Get The App

સમય નથી .

Updated: Jun 16th, 2021

GS TEAM


Google News
Google News
સમય નથી                                      . 1 - image


- નવા જીવનનું પ્રભાત પ્રગટી ચૂક્યું છે... કુકડો બાંગ પોકારી રહ્યો છે...હવે સુવાનો આ સમય નથી, જાગવાનો અને જગાડવાનો સમય થઈ ગયો માટે જાગો.. જાગો.. જાગો..

શ્રી મદ્  ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, 'શરીરનો ત્યાગ કરી જીવાત્મા પોતે કરેલા સદ્કાર્યોનું પુણ્ય સાથે લઇ જઇને તદ અનુસાર નવો જન્મ ધારણ કરે છે. આમ છતાં સમાજનો એક બહોળો વર્ગ સેવાના સદ્કાર્યો જેવા કે - સમાજ સેવા, પ્રભુ દર્શન, ઇશ્વર પૂજા, પાઠ, સત્સંગ, હરિનામ સંકીર્તન, મંત્ર જાપ કે હરિકથા શ્રવણ જેવા પુણ્ય અર્જીત કરવાના પ્રસંગો પ્રાપ્ત થતાં  'સમય નથી' એ તકીયા કલામ બહાનું આગળ ધરી દે છે. અને આમ કરવાથી જીવનમાં મળેલી અમૂલ્ય તકને ગુમાવી બેસે છે.

તો બીજી બાજુ ગીતાજીના 'કર્મ અને પુનર્જન્મ'ના બકાટય સનાતન સિધ્ધાંતને ઉવેખીને મરણ બાદ જે કર્મોની જીવાત્માને કોઈ ખપ નથી એવા કાર્યો જેવા કે - નાટક, સિનેમા, ટી.વી. જોવું, જગતની ચોવટ અને નીંદા ટીકા કરવી, મિત્રો-બહેનપણીઓ સાથે ગપ્પા મારવા, રખડવુ આળસમાં નિષ્ક્રીય થઇ આરામના બહાને પડયા રહેવું, વ્યશનમાં સંપત્તિ અને મોબાઈલમાં કિંમતી સમયનો વ્યય કરવો, લગ્ન પ્રસંગ જેવા વહેવારિક કાર્યો માટે અતિ વ્યસ્તતા વચ્ચે સમય કાઢી લેવો કે રોજગાર ધંધા બંધ રાખવાની અનુકુળતા કરી લેવી, ગંદા અશ્લિલ સાહિત્યના વાંચન માટે સમયની અનુકૂળતા કરી લેવા આ અને આવા બીજા કાર્યો માટે વ્યક્તિને સમયનો અભાવ નડતો નથી !

જો મનુષ્ય પાસે ખરેખર સમયનો અભાવ હોય તો 'સમય નથી'ની ફરિયાદ કરનાર વ્યક્તિ ઉપરોક્ત કાર્યો માટે સમય ક્યાંથી અને કેવી રીતે મેળવી લેતી હશે ? બુધ્ધિશાળી માનવ જિંદગીનો અતિ કિંમતી સમય શા માટે બરબાદ કરતો હશે ? વ્યક્તિ પાસે પોતાના હિતાર્થે પણ સમય ન હોય તેને માનવ જીવનની કરુણતા જ કહી શકાય !

 'સમય નથી'ના રોદણાં રળતી વ્યક્તિ જેની પાસે ફરિયાદ કરે છે તે વ્યક્તિ પણ આજ મનોવૃત્તિનો ભોગ બનેલી હોય છે આથી 'આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા'ના ન્યાયે 'નો ટાઈમ' સૂત્ર સમાજમા સાર્વત્રિક વ્યાપક બની રહ્યું છે. મનની શાંતિ તથા આત્માનો આનંદ પ્રત્યેક વ્યક્તિ ઇચ્છે છે પણ એ પ્રાપ્ત થાય છે પુણ્ય અર્જીત સદ્કર્મોથી એ જાણવા છતાં આવા કાર્યો માટે આપણી પાસે 'ટાઈમ' ન હોય એવી વિટંબણા

'સમય નથી' એ તર્ક એક બહાનુ છે, દંભ છે તેમજ આત્મા અને ઇશ્વર સાથે અસત્યનું આચરણ પણ છે. એમ કહી શકાય કે સમયનું આયોજન કર્યા વગર આડેધડ  જીવાતી આ જિંદગી છે. કળીકાળના માનવીએ સત્ય બોલવાની હામ ગુમાવી  દીધી એટલે આ 'સમય નથી'નો આશરો લીધો, નહિતર તેણે એમ બોલવું જોઇએ કે 'પુણ્ય અર્જીત કાર્યો માટે મારી દાનત નથી' થોડી વાર માની લઈએ કે 'સમય નથી' એ સત્ય હોય તો તેને સમય ક્યાં દિવસે કઇ ઉંમરે, ક્યારે, કેવી રીતે મળશે ? આ પ્રશ્નોનો જવાબ તેની પાસે હોવો જોઇએ. એ આ જવાબ પણ ન હોય તો તેનો અર્થ એ કરી શકાય કે મનુષ્ય 'સમય નથી'ના સહારે ભૂતકાળમાં જીવી ગયો, વર્તમાનમાં એજ સહારે જીવશે અને ભવિષ્યમાં મૃત્યુ પર્યંત ખાલી હાથે જીવી જગતમાંથી જતો રહેશે.

