મોટેભાગે આપણી દરેક શાળાઓમાં ઉપરનું સુત્ર જોવા મળે છે. એવી વિદ્યા જે માણસને મુક્ત કરે. માણસ મુક્ત રહેવાની કળા શીખી જાય તે જ વ્યક્તિ સાચા અર્થમાં વિદ્યાર્થી કહેવાય. જ્ઞાની કહેવાય. બાકીનું બધું જ જ્ઞાન માત્રને માત્ર માહિતી કહેવાય.
આપણે સૌ વિદ્યા પ્રાપ્ત કરીને ઘણીવાર બંધનમાં બંધાઈ જઈએ છીએ. વિદ્યાને આપણે અર્થોપાર્જન સુધી જ સિમીત રાખીએ છીએ. વિદ્યા માણસને અહંકારી, દંભી અને ચાલાક બનાવે છે જો એ પોતાની જાતને મુક્ત નથી રાખી શકતો તો.
બધું જ કરવા છતાં પોતે પોતાને આઝાદ પંછી સમજે છે તે જ સાચી મુક્તિ. હર્ષ, શોક, આનંદ, માન-અપમાન, ઓછું વધતું, મારું તારું જેવી બીજી અસંખ્ય લાગણીઓને માણસ પોતાનામાં હાવી ન થવા દે અને દરેક સમય-સંજોગ અને પરિસ્થિતિને સાક્ષી ભાવે જોઈને માત્ર દૃષ્ટા બનાવે છે તે જ મુક્ત રહી શકે. મુક્ત થવું એ કંઈ બચ્ચાના ખેલ નથી.
મુક્તિ ક્યાંક ડૂબકીઓ મારવાથી ન મળે. મુક્તિ માટે મનને મુક્ત રાખવું પડે. મનને મુક્ત રાખીને જ શાંતિ પ્રાપ્ત થાય. જે વ્યક્તિ પોતાની જાતને સાંસારિક નગણ્ય અને નજીવી ક્ષણિક લાગણીઓથી ખુદને બંધનમાં રાખી મોહાંધ બને એને ક્યાંથી સાચી મુક્તિ મળે ?
સાચી વિદ્યા એ છે જેના વિચારો ઊંચા ઊંચા થાય. જે પવિત્ર આત્માની વિચારોથી શુદ્ધિ કરે અને પોતાની જાતને કુદરતનું ઉત્તમ સર્જન સમજીને જાતને શણગારે.
સાચી મુક્તિની પરખ માટે જાતને યાત્રિક સમજવો પડે. હું તો બસ ફરવા આવ્યો છું, ક્યાં અહીં રહેવા આવ્યો છું ? સા વિદ્યા યા વિમુક્તયે જય માં શારદા જય સરસ્વતી માતા
- અંજના રાવલ


