સત્ય હી શિવ હૈ, શિવ હી સુંદર હૈ
બા રેય મહિનામા શ્રાવણ માસનો મહિમા ભક્તિમાં તરબોળ થવાનો છે. સ્તવન, ભજન-કિર્તન અને મંત્રોચારની અમૃતધારામાં નહાવાનો અવસર એટલે શ્રાવણ માસ. ભગવાન નીલકંઠને ગળે વળગાડવાની તક એટલે શ્રાવણ. સાથોસાથ વિવિધ તહેવારોની ઉજવણીમાં શ્રાવણી સુધાનું પાન પણ થઈ શકે છે. અબાલ વૃધ્ધ સૌના તનમનમાં ગજબનો શક્તિ સંચાર આ શ્રાવણીસુધાનું અમૃતપાન કરવાથી થઈ શકે છે. જે ઠેઠ દિવાળી સુધી ચાલે એટલુ માનવીને રિચાર્જ કરી શકે છે. વરસાદ, વનરાજી, અને કુદરીત સૌદર્ય માનવીને સોળે કળાએ ખિલવવામાં શ્રાવણમાસનો મહત્તમ ફળો છે.
શ્રાવણ માસમાં લોકોની વિચારધારા પણ બદલાતી હોય છે. વ્યસનીઓ વ્યસનો શ્રાવણમાસ પૂરતો ત્યાગ પણ કરતા હોય છે. દાઢી વધારવાનો મહિમા પણ થતો હોય છે. એકટાણા અને ઉપવાસ કરી શરીરનો કચરો પણ દૂર થતો હોય છે. રાત્રે ભજન-કિર્તનની રમઝટ માનવીના મનમાં આસ્તિકતાને જીવંત રાખે છે. શાસ્ત્રોનું શ્રવણ કરી માનવી શ્રાવક બનવાની કોશિષ કરતો હોય છે. દાનપુણ્ય અને દેવદર્શન કરીને માનવી ધન્યતા અનુભવે છે. ખરેખર તો શ્રાવણ એ કુદરતની રૂબરૂ થવાનું ટાણુ છે. આપણે પણ કુદરતનું જ ફરજંદ છીએ. તેથી કુદરતની વિરુધ્ધ જવું એટલે આપણું પતન.
- અંજના રાવલ