Get The App

આર્ય સમાજનાં પ્રવર્તક - મહર્ષિ દયાનંદ સરસ્વતી

Updated: Feb 17th, 2021

GS TEAM

Google News
Google News
આર્ય સમાજનાં પ્રવર્તક - મહર્ષિ દયાનંદ સરસ્વતી 1 - image

- મહાવદ દસમ 1824નાં રોજ એમનો જન્મ થયેલો. બાળપણમાં એમનું નામ મૂળશંકર હતું. ત્યારે જ તેમને માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારનો વારસો મળેલો. નાનપણમાંજ મૂળશંકરે શિવમંદિર જઈને નિર્ણય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે એને હું અનુસરીસ નહીં.


આર્ય સમાજનાં સ્થાપક મહર્ષિ દયાનંદજીએ ભારતીય ધર્મ શાસ્ત્રમાંના વેદધર્મનાં કાર્યને ઘણું આગળ વધારેલું. તેના પ્રચાર અને પ્રસારમાં યુવાવર્ગને તૈયાર કરેલો. ગુરુકુળ અને વિદ્યાલયોનું નિર્માણ કરાવ્યું. વેદધર્મ શું છે ? તે માટેનાં સામાન્ય જન સમજી શકે એવી સરળ, સાદીભાષામાં પુસ્તકો લખ્યા. વેદ અને સંસ્કૃત ભાષામાંનો સાહિત્યને હિન્દીમાં રુપાંતર કર્યું. એવી રીતે તેમણે દેશમાં ધર્મક્રાંતિનો ધ્વજ લહેરાવેલો.

મહાવદ દસમ ૧૮૨૪નાં રોજ મોરબીનાં ટંકારા ગામમા એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયેલો. બાળપણમાં એમનું નામ મૂળશંકર હતું. ત્યારે જ તેમને માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારનો વારસો મળેલો. નાનપણમાંજ મૂળશંકરે શિવમંદિર જઈને નિર્ણય કર્યો કે મૂર્તિપૂજા કરવી નિરર્થક છે એને હું અનુસરીસ નહીં.

એક શિવરાત્રિએ એમનાં પિતા, મૂળ શંકરને લઈને શિવપૂજન કરવા મંદિરે ગયા. તેઓએ આખી રાત પૂજા કરીને લાડુનાં પ્રસાદનો ભોગ ધરાવેલો. એ વખતે મૂળશંકરે ધ્યાનથી પિતાની કાર્યવાહી જોયા કરી, ત્યાં તેમનું અચાનક ધ્યાન ગયું કે ક્યાંકથી ઉંદર આવીને, શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ ખાઈ ગયા. આ દ્રશ્ય જોઈને મૂળશંકરનાં મનમાં વિચાર આવ્યો કે શિવજીની આવી હાલત ? ત્યારે જ મૂળશંકરને મૂર્તિ, પૂજા માટેનો મોહભંગ થઈ ગયો. એમને દુઃખ થયું. અને એમને જિંદગી પર વૈરાગ્ય આવી ગયો.

એ જ સમયે તેમને આધ્યાત્મિક યોગી બનવાની આંકાક્ષા જાગી. તેમણે યોગસાધના કરવાનું તથા પરમાત્માની પ્રાપ્તિ કરવાનું વિચાર્યું. એટલે એક દિવસ યોગ સાધના તથા સત્યની ખોજ કરવા ગૃહત્યાગ કર્યો. સંસારની ભૌતિકતાથી દૂર તેઓ પદયાત્રા દ્વારા છેક નર્મદાની નદીને કિનારે પહોંચ્યા. ત્યાંના આશ્રમમાં તેમણે પરમહંસ પરમાનંદજી પાસે વેદાંતનો અભ્યાસ કર્યો. આગળ જતાં તેઓ દંડી સ્વામીના પરિચયમાં આવ્યા અને તેઓ તેમના દ્વારકા સંઘમાં જોડાઈ ગયા. મુળશંકર દાંડી સ્વામીનાં જ્ઞાાનથી પ્રભાવિત થયા તો સ્વામીજી પણ મૂળશંકરના વિવેકથી પ્રસન્ન થયા. તેમણે મૂળ શંકરને દિક્ષા આપી' દયાનંદ સરસ્વતી'નું નામ આપ્યું. એક વર્ષમાં તેમણે ધર્મશાસ્ત્રનો ઉંડો અભ્યાસ કર્યો અને પછી કાશી તરફ પ્રયાણ કર્યું.

ત્યારબાદ દયાનંદજી એ કાશીમાં યોગાભ્યાસ કર્યો. આગળ હિમાલયમાં ઉગ્ર તપશ્ચર્યા કરીને આત્મજ્ઞાાન મેળવ્યું. આવી અવધૂત અવસ્થામાં દસ-બાર વર્ષની આકરી સાધના બાદ મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાનાં સ્વામી બની ગયા. છતાં પણ ત્યારે તેમના મનમાં વ્યથા રહેતી. આ દેશમાં વ્યાપી ગયેલા, ધાર્મિક પતન,દંભ, પાખંડ વગેરેને દૂર કેમ કરવા ? દેશની સંસ્કૃતિને સાચવવાનો એમને વિચાર આવતો. હિન્દુ સમાજનાં ઉદ્ધાર કરવા માટે તેમણે કઠોર પરિશ્રમ કરેલો કુરીતિઓને હાંકી કાઢવાની તેમણે ઘોષણા કરી. મૂર્તિપૂજાને નામે ચાલતા એ વખતનાં પાખંડને દૂર કરવા તેમણે લોકોમાં જાગૃતિ આણવાનું કાર્ય કર્યું.  પૂરા વિશ્વમાં ધર્મને સાચા અર્થમાં ફેલાવાનું અને સમાજમાં ખરી જાગૃતિને જગાવવાનું ભગીરથ કાર્ય સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીએ કર્યું. એમની જન્મતિથિ એ આપણા સૌનાં પ્રણામ હો..

- પરેશ અંતાણી