'મન મરે, માયા મરે, મરમર જાય શરીર; આશા, તૃષ્ણા ન મરે કહ ગયે સંત કબીર'
- પિતામહ ભીષ્મએ કરેલી ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ
શ્રીમદ્ ભાગવતજીનો પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. પ્રથમ સ્કંધના ૧૯ અધ્યાય છે. પ્રથમ સ્કંધમાં ત્રણ પરમ ભાગવત પુરુષોના ચરિત્રોનું નિરૂપણ કર્યું છે. જેમાં યુધિષ્ઠિરજી, વિદૂરજી અને પિતામહ ભીષ્મ. પ્રથમ સ્કંધના ૯ માં અધ્યાયમાં ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રની રણભૂમિમાં બાણશૈયા ઉપર પડયા-પડયા શ્રીકૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે.
ભીષ્મ પિતામહ કહે છે કે, 'હે દ્વારિકાધીશ જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડીને જાય નહિં ત્યાં સુધી તમે અહીંથી ક્યાંય જશો નહિં. તમે મારા નયનોના સામે રહેજો.' ભીષ્મ પિતામહે કુલ ૧૧ શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરી. જેમાં પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને અગિયારમું મન ઠાકોરજીને સમર્પિત કર્યું. ભીષ્મ સ્તુતિનો આરંભ 'ઈતિ' શબ્દથી થાય છે. 'ઈતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા:' - આમ જોવા જાવ તો કોઈપણ સ્તુતિનો આરંભ 'અથ:' શબ્દથી થાય. પણ, ભીષ્મ સ્તુતિનો આરંભ 'ઈતિ' શબ્દથી થયો છે. 'પુષ્પિતાગ્રા છંદ'માં ભીષ્મ પિતામહે ભગવાનની સ્તુતિ કરી છે. 'ઈતિ' શબ્દથી એવો નિર્દેષ કરવા માંગે છે કે, 'હે દ્વારિકાનાથ ! મારા જીવનનું અંતિમ પુષ્પ છે એનો તમે સ્વીકાર કરો.' ભીષ્મ પિતામહે મતિ ઠાકોરજીને સમર્પિત કરી. એ મતિ પણ તૃષ્ણાથી રહિત. સંત કબીર એમ કહે છે કે, 'મન મરે, માયા મરે, મરમર જાય શરીર; આશા, તૃષ્ણા ન મરે કહ ગયે સંત કબીર.' વ્યક્તિની આશા, તૃષ્ણા કદી નાશ નથી પામતી. પણ, ભીષ્મ પિતામહ તો પરમ ભાગવત પુરુષ છે અને એમની મતિ ભગવાનમાં છે. જેની મતિ કૃષ્ણમાં હોય એને કોઈ તૃષ્ણા સતાવે નહિં અને આવા ભાવથી ભીષ્મ પિતામહ ભગવાનને કહે છે કે, મારી મતિ તમારા સ્વરૂપમાં ખેંચાઈ છે. મારી મતિ તમારા શૌર્યમાં ખેંચાઈ છે. શૌર્યનું વર્ણન કરતાં ભીષ્મ પિતામહ કહે છે કે, 'કુરુક્ષેત્રની રણભૂમિમાં તમે અર્જુનના રથને લઈને આવ્યાં. તમારી દ્રષ્ટિ જેના-જેના ઉપર પડી એ બધા મૃત્યુ પામ્યા.' ભીષ્મ પિતામહ એમ કહેવા માંગે છે કે, બધું કર્તા-ધર્તા કૃષ્ણ જ છે.
ભગવાને બધાયનો 'તેજો વધ' કર્યો અને એટલે જ ભગવાન ગીતાજીમાં નિમિત્ત બનવાની વાત અર્જુનને કરે છે. ભીષ્મ પિતામહે પોતાની સ્તુતિમાં ગીતાજીને પણ યાદ કર્યાં છે. 'કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુનની કુમતિને તમે ગીતાજીના જ્ઞાનથી હરિ એવા હે પાર્થના સખા ! મને તમારા ચરણ કમળમાં રતિ થજો.' ભીષ્મ પિતામહે સ્તુતિમાં એમ કહ્યું કે, 'તમારું હાસ્ય વલગું છે.' શ્રીમદ્ ભાગવતજીના દ્વિતિય સ્કંધમાં હાસ્ય એ ભગવાનની માયા છે એવું નિરૂપણ કરવામાં આવ્યું છે. 'વલગું હાસ્ય અર્થાત્ સ્મિત માત્રથી ભગવાન અહંકારને હરવા વાળા છે.' બાળકના હાસ્યમાં નિર્દોષતા પ્રગટે, સંતના હાસ્યમાં કરુણા પ્રગટે, પત્નિના હાસ્યમાં પ્રેમ પ્રગટે, શત્રુના હાસ્યામાં શત્રુતા પ્રગટે, આ બધાના હાસ્યનો સરવાળો કરો તો ભગવાન શ્રીકૃષ્ણનું હાસ્ય થાય અને માટે જ પિતામહ ભીષ્મ કહે છે કે, 'તમારું હાસ્ય મધુર કહેતાં વલગું છે.'
મતિ, ગતિ અને રતિ ત્રણેય ભીષ્મ પિતામહે શ્રીકૃષ્ણમાં લગાવી અને એટલે જ સ્તુતિમાં શ્રીકૃષ્ણ ભગવાનના રાસનું પણ સ્મરણ કર્યું. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે રણભૂમિમાં રાસનું સ્મરણ શા માટે કર્યું ? તો તેનો ઉત્તર પણ સંતો આપે છે. તેઓ કહે છે કે, 'રણભૂમિમાં રાસનું સ્મરણ એટલા માટે કર્યું કે સામે ગોપીજન વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણ ઉભાં છે અને જ્યાં ગોપીજન વલ્લભ શ્રીકૃષ્ણ ઉભા હોય તે સ્થાન રણભૂમિ હોય તો પણ તે રાસની ભૂમિ થઈ જાય.'
આમ, ભીષ્મ પિતામહે સ્તુતિ દ્વારા ઠાકોરજીને પોતાની જાતનું સમર્પણ કર્યું અને જીવ જ્યારે પ્રભુને સમર્પિત થઈ જાય ત્યારે ભગવાન જ એના યોગક્ષેમનું વહન કરે છે. મન, વૃત્તિ, વાણી ભગવાનમાં જોડી ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો. બે પ્રકારની શ્રદ્ધાંજલિ અપાઈ - સાત્ત્વિક શ્રદ્ધાંજલિ અને રાજસી શ્રદ્ધાંજલિ. સાત્ત્વિક શ્રદ્ધાંજલિ દેવો અને ઋષિમૂનિઓએ આપી જ્યારે રાજસી શ્રદ્ધાંજલિ એ રાજા મહારાજાઓએ આપી. પણ, જેવી રીતે ભીષ્મ પિતામહ પ્રભુ પરાયણ હતાં એવી રીતે આપણે પણ પ્રભુ પરાયણ બનવું જોઈએ. પ્રભુ પરાયણ બની આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ, એ જ અભ્યર્થના સહ...
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી