એક એવો ભગવાન (શ્રીનાથજી) જે ભક્તોને સ્વયં હાથ ઉંચો કરીને બોલાવે છે !
ના થદ્વાર એટલે પ્રભુને મળવાનો દરવાજો - દ્વાર! નાથદ્વારામાં શ્રીનાથજીનું સાક્ષાત્ સ્વરૂપ બિરાજે છે. પુષ્ટિ માર્ગના આરાધ્ય દેવ છે આ એક જ એવા દેવ છે પોતાનો હસ્ત ઉંચો કરી ભક્તોને બોલાવે છે અને તેમને શરણમાં લે છે. શ્રીમદ ભાગવતને શ્રીનાથજીનું સ્વરૂપ મનાયું છે. શ્રીનાથ પ્રભુની જમણા હાથની મુઠ્ઠી વાળેલી છે. તે ભક્તોને આશીર્વાદ આપતી લાગે છે. ભક્તોને આકર્ષે છે. ઉંચા ડાબા હાથમાં શ્રી ગોવર્ધન પર્વત ધારણની ભાવના છે. ડાબો હાથ રસ સ્વરૂપ છે. શ્રીનાથજીનો વર્ણ નવલા મેઘ સમો શ્યામ છે. વૈષ્ણવો એકવાર શ્રીનાથજીના દર્શન કરે તો કાયમી રંગ લાગી જાય છે.
''શ્રીજી મેરા ઐસા રસિયા
મુજને બોલાવે વ્હાલો ઘડી ઘડી''
વારંવાર ભીડમાં ધક્કા ખાવા પડે પણ તેની શ્રધ્ધા ડગતી નથી.
''સાચા સગા છો શ્રીનાથજી
સાચા સગા છો શ્રીનાથજી
અખિલ બ્રમાંડમાં ઈશ છે મહાપ્રભુ
જગતની દોરી છે જેને હાથજી.''
પરમાનંદની પ્રાપ્તિ કરવી હોય તો નાથદ્વારાના શ્રીનાથજીના વ્હાલા થઈ જાવ. ભક્તિ માર્ગમાં મોક્ષ મેળવવા પાયાની શરત પ્રભુનો આશ્રય છે. (આશ્રય એટલે શરણાગતિ)
''શ્રી કૃષ્ણ શરણં મમ'' આ મંત્રથી આશ્રય સિદ્ધ થાય છે. વ્રજભાષામાં માનવાચક શબ્દ 'બાવા' એટલે શ્રીજી બાવા કહેવાયા.
નાથદ્વારામાં મંગલા આરતી વખણાય છે. ભક્તો માને છે કે મંગલા આરતી કરે તેનું સદાય મંગલ થાય છે.
''મંગલા મુખી સર્વદા સુખી !''
- બંસીલાલ જી. શાહ