. સૌ પ્રથમ તો ગીતામાં કહ્યું છે: ચંચલં હિ મનઃ કૃષ્ણઃ માનવીનું મન ચંચળ છે તેને વશમાં રાખવું દુષ્કર છે. અભ્યાસ તથા વૈરાગ્યથી મન વશમાં રહી શકે છે.
આપણે ત્યાં અન્નને બ્રહ્મ કહ્યું છે. અન્નનો કદી અનાદર કરવો જોઈએ નહીં. ભોજન કરતી વખતે ભોજનમાં જ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રસન્ન ચિત્તે આહાર લેવાથી ખોરાકનું પાચન જલ્દી થઈ જાય છે. આ ઉપરાંત ભુખ લાગે ત્યારે જ ભોજન કરવું તથા ભુખ લાગે તેટલું જ ખાવાથી પણ આરોગ્ય જળવાય છે. શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે 'યોગક્ષેમં વહામ્યહમ્' અર્થાત્ મારા ભક્તોનું ક્ષેમકુશળ હું જ વહન કરું છું.
ગીતામાં જ એક સુંદર શ્લોક આવે છે. અહં વૈશ્વાનરો ભુત્વાં પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણવાન સમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ।।
શ્રીકૃષ્ણ કહે છે કે સર્વ પ્રાણીઓનાં શરીરમાં સ્થિત થઈને વૈશ્વાનર અગ્નિ રૂપે ચાર પ્રકારના અન્નને હું જ પચાવું છું.
ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે: યુક્તાહાર વિહારસ્ય
યુક્તચેષ્ટસ્ય કર્મસુ
યુક્ત સ્વપ્નાવબોધસ્ય
યોગો ભવતિ દુઃખહા ।।
પ્રભુ કહે છે કે દરેકે મિતાહારી રહેવું. પચી જાય તેવો ખોરાક લેવો. આહાર વિહારમાં મર્યાદા રાખવી. આપણા શરીરમાં ખોરાક ન પચે તેથી જ દર્દો ઉભાં થાય છે. પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્વાનર અગ્નિને શ્રીકૃષ્ણ જ પચાવનાર છે. મનનો નિગ્રહ એ મનનું તપ છે તેથી તળેલો, વાસી કે વાયડો ખોરાક ન ખાવો તે નુકશાનકર્તા સાબિત થઈ શકે છે.
ગીતાના ૧૭મા અધ્યાયમાં લખ્યું છે આયુષ્ય, બુદ્ધિબળ, આરોગ્ય, સુખ તથા પ્રીતિ વધારનાર રસયુક્ત, સ્નિગ્ધ સ્થિર રહેનારા મનને ગમે તેવા આહાર કરવાના પદાર્થો માણસને ગમતા હોય છે જે મોટે ભાગે સાત્વિક લોકોને પસંદ હોય છે. રાજસી અને તામસી લોકોને ગમતા ખોરાકની વાત પણ ગીતામાં જોવા મળે છે.
ગીતામાં આજની અનેક બીમારીઓ વિશે માર્ગદર્શક વાતો વાંચવા મળે છે, જેમાં હૃદયરોગની વાત પણ ઘણી લેવાઈ છે. મન શાંત હોય, સ્થિર તથા નિશ્ચિંત હોય કે તણાવમુક્ત હોય તો હૃદયરોગની બીમારી નજીક આવતી નથી. ગીતાના વાંચન મનનથી મનોવિકાર, તણાવ દુર થાય છે. આપણા હૃદય પર આનંદ તથા પ્રસન્નતાની ઘણી સવળી અસરો પડે છે. નિયમિત જીવન જીવવાથી રોગ, શોક, તાપ દુર રહે છે.
ગીતાના ૧૮મા અધ્યાયમાં અર્જુન કહે છે 'નષ્ટો મોહઃ' આમ મોહ દુર થાય તો શંકા કે સંદેહ પણ દુર થાય છે. નકારાત્મક વિચારો આરોગ્યને નુકસાન કરે છે. સકારાત્મક વિચારોથી જીવનશૈલીમાં પરિવર્તન આવે છે.
આપણે ત્યાં સત્યનારાયણની કથામાં પ્રસાદમાં તુલસી ધરાવાય છે. તો વિષ્ણુને તુલસીનાં પાન ચઢાવાય છે. તુલસી આરોગ્ય માટે ફાયદાકારક છે. શ્રીકૃષ્ણે સુદામાના તાંદુલ અને વિદુરજીની ભાજી ખાધી હતી તે સાદા ખોરાકની નિશાની છે.
નિરામય જીવનનું માર્ગદર્શન ગીતામાંથી મળી રહે છે. આપણે જમતાં પહેલા ભગવાનને થાળ અર્પણ કરીએ છીએ. પ્રભુને અર્પણ કરેલ અનાજ ખાવાથી તેમની કૃપા ઉતરે છે. આપણે ત્યાં એક કહેવત છે, 'અન્ન તેવો ઓડકાર' માટે શાકાહારી ખોરાક ખાવાથી વિચારોમાં મલિનતા આવતી નથી. ભોજનમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. અધવચ્ચે કે વારંવાર ઉઠવું નહીં. તેમ શાસ્ત્રો પણ કહે છે.
ગીતા નિરાશાને દુર કરે છે. ચિત્તને પ્રસન્ન રાખે છે. હતાશાને દૂર કરે છે. ઉભેલાને ચાલતા તથા ચાલતાને દોડતા કરે છે. આપણે આરોગ્ય સંબંધી પ્રશ્નો કે સમસ્યામાં બાંધછોડ કરવી જોઈએ નહીં.
સત ચિત્ આનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ તથા લાયકર્તા ત્રિવિધ તાપનું શમન કરનારા શ્રીકૃષ્ણને વંદન. જયશ્રી કૃષ્ણ. જય યોગેશ્વર.
- ભરત અંજારિયા