Get The App

પંચગીતોનો પરિયચ .

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
પંચગીતોનો પરિયચ                                        . 1 - image


શ્રીમદ્ ભાગવત શાસ્ત્ર એ ભક્તિને પ્રગટ કરતું શાસ્ત્ર છે. શ્રીમદ્ ભાગવતજીનું હૃદય દશમ સ્કંધ છે. દશમ સ્કંધની અંદર પંચગીતો વર્ણવેલાં છે. જે પંચામૃત સમાન છે. સામાન્ય રીતે ભગવાનની પૂજા કરવી હોય તો વિના પંચામૃતે ભગવાનની પૂજા સફળ થતી નથી. શ્રીકૃષ્ણ ભગવાનની વાક્ પૂજા કરવા માટે દશમ સ્કંધના પાંચ ગીતો એ પંચામૃત સમાન છે. જેમાં દશમ્ સ્કંધના ૨૧માં અધ્યાયમાં વેણું ગીત, દશમ્ સ્કંધના ૩૧ માં અધ્યાયમાં ગોપી ગીત, દશમ્ સ્કંધના ૩૫ માં અધ્યાયમાં યુગલ ગીત, દશમ્ સ્કંધના ૪૭ માં અધ્યાયમાં ભ્રમર ગીત અને દશમ્ સ્કંધના ૯૦ માં અધ્યાયમાં મહિષી ગીત. 

દશમ્ સ્કંધના ૨૧માં અધ્યાયમાં વેણું ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાને જે વૃન્દાવનમાં વેણું નાદ કર્યો. ગોપીઓએ તે વેણું નાદ શ્રવણ કર્યો. ગોપીઓનું તન એ ઘરે છે પણ એમનું મન એ વૃન્દાવનમાં પહોંચી ગયું. એક-એક ગોપીઓએ વેણું નું વર્ણન કર્યું. ભગવાનનો વેણું નાદ વૃન્દાવનમાં હરણાઓએ પણ સાંભળ્યો. અર્થાત્ સજીવ સૃષ્ટિ અને નિર્જીવ, જડ, ચેતન, વૃક્ષો આ બધાએ વેણું નાદ શ્રવણ કર્યો. વેણું એ વૈષ્ણવ છે અને માટે જ એને ઠાકોરજીના મુખારવિંદમાં સ્થાન મળ્યું છે. વેણું ગીત એ વનાંન્તર વિયોગ છે. 

દશમ્ સ્કંધના ૩૧માં અધ્યાયમાં ગોપી ગીત વર્ણવવામાં આવ્યું  છે. વૃન્દાવનમાં દિવ્ય રાસલીલા ચાલતી હતી ત્યારે ગોપીજનોને અહંકાર આવ્યો કે ભગવાન અમારી સાથે જ રમી રહ્યાં છે. એ ગોપીજનોના અહંકારનું ખંડન કરવા માટે ભગવાન રાસમંડળમાંથી અંતરધ્યાન થયાં. ગોપીજનોએ ભગવાનના વિરહમાં જે ગીત ગાયું એ ગોપી ગીત. ગોપી ગીત એ પલ્કાંન્તર વિયોગ છે. ગોપીઓના ગાનથી ઠાકોરજી પ્રત્યક્ષ થયાં છે અને પ્રગટ થયાં છે. ભગવાનની અંદર પ્રિતી વધે એના માટે ગોપી ગીત શ્રવણ કરવું જોઈએ.

દશમ્ સ્કંધના ૩૫માં અધ્યાયમાં યુગલ ગીત છે. જે ભાવ વેણું ગીતમાં છે એ જ ભાવ યુગલ ગીતમાં છે. વેણું ગીતમાં એક-એક ગોપીજનોએ વેણું નાદનું વર્ણન કર્યું છે. પણ, યુગલ ગીતમાં ગોપીઓએ સમુહમાં વેણું નાદનું વર્ણન કર્યું છે.

દશમ્ સ્કંધના ૪૭માં અધ્યાયમાં ભ્રમર ગીત વર્ણવવામાં આવ્યું છે. ઉદ્ધવજી જ્યારે વ્રજભૂમિમાં ગયાં તે સમયે ગોપીજનોએ ભમરાને અનુલક્ષીને જે ગીત ગાયું તે ભ્રમરગીતના નામે પ્રસિદ્ધ થયું. ભ્રમર ગીતએ દેશાંન્તર વિયોગ છે.

દશમ્ સ્કંધના ૯૦માં અધ્યાયમાં મહિષી ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં મહિષી એટલે પટ્ટરાણી. ભગવાન શ્રીકૃષ્ણની ૧૬૧૦૮ પટ્ટરાણીઓએ ભગવાનની લીલાવિહારનું વર્ણન કર્યું. ભગવાનને ટીંટોડી સાથે સરખાવ્યાં. ટીંટોડીને કહે છે કે, હે ટીંટોડી તને ઉંઘ નથી આવતી !? ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાનું અખંડ જ્ઞાન છૂપાવી સુતા છે તું પણ સુઈ જા. ભગવાન શ્રીકૃષ્ણને હંસ સાથે સરખાવ્યાં. આમ, ભગવાનની લીલા વિહારનું વર્ણન પટ્ટરાણીઓએ કર્યું.

દશમ્ સ્કંધના ૨૧માં અધ્યાયમાં જે વેણું ગીત છે એના ૧૩ શ્લોકો છે. ૧૩ શ્લોકો એટલા માટે ગાવામાં આવ્યાં - પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને ચિત્ત આ તેર તત્ત્વો ગોપીજનોના ભગવાન શ્રીકૃષ્ણમાં લાગેલા હતા. ચૌદમું તત્ત્વ એ અહંકાર છે. ભક્તિમાર્ગમાં અહંકારને પ્રવેશ નથી માટે ૧૩ શ્લોકોમાં વેણું ગીત ગાયું. ગોપી ગીતના ૧૯ શ્લોકો છે. ભ્રમર ગીતના ૧૦ શ્લોકો છે. યુગલ ગીતના ૨૬ શ્લોકો છે અને મહિષી ગીતના ૧૦ શ્લોકો છે. દશમ્ સ્કંધના ૯૦માં અધ્યાયમાં શ્લોક નંબર ૧૫ થી મહિષી ગીતનો પ્રારંભ થાય છે.

દશમ્ સ્કંધના પંચામૃત સમાન આ પંચ ગીતો એ ભક્તિમાર્ગને પ્રગટ કરતાં ગીતો છે. તો આવો, જે ભક્તિની અનુભૂતિ વ્રજ ગોપીકાઓએ કરી એવી અનુભૂતિ આપણે કરીએ અને આપણા જીવનને કૃતાર્થ કરીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :