આ પણે ત્યાં એક ખુબ જ પ્રચલિક પંક્તિ છે : ચિત્રકૂટ કે ઘાટ પે, ભઇ સંતનકી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે, તિલક કરે રઘુવીર ।। સુખડના લાકડાંને પાણી સાથે ઓરસિયા પર ઘસવાથી ચંદન મળે છે જે શિવલીંગની પુજામાં ઉપયોગમાં લેવાય છે. તેમાં રંગ કે કેસર પણ ઉમેરવામાં આવે છે. બ્રાહ્મણો તથા પુજારીઓ કે સંતો કપાળે ચંદનનું ત્રિપુંડ કરે છે. ચંદનમાં શીતળતા તથા સુગંધના ગુણો રહેલા છે. ચંદન પાસેથી ઘસાઈને સુગંધ કેમ આપવી તે શીખવા જેવું છે.
સુખડમાંથી હાર, અગરબત્તી, અત્તર ધુપ વિ.બનાવવામાં આવે છે. આપણે ત્યાં કર્ણાટકનાં જંગલોમાં પુષ્કળ વૃક્ષો ચંદનનાં જોવા મળે છે. વર્ષો પહેલાં ચંદનનાં વૃક્ષોની ખુબ જ ચોરી પણ થતી હતી. આપણે ત્યાં નેતાઓ કે મહાનુભાવોની અંતિમ ક્રિયામાં ચંદનના લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે.
અષ્ટગંધ કે કેસર યુક્ત ચંદન પ્રભુને પણ પ્રિય છે. શિયાળા બાદ ગરમ કપડાં સાચવવા ઘણા લોકો વચ્ચે ચંદનના ટુકડા કે પાવડર રાખતા હોય છે.
ચંદનથી ચૈતન્યમાં વૃદ્ધિ થાય છે. મનની એકાગ્રતા વધે છે. મનનાં જાગૃતિ આવે છે અને ચંચળતા દુર થાય છે. સુખડ વિશે કહેવાય છે કે જે સુખના સગડ આપે તે સુખડ. કેટલાંક ગીતોમાં પણ ચંદનના શબ્દનો ઉપયોગ થયો છે. જેમકે ચંદન સા બદન (ર) ચંદન કા પલના રેશમ કી ડોરી- વિ.આ ઉપરાંત સરકારી ઓફિસો કે સંસ્થાઓમાં નેતાની છબીને સુખડના હાર પહેરાવવાની પ્રથા છે. આમ આપણાં જીવન સાથે ચંદન જોડાયેલું છે. ચંદનનો મહિમા અનોખો છે.
- ભરત અંજારિયા


