Get The App

શરદ પૂર્ણિમા .

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
શરદ પૂર્ણિમા                                                   . 1 - image

- શ્રીકૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે છે કે, શરદ પૂર્ણિમા હોય, ચંદ્રમાંના શિતળતાની નીચે દૂધ અને પૌવાં મુકી આરોગવામાં આવે તો તે દૂધ અને પૌવાં અમૃત સમાન બને છે

શરદ પૂર્ણિમા એ એવી પૂર્ણિમા છે કે જે જીવનું બ્રહ્મ સાથે જોડાણ કરાવડાવે છે. શરદ પૂર્ણિમા જ્યારે આવે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ થાય. શરદ પૂર્ણિમાને દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ દિવ્ય રાસ રચ્યો. ભગવાન શ્રીકૃષ્ણનું આત્મા સાથે રમણ એટલે શરદ પૂર્ણિમા. આ તો થઈ શાસ્ત્રની વાત પણ, અવિનાશ ભાઈની પંક્તિઓ અહીં સ્મરણ થાય છે - 'પૂનમની પ્યારી-પ્યારી રાત, મારી પ્રિતમ સાથે છે મુલાકાત આજ તું ના જાતી.'  અહીં પ્રિતમ એટલે કોણ? એ સમજીએ તો પ્રિતમ એટલે ભગવાન શ્રીકૃષ્ણ. પ્રત્યેક જીવ એ ગોપી સ્વરૂપ છે. ગોપી શબ્દનો અર્થ જ એ છે કે જે નિત્ય ભક્તિરસનું પાન કરે. શ્યામના વિરહમાં એ તપે છે, એ કણ-કણમાં શ્રીકૃષ્ણને જુવે છે. માટે એક પંક્તિ સ્મરણ થાય છે કે, 'લાવો હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં; આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કિરતાર લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં; કંગન ઉપર કૃષ્ણ કૃપાલુ, ભૂજ ઉપર ભગવંત લખી દઉં.' આવો ભાવ ગોપીજનોનો શરદ પૂર્ણિમાને દિવસે પ્રગટયો છે અને, એવા જ ભાવથી જો આપણે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવન નિરોગી રહે અને આપણે ભગવાનને પ્રિય બનીએ.

શરદ પૂર્ણિમાના દિવસે દૂધ-પૌવાંનું પણ અનન્ય મહત્ત્વ છે. સંતો પાસેથી સાંભળ્યું છે કે, જ્યારે સુદામા પૌવાં લઈ દ્વારિકામાં આવ્યા અને દ્વારિકાધીશે જ્યારે તે પૌવાં જોયા ત્યારે તેમને શરદ પૂર્ણિમાનું સ્મરણ થયું. દ્વારિકાધીશે કહ્યું કે, 'હે મિત્ર ! શરદ પૂર્ણિમાને દિવસે યશોદા માતાજી દૂધ અને પૌવાં પલાળી મને આપતી હતી. હે મિત્ર ! એ પૌવાં ત્યારપછી મેં ક્યારેય ખાધા નથી. અર્થાત્ શ્રીકૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે છે કે, શરદ પૂર્ણિમા હોય, ચંદ્રમાંના શિતળતાની નીચે દૂધ અને પૌવાં મુકી આરોગવામાં આવે તો તે દૂધ અને પૌવાં અમૃત સમાન બને છે. એટલે જ તો જ્યારે શરદ પૂર્ણિમાના આશિર્વાદ આપણે આપીએ છીએ તો કહીએ છીએ કે, 'શતમ્ જીવેમ્ શરદ: અર્થાત્ તમે સો શરદ પૂનમો જુવો.'

માટે જ અવિનાશભાઈ લખે છે કે, 'માવડીની કોટમાં તારાના મોતી; જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ. છડી રે પોકારી માની મોરલો ટહૂક્યો. કંકુ ખર્યું ને સૂરજ ઉગીયો.' વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે, શારદીય નવરાત્રિનો પ્રભાવ એ શરદ પૂર્ણિમા સુધી રહેતો હોય છે. પૂર્ણિમા એ માતાજીની જ્યોતિ છે અને પૂર્ણિમા એ પૂર્ણતાનું સ્વરૂપ છે. જીવનમાં પૂર્ણતા ત્યારે જ મળે જ્યારે ભગવાનની કૃપા થાય.  

ભગવાની કૃપાનો અનુભવ કરાવવાવાળી પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા. તો આવો પ્રભુપરાયણ બની આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ એ જ અભ્યર્થના સાથે..અસ્તુ !!

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી