પવિત્ર મહાસુદ તેરશએ ભગવાન શ્રી વિશ્વકર્માનો પ્રાક્ટય દિવસ છે.
તે સમયે શ્રી વિશ્વકર્માએ ઇલાદેવીને કહ્યું,' હે પુત્રી ? વાસ્તુ તારો ભાઈ છે. એ વાત સાચી. પરંતુ તેનું નિર્માણ તો દેવકોર્ટમાં રહેવા થયું છે. પૃથ્વી પર મનુષ્યો તેનું પૂજન કરશે. આથી તારા પર હેત વરસાવે તેવા પાંચ પુત્રો હું સંકલ્પ દ્વારા પ્રકટ કરવા ઇચ્છું છું માટે તુ તેમના પૂજન અંગેની તૈયારી કર.
વિરાટ પ્રભુ વિશ્વકર્માએ વાસ્તુદેવને પોતાની સમક્ષ પાંચ બાજોઠ મૂકવા આજ્ઞા કરી. ઇલાદેવીએ બાજઠ પર સ્વસ્તિક ચીતર્યા. શ્રી વિશ્વકર્માએ ત્યાં સુંદર પાંચ મૂર્તિઓ કરી અને ઁ કારના ધ્વનિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરીને પાંચેય મૂર્તિઓમાં પ્રાણનું આહવાન કર્યું એકાએક મૂર્તિઓ સજીવન બની ગઇ ? ઇલાના આનંદની કોઈ સીમા ન હતી. ઇલાએ પ્રેમપૂર્વક પાંચેય ભાઈઓનું પૂજન કર્યું. ત્યાર પછી સૌએ સાથે મળીને ભગવાન શ્રી વિશ્વકર્માનું પૂજન કર્યું. શ્રી વિશ્વકર્માએ નામ કરણનો વિધિ કર્યો. તેમના નામ મનુ, મય, ત્વષ્ટા, તક્ષ્ણ અને શિલ્પી રાખ્યાં, હવે આશ્રમમાં આ પાંચેય ભાઈઓ તથા હેમકુટ અને વાસ્તુદેવ મળીને સાતેય ભાઈઓ સાથે રહીને દિવસો નિર્ગમન કરવા લાગ્યા. પાંચેય પુત્રોને ઋષિના આશ્રમે વિદ્યાભ્યાસ કરવા માટે વિશ્વકર્માએ વિચાર્યું, તેથી આશ્રમે મોકલવા તૈયારી કરી, પરંતુ નારદજીએ કહ્યું કે, 'પિતા એ જ સર્વોત્તમ ગુરુ ગણાય. પિતાએ તો 'ગુરુણાં ગુરુ ! છે મને પણ મારા પિતા બ્રહ્માજીએ જ વિદ્યા આપી છે. માટે આપ જ આ પાંચેય માનસપુત્રોને વિદ્યા આપો. નારદજીની પ્રેરણાથી શ્રી વિશ્વકર્માએ જ વેદોનું અધ્યયન કરાવ્યું હતું, અને સર્વ વિદ્યામાં પારંગત કર્યા. પરંતુ શિલ્પી પારંગત થયો નહિ. શિલ્પી ભણ્યો નહિ. અને પરણ્યો પણ નહિ. એક દિવસ પોતાનો પશ્ચાત્તાપ તેણે વાસ્તુદેવ પાસે પ્રકટ કર્યો. વાસ્તુદેવ તેને પિતા પાસે લઈ ગયા. ભગવાન શ્રી વિશ્વકર્માએ અનુગ્રહ કરીને શિલ્પીને ભૃગુ ઋષિના આશ્રમે મોકલ્યો. મનુવર્ય ભૃગુએ શિલ્પીને ૬૪ વિદ્યાઓ શીખવી. આ વિધા તે માત્ર છ માસમાં શીખી ગયો ? અભ્યાસ પૂર્ણ કરી તે પિતા પાસે આવ્યો. શિલ્પીનો પ્રભાવ અને તેનું વ્યક્તિત્વ નિહાળી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
ભૃગુ ઋષિએ એક સુંદર કન્યા સંકલ્પબળથી ઉત્પન્ન કરી. શ્રી વિશ્વકર્માએ તેમના કહેવાથી મુહૂર્ત જોઈને તે સ્વરૂપવાન કન્યાને શિલ્પી સાથે પરણાવી દીધી, જેનું નામ 'કરુણ' હતું.
- સંકલન જગદીશ સુથાર