મૃત્યુ બાદ પરમાત્મા પ્રત્યેક માનવ જીવાત્માને પહેલો પ્રશ્ન એ પૂછશે કે, 'મેં તને રાજકુમાર અને પ્રાણીઓનો મુગટ મણી બુધ્ધિશાળી પ્રાણી બનાવી ધરતી પર એટલા માટે મોકલ્યો હતો કે તું મારા અધુરા રહેલા કાર્યોને પુરા કરી શકે. તે રાષ્ટ્ર માટે,ધર્મ માટે, સંસ્કૃતિ માટે સમાજ માટે, પતિત અને પીડીતો માટે શું કર્યું ?'

જવાબ પડશે આપવો, કાંટાની જેમ ખૂંચશે, એટલું યાદ રાખજો, પ્રભુજી તમને પૂછશે. કાંટા જેવો આ પ્રશ્ન માનવ તને ગેંગેં ફેંફેં કરાવી દેશે.

કોરોના કાળ બાદ પરિવર્તન પામતા જગત, પ્રકૃતિ, સમય અને સંજોગ સાથે અનુભવમાંથી બોધપાઠ લઇ જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે, દિવાલ પર લખાયેલા નૂતન સૂત્રો વાંચીને સત્યનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. પોતાના વિચાર, વાણી વર્તન અને વ્યવહારમાં પરિવર્તન લાવવું પડશે, માન્યતા, ખ્યાલ, આદત, અનુમાન, પૂરાની પરંપરાઓ, રીતરીવાજ, મૂઢ માન્યતાઓ, અંધશ્રધ્ધા, વહેમ, અધર્મ, અનીતિ, અપ્રામાણિકતા, કાળા બજાર, ભ્રષ્ટાચાર, ખટપટના જીવનનો ત્યાગ કરી નૂતન જીવનનો પ્રારંભ કરવો પડશે. નવા સમયના નવા જમાનામાં વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ સાથે કદમ મિલાવી સમાજ સેવાના પુણ્ય અર્જીત સદકાર્યો માટે પ્રામાણિકતાથી પુરુષાર્થ કર્યા વગર કોઈ આરોવારો આવનારા સમયમાં રહેવાનો નથી.

સમાજ સેવાના પુણ્યઅર્જીત સદકાર્યો માટે 'સમય નથી' આ રેકર્ડ  ખૂબ વગાડી, ખૂબ સાંભળી હવે એ જુની પુરાણી, જીર્ણ થઇ ગઈ ! સેવાસત્કાર્યના અભાવે વ્યક્તિ માટે દવાખાનાનો દરવાજો ખુલી ગયો ! જેનાં ભયંકર પરિણામ મનુષ્ય જાતીએ ભોગવ્યા અને ભોગવ્યા વગર છૂટકો પણ ન રહ્યો ! 'સમય નથી' આ બહાના વૃત્તિનો હવે જો ત્યાગ કરવામાં નહિ આવે તો કોરોના કરતા પણ વધારે ગંભીર સમસ્યાઓ સુરસા રાક્ષસીની જેમ મોં ફાડી ઉભી રહેશે. આથી સમયનો તાલમેલ બેસાડવા સમય પત્રકના સહારે જીવવાની આદત પાડવી પડશે. અને એના સહારે સુનિશ્ચિત આયોજન કરવું પડશે. મનુષ્ય જાતીને કોરોના એ આપેલો આ મહાકાળનો સંદેશ છે ! જેને આવનારા સમયમાં ઉવેખી નહિ શકાય, નજર અંદાજ નહિ કરી શકાય.

'સમય નથી' તે કેલેન્ડરના ફાટેલા પાનાને પાછું ચીપકાવી દેવાથી વિગત દિવસ વર્તમાન બની શક્તો નથી એ પાનાને કચરા ટોપલીમાં નાખી આપણે નવો દિવસ, નવી રીતભાત નવી સોચ, નવા મૂલ્યો, નવા સત્યો, નવી રહેણી-કરણી, નવા શ્રેષ્ઠ આદર્શો, સાથે નવી  જીવનશૈલીનો આરંભ કરીએ. વિગત સમયનું ભૂતકાળનું સૂત્ર હતું, 'જેટલું થાય તેટલું કરવું' પરંતુ નૂતન સમાજનું સૂત્ર હશે, 'જેટલું કરીએ તેટલું થાય' આ સૂત્રને આધાર બનાવીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશે.

 નવા જીવનનું પ્રભાત પ્રગટી ચૂક્યું છે... કુકડો બાંગ પોકારી રહ્યો છે...હવે સુવાનો આ સમય નથી, જાગવાનો અને જગાડવાનો સમય થઈ ગયો માટે જાગો...જાગો...જાગો...

- હરસુખલાલ સી.વ્યાસ

Tags :