- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
આકાશમાંથી વરસતો મેઘ જેમ યોગ્ય-અયોગ્ય, શ્રેષ્ઠ-કનિષ્ઠ વગેરે સર્વ ક્ષેત્રોમાં વરસે છે, તેમ સદ્ગુરૂની કરૂણા પણ પરિચિત-અપરિચિત, સામાન્ય-શ્રેષ્ઠ વગેરે સર્વ ક્ષેત્રોમાં સમાનપણે વરસે છે... આકાશી મેઘ જેમ સર્વત્ર નિરપેક્ષપણે વરસે છે, તેમ સદ્ગુરૂની કરૂણા પણ સર્વજનો ઉપર નિ:સ્વાર્થપણે વરસે છે... સદ્ગુરૂની આ અદ્ભુત વિશેષતા નિહાળીને સંસ્કૃત સાહિત્યમાં અન્ય વપરાયેલું-પ્રસ્તુત વિશેષણ તેમના માટે વાપરવાનું મન અવશ્ય થઈ જાય કે 'દ્વ્ખઙ્ખપ્ક્ઙ્ખપ્ક્દૃછ' મતલબ કે સદ્ગુરૂ એ કરૂણાનું વિશાળ સેલ્સસેન્ટર છે. સદ્ગુરૂની આ કરૂણા કેવી ઉત્તમ હોય છે જાણવું છે ? તો યાદ કરીએ આગામી ૨ જાન્યુઆરી, પોષ સુદી-૧૪ ના મંગળદિને જેમનો આચાર્યપદપર્યાયના ૨૧મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે તે અમારા શાસનપ્રભાવક ગુરૂદેવ આચાર્યપ્રવર રાજરત્નસૂરિશ્વરજી મહારાજની જીવનઘટના :
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇલોલ ગામ સંબંધી આ વાત. આજથી લગભગ અઢી વર્ષ પૂર્વે હિંમતનગરના વખારિયાવાસ વિસ્તારના સંઘમાં જંગલમાંથી પ્રાપ્ત થયેલ પાંચ વિશાળ પ્રભુજીઓનો નૂતન શિખરબદ્ધ જિનાલયમાં પ્રતિષ્ઠામહોત્સવ યોજાયો ત્યારે ઈલોલ સંઘના ભાવિકો આવ્યા ગુરૂદેવ પાસે અને ખૂબ ઉત્સાહથી વિનંતી કરી કે 'સાહેબ ! આપે જેમ હિંમતનગર સંઘમાં સુંદર જિનમંદિરનિર્માણનું કાર્ય કરાવ્યું તેમ અમારા ઇલોલ સંઘમાં પણ કરાવો.' વાસ્તવિકતા એ હતી કે ઇલોલ સંઘમાં બે પ્રાચીન જિનમંદિરો હતા. એક હતું હજાર વર્ષ પ્રાચીન કુંથુનાથ જિનાલય અને બીજું હતું પાંચસો વર્ષ પ્રાચીન આદિનાથ જિનાલય. બંને જિનમંદિરો અતિ પ્રાચીન હોવાથી જર્જરિત અવસ્થામાં હતા. છેલ્લા ત્રણેક વર્ષથી ઇલોલ સંઘ તે માટે પ્રયત્ન કરતો હતો, પણ અનેક કારણોસર તે કાર્ય આગળ ન વધ્યું. સંઘ કો'ક પ્રભાવક ગુરૂદેવની શોધમાં હરતો જે આ કાર્ય ખૂબ સરળતાથી કરી આપે અને તે માટે તેઓ આવ્યા હતા ગુરૂદેવ પાસે. ઇલોલ સંઘનો કોઈ પૂર્વપરિચય નહિ. છતાંય ત્યાંના જિનમંદિરોનાં દર્શન માટે ગુરૂદેવ એક દિવસ માટે ઇલોલ પધાર્યા. જિનમંદિરોની સ્થિતિ નિહાળી અને જીર્ણોદ્ધાર કાર્ય માટે વિચારીને ઉત્તર આપવાનું જણાવી વિહાર કર્યો.
બન્યું એવું કે આ જ સમય દરમિયાન ગુરૂદેવની નિશ્રામાં અન્ય છ જિનાલયના કાર્યો જારી હતા. તેથી એક સાથે વધુ જવાબદારી ન થાય માટે તેમણે થોડા સમય પછી ઇલોલના અગ્રણીઓને ઉત્તર પાઠવ્યો કે 'હમણાં જીણોદ્ધાર કાર્ય માટે અનુકૂળતા નથી.' અલબત્ત, બીજા જ દિવસે ઇલોલના અગ્રણીઓ ગુરૂદેવ પાસે શેરીસા તીર્થે પધાર્યા. ગુરૂદેવે કહ્યું : 'ફેરો શા માટે કર્યો ? અમારો ઉત્તર મળ્યો નહિ ?' સંઘભાવિકોએ પ્રેમથી કહ્યું : 'સાહેબ ! આપના ઉત્તરમાં 'અનુકૂળતા છે' એમ લખવાના બદલે 'અનુકૂળતા નથી' એમ ભૂલથી લખાઈ ગયું છે. કાર્ય તો આપે જ કરવાનું છે.' સંઘનો આ પ્રેમાગ્રહ નિહાળીને ગુરૂદેવની કરૂણા વરસી પડી. એમણે સંઘવાત્સલ્યથી ઇલોલના જીર્ણોદ્ધારની જવાબદારી તો સ્વીકારી જ, પણ માત્ર બે વર્ષમાં ત્રણ શિખર, પાંચ ગર્ભગૃહ સહિતનું જિનમંદિર તૈયાર કરાવીને તાજેતરમાં જ માગસર માસમાં તેની અંજન-પ્રતિષ્ઠા કરવા સાથે ઇલોલના ધર્મશાળા નિર્માણ-સાધારણનિધિ આદિ કાર્યો પણ કરાવ્યા. કરૂણાળુ સદ્ગુરૂની આવી ઉત્તમ કરૂણાને વધાવતા અંતે એટલુ ંજ કહીએ કે 'કરૂણા તારી અલબેલી છે, મારાં જીવનનો તું બેલી છે...'


