ધીરજનાં ફળ મીઠાં
ધીરજથી થતાં કામો શાંતિપૂર્વક, ચોકસાઈથી, ગણતરીપૂર્વક કરી શકાય છે જેમાં સફળતાની ટકાવારી એ પ્લસ ગ્રેડની હોય છે. ધીરજથી સ્વસ્થતા આવે છે, સ્વસ્થતા વ્યવસ્થાની સગી બહેન છે. વ્યવસ્થાને પછી કોઈ અવસ્થા નડતી નથી.
ધીરજ ધરે એ આગળ વધે. ધીરજ ખૂટે એટલે લય તૂટે. લય વિના સંગીત એટલે ટહુકા વગરની કોયલ. જીવન પણ એક સંગીત જ છે જેમાં ધીરજનું સ્થાન વાજાપેટી જેવું છે. ધીરજ એટલે ઉતાવળનો સદંતર અભાવ. કુદરત ક્યારેય ક્યાંય ઉતાવળ કરતી નથી. સૂર્યોદય સ્વીચ પાડો ને લાઈટ થાય એમ નથી થતો, ચાવી ફેરવોને ગાડી ચાલે એમ સૂર્યાસ્ત નથી થતો. ઉષા- સંધ્યાનું આકર્ષણ જ એટલા માટે છે કે એ ધીરે ધીરે થાય છે. છોડ વાવો ને તુરત ફૂલ નથી બેસતાં, ગોટલો રોપોને તુરત કેરી નથી બેસતી. પૂનમનો ચંદ્ર નિહાળવા પંદર દિવસની પ્રતીક્ષા ફરજિયાત છે. પ્રસૂતિ માટે નવ માસ લગભગ નિશ્ચિત હોય છે. આપણી ઉતાવળ જ ઘણાં કામો બગાડે છે. આ કહેવત કોણ નથી જાણતું ? ધીરજનાં ફળ મીઠાં- ધીરજ રાખી છે એને ફળી છે, નથી રાખી એને નિરાશા જ મળી છે. આમ છતાં માણસે ધીરજ ધરી છે ખરી ?
માણસને તો આજે બધું ય ઇન્સ્ટંટ- તાબડતોબ જોઈએ છે. ઓન લાઈન રહેવામાં લાઈફલાઈન જ ભૂલી ગયો છે. એ બસ પકડવા દોડે છે, ટ્રેઈન માટે દોડે છે, બાળકને સ્કૂલમાં મૂકવા- લેવા દોડે છે, ચાર રસ્તા ઉપર લાલ લાઇટ જોતાં જ એ લાલધૂમ થઈ જાય છે, ઓર્ડર આપ્યા પછી સ્હેજ વિલંબ થાય તો વેઈટર ઉપર પેપરવેઈટ મારવાનું જ બાકી રહી જાય છે. રેશનીંગની લાઈન, લિફટની લાઈન, બેન્કની લાઈન, લાઈટબિલની લાઈન, ટિકિટની લાઈન વખતે જે વાણીવિલાસ કાનોકાન સાંભળવા મળે છે ત્યારે ઘડીભર તો એવું થાય કે શું આ ભણેલાગણેલા માણસો નથી ? ધીરજની ખરી કસોટી તો પોલીસ સ્ટેશને અને હોસ્પિટલમાં તો કોઈને ન થાય તો જ નવાઈ ! અહીં ધીરજના અભાવે કેસ બગડી જાય છે.
શબરીએ ધીરજ ધરી તો શ્રીરામ સામે ચાલીને મતંગઋષિના આશ્રમે મળવા ગયા. પાંડવોએ બાર વરસ વનવાસને ધૈર્યથી શોભાવ્યાં, ચૌદ વરસનો વનવાસ લક્ષ્મણજીએ કઈ રીતે વિતાવ્યાં એની સાક્ષી રામાયણ પૂરે છે, હરિશ્ચદ્ર- તારામતીની ધીરજે રાજપાટ પાછાં અપાવ્યાં, તાંદુલની પોટલી લઈને મિત્ર શ્રીકૃષ્ણ પાસે ગયા પછી સુદામાની ધીરજે ભાગ્ય ખૂલી ગયાની અમરકથા કોણ નથી જાણતું ? એકલવ્યની ધીરજ બાણાવાળી અર્જુનથી ય આગળ નીકળી ગઈ, ધ્રુવની ધીરજે ઉત્તરમાં ડંકો વગાડયો, પ્રહ્લાદના ધૈર્યથી ધગધગતો થાંભલો ફાટયો ને પ્રભુ પ્રગટ થયા, ધીરજની પણ ધીરજ ખૂટી જાય તે આનું નામ. તુલસીદાસ કહે છે : ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારિ, આપતકાલ પરખુ હું ચારિ. ભણતરની કસોટીમાંથી પાસ થનારે જિંદગીમાં ધીરજની કસોટીમાંથી પાસ થવું જ પડે છે. ભણતર અને ગણતર ભેગાં મળ્યા પછી જિંદગીનું ચણતર મજબૂત બને છે પછી કળતર અને નડતરને દેશવટો મળે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોઇ;
માલી સીંચે સો ઘડા, ઋતુ આયે ફલ હોઈ.
