શરદ પૂર્ણિમાને દિવસે દશમ સ્કંધમાં વર્ણિત રાસ પંચાધ્યાયના પાઠનું મહત્ત્વ છે. આ પાઠ જો કરવામાં આવે તો ઠાકોરજીની ભક્તિ પ્રાપ્ત થાય તેમજ સમસ્ત રોગોનું પણ શમન થાય. નરસિંહ મહેતાને પણ ભગવાનનો દિવ્ય રાસ આ પૂર્ણિમાને દિવસે દેખાયો અને નરસિંહ મહેતા એવા પ્રભુપરાયણ બન્યા અને એમણે પોતાની પંક્તિમાં લખ્યું કે,
'હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યાં રે; મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કિધું કિધું કિધું મુજ પર એવું કામણ કિધું રે; ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે, મળીયા મળીયા મળીયા મુને નરસૈયાના સ્વામી રે.' પૂર્ણિમાના દિવસે ભગવાનનો રાસ જોયા પછી નરસિંહ મહેતાની આવી સ્થિતિ થઈ. એમને સમગ્ર જગતમાં ભગવાન શ્રીકૃષ્ણ જ દેખાવા લાગ્યા. એના માટે સંપત્તિ શ્રીકૃષ્ણ ભગવાન બન્યા. એટલે જ તો એણે કહ્યું કે, 'ગરથ મારું ગોપીચંદન, તુલસી હેમનો હાર; સાચું નાણું તે મારો શામળો રે, મારે દોલતમાં ઝાંઝ ને પખાજ રે, શામળા ગિરધારી.'


