શુક્રવાર તા. 27મીએ રથયાત્રા .
રથયાત્રાની આડે હજુ નવ દિવસ બાકી છે પરંતુ તેની પૂર્વ તૈયારીઓની ધામધૂમ જોવા મળી રહી છે. ભગવાન જગન્નાથ, ભગવાન સુભદ્રાજી, ભગવાન બળભદ્ર સરસપુર-મામાના ઘરેથી પરત આવશે ત્યારથી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટશે અને ભજનની રમઝટ જામશે.
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળતી રથયાત્રા ભવ્ય અને દિવ્ય હોય છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. આ રથયાત્રાનો પ્રારંભ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીના નેતૃત્વમાં ઇ.સ. ૧૮૭૮ની અષાઢી બીજથી પ્રારંભ થયો છે.
આ રથયાત્રાના પ્રારંભનો ઇતિહાસ એવું કહે છે કે, એકવાર બહેન સુભદ્રાજી પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યા હતા. તેમણે બંને ભાઈઓને વાત કરી કે, નગરના દર્શનની ઇચ્છા છે. તેથી તેમને એક રથમાં બેસાડયા અને બંને ભાઈ જગન્નાથજી અને બળદેવજી અલગ-અલગ રથમાં બેઠા. સુભદ્રાજીનો રથ વચ્ચે રાખવામાં આવ્યો હતો. દ્વારિકામાં આવી રીતે રથયાત્રા કાઢવામાં આવી હતી. તેની સ્મૃતિ રૂપે રથયાત્રા કાઢવામાં આવે છે.
ઇ.સ. ૧૮૭૯માં સરસપુરમાં પહેલીવાર ભગવાનનું મોસાળમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે મામાના ઘેર ભાણેજડાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આવી ભવ્ય અને દિવ્ય રથયાત્રામાં ભગવાનના દર્શન કરવાથી મનુષ્યના અસંખ્ય જન્મના પાપ નાશ પામી જાય છે. તેથી આવી રથયાત્રાના અચૂક દર્શનનો લાભ લઈને કૃતાર્થ બનવું જોઈએ. ભગવાનની નીકળતી રથયાત્રામાંથી આપણે ''જીવનયાત્રા'' કેવી રીતે કરવી જોઈએ તે પણ શીખવાનું મળે છે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાથે રાખીને આપણે આપણી જીવનયાત્રા કરીશું, તો આપણું જીવન સુખમય બની જશે. આપણે જીવનભર ભગવાનને ''સાથે'' અને ''માથે'' રાખીને યાત્રા કરવી જોઈએ. 'સાથે' એટલે કે, તેમને 'યાદ' કરીને જીવન જીવવું જોઈએ અને 'માથે' એટલે કે, હું જે ક્રિયા કરું છું તે ભગવાન જુએ છે. તેવા અનુસંધાન સાથે કરવી જોઈએ. ભગવાન જુએ છે, તેવી ભાવના દ્રઢ થશે તો આપણાથી કોઈ ખોટું કાર્ય નહિ થાય. ભગવાનની આજ્ઞા લોપાશે નહિ, અને આપણું જીવન સત્ય અને ધર્મને અનુશરણ કરનારું બની રહેશે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