''૫ારકા માટે સુખ જતું કરનાર''
- બીજાને રાજી રાખનારની રગેરગમાં વહેતા લોહીનો હિલ્લોળ 'જીવી ગયાનો' ઉન્માદ જગાવે છે. ઉનાળાની ધગધગતી બપોરે તરસ્યાને શીતળ જળનો સ્પર્શ કરાવતાં થતો 'હાશ'નો કંપ અકલ્પ્ય સુખ આપે છે. જીવ જ્યારે પ્રફૂલ્લિત હોય ત્યારે સુખના આનંદની માત્રા પોષાતી હોય છે
દેવવ્રતને છેલ્લા કેટલાય દિવસોથી પિતાજીની ઉદાસી બેચેન કરતી હતી. ભીતર ભીની લાગણીવાળા દેવવ્રતમાં પિતાની વ્યથાનો નાડી ધબકાર સાંભળવાની આંતરસૂઝે હતી. તેનો પિતૃપ્રેમ ઉપરછલ્લો નહિ અંતરછલ્લો હતો. એક દિવસ તેણે પૂછયું ''પિતાજી, તમારા જીવનમાં બધુ કુશળ-મંગળ છે. બધું જ તમારા તાબામાં છે. આસપાસના રાજાઓ પણ તમારા કહ્યામાં છે. (તત્ કિમર્થમીહાભીક્ષ્ણં પરિશોચસિ દુખિતઃ) તો પછી તમે કયા કારણે દુઃખી થઈને શોક અને ચિંતામાં ડૂબેલા છો ?'' ત્યારે પિતાએ કહ્યું, ''દેવ, તું મારો વહાલો પુત્ર છે. મારો અસલી વારસદાર છે મને ફક્ત તારી જ ચિંતા સતાવે છે!'' દેવવ્રત પિતાજીની વાતનો મર્મ સમજી ના શક્યો. તે રાજ્યના વૃદ્ધ પ્રધાનમંત્રીને મળ્યો. તેમણે કહ્યું, ''દેવવ્રત, મહારાજને એક કન્યા ગમી ગઈ છે. તેની સાથે વિવાહ કરવા ઈચ્છે છે.'' દેવવ્રતે વિચાર્યું એમાં અડચણ ક્યાં છે ? વાંધો શું છે ? છેવટે તે વાતનું મૂળ પામવા મહારાજના સારથિને મળ્યો. તેણે કહ્યું ''એકવાર મહારાજ શિકાર કરવા ગયા હતા. ફરતા ફરતા તે યમુના નદીને કિનારે આવ્યા. ત્યાં તેમણે અપૂર્વ સુંદર યુવતિને હોડી ફેરવતી જોઈ. તેનું દિલકશ રૂપ જોઈ રાજા મોહિત થઈ ગયા. તે તરત યુવતિના પિતાને મળ્યા. કન્યાની માગણી કરી. પણ કન્યાના પિતાએ વિવાહ માટે એક શરત મૂકી.'' ''અસ્યાં જાયતે યઃપુત્રઃ.... નાન્ય કશ્વન પાર્થિવ''- સંભવપર્વ. ''હે રાજન, ભવિષ્યમાં આ કન્યાના ગર્ભથી પુત્ર થશે તો આપના ગયા પછી એ જ પુત્ર હસ્તિનાપુરની રાજગાદી સંભાળશે - બીજો કોઈ નહિ!'' આ વાત સાંભળી મહારાજ અસ્વસ્થ થઈ ગયા. મહારાજ તમને પ્રાણથી પણ અધિક ચાહે છે એ તમને જ રાજગાદી સોંપવા ઈચ્છે છે. તેથી તે દુવિધામાં છે, તેમનું મન તડપી તડપીને વિલાપ કરી રહ્યું છે. ''કોઈને કહેવાય નહિ એવું દર્દ મનમાં માળો બાંધી રહ્યું હોય ત્યારે આંસુ આંખમાંથી નહિ હૃદયમાંથી ટપકે છે. દેવવ્રતે વિચાર્યું. માણસને ટૂંટિયું વળાવી દે એવી વેદનાની સૂસવતી ટાઢમાં જો તાપણા જેવો વહાલપનો ગરમાવો ના મળે તો લાગણીના સંબંધનો અર્થ શો ? તે તરત નિષાદરાજ પાસે પહોંચ્યો. નિષાદરાજે એકવાર ફરી શરતની વાત ઉચ્ચારી. દેવવ્રતે વિશ્વાસપૂર્વક ખાત્રી આપી.'' આપની કન્યા સત્યવતીના ગર્ભથી જે પુત્ર થશે એ જ અમારો રાજા બનશે. ''પણ નિષાદરાજનું મન માનતું નહોતું. તેણે શંકા વ્યક્ત કરી.'' હે દેવવ્રત તમે કહો છો એમાં જરાય સંદેહ નથી. પણ ભવિષ્યમાં તમારો પુત્ર થાય અને તે આ પ્રતિજ્ઞાની વાતમાં દૃઢ ના રહે તો ?'' એટલે દેવવ્રતે સંકલ્પ કર્યો. (યાવત પ્રાણાધ્રિયન્તે... સત્યં બ્રવીમિ તે) હે નિષાદરાજ, જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી વિવાહ નહિ કરૃં (મારે કોઈ સંતાન નહિ થાય) હું પ્રતિજ્ઞા લઉં છું. આજીવન બ્રહ્મચર્ય પાળીશ અને રાજગાદીનો ત્યાગ કરીશ. હવે તમે પિતાજી માટે કન્યા સોંપી શકો છો.'' આમ પુત્ર દેવવ્રત સત્યવતીને લઈને હસ્તિનાપુર આવ્યો. શાંતનું અને સત્યવતીના વિવાહ થયા. આખું હસ્તિનાપુર દેવવ્રતની પિતૃભક્તિ જોઈને ગદ્ગદ્ થઈ ગયું. પિતાએ દેવવ્રતને 'ભીષ્મ'ની પદવી આપી અને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું. ત્યારથી દેવવ્રત 'ભીષ્મ' કહેવાયા.
શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક કવિતામાં કહ્યું છે. માણસને હસ્તરેખામાંથી નથી મળતું એ ક્યારેક બીજાએ તમારા માટે જતા કરેલા સુખમાંથી મળે છે. જેમ માણસ માટે ઘર, પંખી માટે માળો, કરોળિયા માટે જાળું કે વૃક્ષ માટે મૂળ હોય છે એમ જીવન માટે સદ્ભાવના અનિવાર્ય છે. શિવજીને પામવા પાર્વતીજી તપ કરતાં હતાં ત્યારે મગરમચ્છની પકડમાંથી એક બાળકને છોડવવા વર્ષોના તપનું પુણ્ય જતું કરી અર્પણ કરી દીધું હતું. શ્રી રામે - પિતાજીએ આપેલા વચનને સિધ્ધ કરવા રાજમહેલનો એશોઆરામ છોડી દીધો હતો. બીજાને રાજી રાખનારના શરીરની રગેરગમાં વહેતા લોહીનો હિલ્લોળ 'જીવી ગયાનો' ઉન્માદ જગાવી દે છે. ઉનાળાની ધગધગતી બપોરે તરસ્યા કંઠને શીતળ જળનો સ્પર્શ કરાવતાં થતો 'હાશ'નો કંપ - અકલ્પ્ય સુખ આપે છે. માણસનો જાગૃત જીવ જ્યારે પ્રફૂલ્લિત હોય ત્યારે મનના ગર્ભમાં આકારાતા પર-સુખના આનંદની માત્રા પોષાતી હોય છે.
સાહિત્યકાર એચ.જી.વેલ્સની માતા નોકરાણી તરીકે કામ કરતી હતી. અને હવા ઉજાસ વગરના નાના ભંડકિયામાં રહેતી. વેલ્સ જ્યારે પગભર થયા ત્યારે તેમણે એવું મકાન બનાવ્યું જેમાં નાના નાના નોકરો સુખ સગવડ પૂર્વક શાંતિથી રહી શકે! - જો કે વેલ્સ જાતે એક ટેબલ અને પથારી પથરાય એટલા નાના રૂમમાં રહેતા. જેની બુધ્ધિ શંકા-કુશંકાથી બીજાના વ્યક્તિત્વનો ચોકી પહેરો કરતી હોય તે પ્રેમ ના કરી શકે, સધિયારો ના આપી શકે. અને જે પ્રેમ ના કરી શકે તે જતું પણ ના કરી શકે.
ઉતાવળ હોવા છતાં ભીડમાંથી કોઈને રસ્તો પસાર કરી આપનાર, લાંબી લાઈનમાં પાછળ ઉભેલા કોઈ બુઝુર્ગને આગળ જગ્યા આપનાર, રસ્તે ઘાયલ પડેલાને સહેજ મદદ કરી ફૂટપાથ પર બેસાડી સાંત્વના આપનાર... આવા લોકો બીજાને ખુશ કરવા લાગણીથી છલોછલ હોય છે. ક્યારેક સુખનો બંધ દરવાજો કોમળ વાણી કે મધુર શબ્દોની ચાવીથી તરત ખુલી જાય છે. કોઈને બધું ભૂલીને કટોકટી ટાણે મદદ કરીએ ત્યારે તેની સ્મરણ ડાયરીમાં આપણું નામ સુવર્ણ અક્ષરે લખાઈ જાય છે. કોઈ ભૂખ્યાને આપણા ભાગમાંથી આપેલા રોટલાને ખવાતો જોઈને એ ખાધા વગરના રોટલાનો સ્વાદ મઝેદાર લાગે છે.
બી.બી.સી. પર 'ધ સુલતાન ઓફ ચેસ' નામની ફિલ્મ પ્રસારિત થઈ હતી. પંજાબથી રસોયણ તરીકે લંડન ગયેલી એક યુવતિ શતરંજમાં 'માસ્ટર' થઈ હતી. એક T.V. ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું - ''સર, હું વિન્સ્ટન ચર્ચિલ સાથેય રમી છું.'' ''એમ? તમારામાંથી કોણ જીતતું ?'' ત્યારે યુવતીએ કહ્યું ''સર, લોર્ડ ચર્ચિલને થોડા હારવા દેવાય!? તેમને રાજી રાખવા હંમેશા હું હારી જતી - જાણી જોઈને !'' બીજાને સુખ આપવા પોતાનો આનંદ જતો કરનાર પણ હોય છે.
- સુરેન્દ્ર શાહ