ઇડાંમાંથી પક્ષીનું બચ્ચું બહાર આવવાનો સમય હોય છે, ઝરણમાંથી નદી સીધી જન્મ નથી લેતી, જપમાળામાં એકસો આઠ મણકા ફેરવ્યા પછી જ એક માળા ગણાય છે, મા જગદંબાની ચાલીસ લીટીઓની આરતી કે હનુમાન ચાલીસા એક મિનિટમાં નથી ગાઈ શકાતી, ભરતી- ઓટ માટે પૂનમ- અમાસની રાહ જોવી પડે છે, શિશુમાંથી યુવાન થતાં સોળ સોળ વરસ વીતી જાય છે,ખાધા પછી ખોરાકની પૂરી પાચનક્રિયાને પાંચ કલાક પૂરા કરવા પડે છે.
ધારાસભ્ય કે સંસંદસભ્ય બનવા પાંચ વરસ પછી જ ચૂટણી આવતી હોય છે, બસ સ્ટેશન કે રેલવેસ્ટેશન કે એરપોર્ટ ઉપર ગમે ત્યારે જઈને બેસી જાવ પણ બસ કે ટ્રેઈન કે પ્લેન એના નિયત સમયે જ ઉપડતાં હોય છે, શેરડીનો સાંઠો ધીરે ધીરે ખાઈ શકાય છે. લગ્ન માટે ઉંમરલાયક થવું પડે છે, મતાધિકાર કાયદા મુજબ જ પ્રાપ્ત થાય છે. કહેવાનો અર્થ અહીં એટલો જ છે કે ઘણાં કામો એવાં હોય છે કે જેમાં કોઈનીય ઉતાવળ કામે લાગતી નથી. એ માટે પ્રતીક્ષા કરવી પડે છે, રાહ જોવી પડે છે, ધીરજ ધરવી જ પડે છે.
હિંમત, સંયમ, ચતુરાઈ, સ્થળ, સમયને જાત ;
શૂરવીર થઈ જે ધીરજ ધરે, જગમાં બને પ્રખ્યાત.
ધીરજથી થતાં કામો શાંતિપૂર્વક, ચોકસાઈથી, ગણતરીપૂર્વક કરી શકાય છે જેમાં સફળતાની ટકાવારી એ પ્લસ ગ્રેડની હોય છે. ધીરજથી સ્વસ્થતા આવે છે, સ્વસ્થતા વ્યવસ્થાની સગી બહેન છે. વ્યવસ્થાને પછી કોઈ અવસ્થા નડતી નથી. સાંઈ બાબા આ વ્યવસ્થાના સંસ્થાપક કહી શકાય. શ્રદ્ધા.. સબૂરી.. આ સબૂરી એટલે જ ધીરજ. ગીતામાં વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ ભગવાને આ જ ધીરજને પોતાની વિભૂતિ (સંપત્તિ) ગણાવી છે- ધીરજનું પગેરૃ ભગવાન સુધી જાય છે. દુ:ખનું ઓસડ દહાડા- એ કહેવતનો અંગુલિનિર્દેશ ધીરજ ઉપર જ છે. જેણે જેણે જ્યાં જ્યાં ઉતાવળ કરવાની ભૂલ કરી છે ત્યાં ત્યાં તેણે નુકસાન જ વેઠયું છે.
ગમ ખાએ ધીરજ ધરે, સુધરે સઘળાં કામ, ઉતાવળા તે બાવરા કિંમત એક બદામ. ધીરજના ધંધામાં શૂન્ય આગળ એકડો લાગે છે જેનું મૂલ્ય દસગણું થઈ જાય છે. અને જે ઉતાવળ કરે છે તેમનો એકડો નીકળી જાય છે પછી મીડું જ બાકી રહી જાય છે. રાવણે સીતાહરણમાં ઉતાવળ કરીને એકડો નીકળી ગયો ને શ્રીરામે ધીરજ ધરી તો રાજ્યાભિષેકનો અવસર બની ગયો. સીડી ઉપર પહેલે પગથિયે પગ મૂકી આગળ વધાય છે. જે છેલ્લે પગથિયે એક જ કૂદકે પહોંચવા જાય છે. તે સીડી પણ ગુમાવે છે. ધીરજ ગુમાવવી એ કોઈને ય પોષાય નહિ.
સત્સંગ : જગતના માનવીની, એ જ સિદ્ધિ દાદ માગે છે, ભીતરમાં વેદનાઓ હોય, અને ચહેરે સ્વસ્થતા લાગે.
- પી.એમ.પરમાર