Get The App

શાશ્વત સત્યનાં રહસ્યો

Updated: Mar 31st, 2021

GS TEAM


Google News
Google News
શાશ્વત સત્યનાં રહસ્યો 1 - image


અ વિનાશી સત્ય હંમેશાં 'સંત' કહેવાતું આવ્યું છે. 'સત્' એટલે શાશ્વત આત્મત્ત્વ સત્ય સનાતન ન હોઈ શકે, પરંતુ સત્ નિત્યસનાતન હોય છે. જેની પ્રકૃતિ શાશ્વત છે. પ્રાચીન કાળનાં શાસ્ત્રોમાં જણાવાયું છે કે 'બ્રહ્મ સત્ય છે તો જગત મિથ્યા છે. એટલે જગતમાંના વ્યવહારોમાં ઉચ્ચારાતા સત્યો સ્વભાવે ક્ષણજીવી હોય છે, સાપેક્ષ હોય છે. આજે બોલાતું સત્ય કાલે ખોટું પણ પડી શકે. જેનો આધાર માત્ર વ્યક્તિનાં અંગત દ્રષ્ટિકોણનો હોય છે. જ્યારે બ્રહ્મતો અવિનાશી સત્ય છે.

આ દ્રશ્યમાન જગત સાપેક્ષ છે. ક્યારેક ધૂપ તો ક્યારેક છાંવ હોય છે. જ્યારે આત્મત્વ નિરપેક્ષ છે. તત્વચિંતકોનાં જણાવ્યા પ્રમાણે, એક મૂળ સત્ય છે. તો બીજું પરાધીન છે, જે સામાજિક વ્યવહારોને આધારિત હોય છે. આવી સચ્ચાઈ, અસત્યમાં ફેરવાતા વાર નથી લાગતી પાછું દરેકનું અંગત સત્ય જુદુ જુદું હોય છે. તે બધા માટે સમાન હોતું નથી. એક વ્યક્તિને જે વાત સાચી લાગતી હોય તે અન્યોને ખોટી જણાઈ શકે. પરંતુ પરમેશ્વરનાં દરબારમાં તો એક જ અવિનાશી સત્ય હજરાહજૂર છે.

મનુષ્યનો વિચાર આત્મ-સ્વરુપ તરીકે પણ થતો હોય છે. જેમાં અવિનાશી પરમાત્માના અંશ હોવાનું મનાય છે. શુધ્ધ ચૈતન્ય એ સત્ છે. જે સચ્ચિદાનંદ કહેવાયું છે. અર્થાત 'સત્ત-ચિત્ત જેનું આનંદમય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે 'સત'ની મોક્ષ સાધનામાં અનિવાર્યતા કેટલી ? પરમસત સ્વરુપ એટલે જ્યાં પાપ અને પુણ્ય, શુભ-અશુભ, સુખ-દુઃખ સત્કાર્ય અને દુષ્કાર્ય જેવા તમામ દ્વન્દ્વોનો અંત આવે છે. આમાં સાંસારિક સાપેક્ષ સત્યનો અંશ હોતો નથી. આવી દ્વન્દ્રાતીત અવસ્થામાં પરમ શૂન્યની ઝાંખી થતી હોય છે. પરમ સત શ્રેયકર હોય છે. જ્યારે સાંસારિક સત્યો પ્રેયકર હોય છે.

સંસારમાંના સાચા સુખોમાં, સામાજિક-પારિવારિક વ્યવહારમાં સત્ય નિષ્ઠા આવશ્યક છે. આવા સંજોગોમાં ખોટી આદતોથી દૂર રહેવું જોઈએ. ક્યારેક જાણતાં, અજાણતાં અસત્ય ઉચ્ચારાઈ જાય તો પ્રતિક્રમણથી પાશ્ચાત્તાપ કરવું પડે. તો વળી કેટલાકને જો પૂર્વ જન્મનાં સંસ્કારોથી આત્માનંદની રુચિ જાગે તો એ પરમસત સ્વરુપનાં ધ્યાન માર્ગે જઈ શકે જોકે ત્યારે તેને સાંસારિક આસક્તિ અંતરાયરુપી બનતી હોય છે.

સામાજીક વ્યવહારમાં સદ્ આચરણ કેવું હોઈ શકે. જેમાં આપસી સંબંધોમાં પ્રામાણિકતા સાથે હિત-પ્રિત અને મીત હોય એને જ સાંસારિક સત્ય કહી શકાય.

સત્ય, ,'સત્'માં પરિવર્તિત થઈ શકે. પણ આ બંન્નેની ગેરહાજરીમાં અસત્યનું વજન વધી જતું હોય છે.

Tags :