Get The App

શ્રી કૃષ્ણપ્રભુ, ''સ્વધામ જતાં, દુઃખી અર્જુને, કૃતજ્ઞાતા વ્યક્ત કરતાં... યુધિષ્ઠિર સામે હૃદયદ્રાવક આક્રંદ કર્યું....'

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
શ્રી કૃષ્ણપ્રભુ, ''સ્વધામ જતાં, દુઃખી અર્જુને, કૃતજ્ઞાતા વ્યક્ત કરતાં... યુધિષ્ઠિર સામે હૃદયદ્રાવક આક્રંદ કર્યું....' 1 - image

''કુરુક્ષેત્રનાં વિજય પછી, અર્જુનજી તીર્થયાત્રા કરવા ગયેલા. ઘણા દિવસ પસાર થઈ ગયા એટલે ભીમસેન અને યુધિષ્ઠિર, અર્જુનની ચિંતા કરવા લાગ્યા... ત્યારે બે-ત્રણ દિન પછી અર્જુનજી યાત્રા કરી પાછા આવી ગયા. પ...ણ, તેમના મોં ઉપર જરાપણ તેજ ન હતું.. સાવ શોકાતુર થઈ ગયા હતા.''

યુદ્ધિષ્ઠિરે અર્જુનને પૂછયું, તારું તેજ... તારી પ્રભાવકતા ક્યાં ગયાં ? કેમ એકદમ ઉદાસ...શોકાતુર... નિર્બળ બની ગયો છે ? તારા આત્મારૂપ શ્રીકૃષ્ણ પ્રભુ તો કુશળ છે ને ?''

અર્જુને રડતાં રડતાં કહ્યું, ''મોટાભાઈ! શું કહું તમને...? આપણું સૌનું રક્ષણ કરનાર... પાંડવોના જીવન-આધાર, શ્રીકૃષ્ણપ્રભુ, તો ''સ્વધામ'' ચાલ્યા ગયા... મેં કહ્યું, પ્રભુ મને તમારી સાથે લઈ જાવ. પ..ણ, તેમણે કહ્યું, તું સાથે નથી આવ્યો... તો પછી, સાથે લઈ જાઉં ક્યાંથી ?... બસ ત્યારથી હું શ્રીકૃષ્ણ વિરહમાં આખે રસ્તે રડતો સાવ ભાંગી પડેલા હૃદયે અહીં તમારી પાસે આવ્યો છું.''

મોટાભાઈ! મારામાં જે અદ્ભૂત શક્તિ હતી. દિવ્યતા અને પ્રભાવકતા હતાં તે મારાં ન હતાં. તે તો દ્વારકાનાથની કૃપા શક્તિથી હતાં... હું તેમના વિના સાવ નિર્બળ... શક્તિવિહોણો બની ગયો છું. મારું સર્વસ્વ તેજ ચાલી ગયું છે.

મોટાભાઈ! મારા ઉપર તથા સર્વ પાંડવો ઉપર શ્રી કૃષ્ણ પ્રભુએ કરેલા ઉપકારો યાદ આવે છે. પ્રભુએ 'લાક્ષાગૃહમાં' - યુધ્ધમાં આપણું સૌનું રક્ષણ કર્યું હતું કેમ કરી ભૂલાય. દ્રુપદ રાજાના દરબારમાં મેં ''મત્સ્યવેધ'' કર્યો તે શક્તિ કૃષ્ણપ્રભુની હતી. તેમની કૃપાથી જ હું સફળ બન્યો હતો. તેથી જ દ્રૌપદી મળી. યુધ્ધ વખતે પણ મારા રથના સારથી થયા. આપણું સૌનું રક્ષણ કર્યું. આપણા સૌમાં અદ્ભૂત દિવ્ય શક્તિ મૂકી... કૌરવોની હાર થઈ... આપણે વિજેતા થયાં... આ બધું કેમ કરી ભૂલી શકું...?

મોટાભાઈ! કુરુક્ષેત્રમાં તેમણે મને ગીતાનો અલભ્ય બોધ કર્યો. ''કિરાત''ના વધ વખતે, શિવજી સાથે શ્રી કૃષ્ણપ્રભુની શક્તિથી જ હું યુધ્ધ કરી શક્યો હતો...

દુર્યોધને કપટ કરી, આપણા નાશ માટે ''દુર્વાસા''ને મોકલ્યા હતા, પ..ણ, શ્રીકૃષ્ણે આપણને બચાવી લીધેલા. દુર્યોધને આપણો વિનાશ ઈચ્છયો... જે તેના જ નાશમાં પરિણમ્યો.

દુર્યોધને કપટ કરી, 'ભૂખ્યા દુર્વાસા'ને તેમના દસ હજાર બ્રાહ્મણોને આપણને કહ્યા વિના જમવા મોકલ્યા. દુર્યોધનના મનમાં કપટ હતું કે.. પાંડવો ભૂખ્યા દુર્વાસાને તથા સાથીદાર દસહજાર બ્રાહ્મણોને જમાડી શકશે નહિ. એટલે 'ક્રોધે ભરાઈ 'દુર્વાસા' શ્રાપ આપી તેમને ખતમ કરશે....

પ..ણ તેની બાજી જ ઊંધી પડી.. દુર્વાસા આવે તે પહેલાં જ દ્રૌપદીએ અંતરપૂર્વક કૃષ્ણને પધારવા સ્તુતિ કરી. શ્રી કૃષ્ણ તો તુરંત જ પ્રગટ થયા... શ્રી કૃષ્ણએ દ્રૌપદી પાસે અક્ષયપાત્ર હતું તે લીધું. તે તો સાવ ખાલી હતું. શ્રી કૃષ્ણએ તુલસીનું પાન પ્રેમયોગથી પ્રગટ કર્યું. અને મોંઢામાં મૂકી ચાવી ગયા.... ને 'ઓડકાર' ખાધો ત્યારે... પાંડવોને ત્યાં આવેલા દુર્વાસાનાં - દસ હજાર બ્રાહ્મણોનાં પેટ આપોઆપ ભરાઈ ગયા. ખાવાની ઈચ્છા જ ન રહી એટલે 'દુર્વાસાએ' આશિર્વાદ આપ્યા... ને ઓડકાર ખાતા બ્રાહ્મણો સાથે વિદાય થયા. આ પ્રસંગ કહેતાં કહેતાં... અર્જુનજી આક્રંદ કરવા લાગ્યાં''...

શુધ્ધ જીવનને લીધે, પ્રભુપ્રત્યે અપાર પ્રેમને લીધે... આજીવન ધર્મનું પાલન કરવાથી... પ્રભુ પામવા પાંડવો સાચા અધિકારી બન્યા...

- લાભુભાઈ ર. પંડયા