Get The App

ગુરુ નાનકના જીવનના પ્રેરક- પ્રસંગો..

- ગુરુ નાનક બોલ્યા: 'માણસ માણસને શું આપી શકે છે ? મારે જો કંઈ માગવું હશે તો હું પરમાત્મા પાસે માગીશ. જે મનુષ્ય તો શું રાજા સુધ્ધાંને આપે છે.' આ સાંભળી બાબરે કહ્યું: ' તો આપ જ મને કંઈક આપી દો.'

Updated: Nov 26th, 2020

GS TEAM

Google News
Google News
ગુરુ નાનકના જીવનના પ્રેરક- પ્રસંગો.. 1 - image


શી ખ ધર્મના સ્થાપક ગુરુ નાનક બાળપણથી જ ખૂબ ઉદાર અને દયાળુ હતા. તેઓ કોઈને કષ્ટ આપવાનું જાણતા ન હતા. તેમને સંતોની સેવા અને સત્સંગમાં ખૂબ આનંદ આવતો હતો. ઘરનાં માણસો તરફથી જે કામ કરવાનું તેમને સોંપવામાં આવતું તે કામ તેઓ ખૂબ નિષ્ઠાથી કરતા.

એકવાર તેમના પિતાએ તેમને ખેતરમાં પાકની રખેવાળી કરવાનું કામ સોંપ્યું. ત્યાંતો કેટલીક ગાયો આવીને પાક ખાવા લાગી. અને આખું ખેતર ચરી ગઈ. આ વાત જાણી પિતાએ તેમને કહ્યું: ' તેં ગાયોને ભગાડી કેમ નહિ ?' નાનકે કહ્યું:' મેં તો એમને ખૂબ ના કહ્યું પરંતુ તેઓ એટલી ભૂખી હતી કે માની જ નહિ.' પિતાએ ગુસ્સે થઈને કહ્યું: 'તેં ગાયોને બેચાર ડંડા કેમ ચોડી ના દીધા ?' તેમણે કહ્યું:' એ ભૂખી ગાયોને ડંડાથી મારવાનું પાપ હું કેવી રીતે કરું ? તેઓ બિચારી ખુદ તો ખેતી કરતી નથી અને માણસોના સહારે રહે છે. આપણી ખેતીમાં ભગવાને એમનો પણ અંશ રાખ્યો હશે ત્યારે જ તો તે આવીને ખાઈ ગઈ. નાનકની એવી વાત સાંભળી તેમના પિતા અવાક બની ગયા.

એકવાર ગુરુનાનક પોતાના ખેતરના એક ઝાડ નીચે છાયામાં સૂતા હતા. એવામાં ગામની એક પરિચિત વ્યકિત ત્યાંથી નીકળી. તેણે જોયું તો ગુરુનાનક સૂઈ ગયા છે અને તેમના માથા પર એક સાપ ફેણ ફેલાવીને નજીક બેઠા છે. તે આ કૌતુક જોવા માટે આગળ વધ્યો તો સાપ અવાજ થતાં જતો રહ્યો. એ માણસે નાનકને જગાડયા અને સાપ વાળી વાત જણાવી. એ વ્યક્તિએ સાંભળ્યું હતું કે જેના માથા પર સાપ ફેણની છાયા કરી દે છે તે ખૂબ ભાગ્યવાન અને ભવિષ્યમાં ખૂબ મોટો માણસ થાય છે. આ વાત તેણે નાનકના પિતાને જણાવી અને કહ્યું: 'ભાઈ ! તમારા છોકરા પાસેથી જેવું તેવું કામ ન લેશો. તે બહુ મોટો માણસ છે. સંસારમાં ખૂબ કીર્તિ મેળવશે. એને કોઈ સારા કામમાં લગાડો.

એકવાર નાનકના પિતાએ તેમને રૂપિયા આપ્યા. અને કહ્યું:' તને બહુ મહાન વ્યક્તિ ગણવામાં આવે છે. તું કંઈ કામ કાજ કરીને ઘન કમાય, તો હું માનું કે તું મહાન છે.'

ગુરુ નાનક પૈસા લઈને ધંધો કરવા ગયા તો રસ્તામાં સૌથી પહેલી મુલાકાત ભૂખ્યા-તરસ્યા ભિખારીઓ સાથે થઈ. નાનકને તેમની દશા પર ખૂબ દયા આવી. તેમણે તે બધા ગરીબોને ભોજન કરાવ્યું અને કપડાંલત્તાં લઈ આપ્યાં. જે પૈસા બચ્યા, તેને લઈને આગળ વધ્યા તો તેમને સાધુ-સંતોનો મેળાપ થઈ ગયો. તેમણે તેમની સાથે ખૂબ સત્સંગ કર્યો અને બધા પૈસા તેમની સેવામાં ખર્ચી નાખ્યા. જ્યારે નાનક સત્સંગનો લાભ લઈને ઘેર પાછા ફર્યા તો તેમના હાથ સાવ ખાલી હતા. આમ ત્યાગ અને સેવાના ગુણોના કારણે નાનક મહાન સંતના રૂપમાં પ્રખ્યાત થયા.

જ્યારે બાબરે અમીનાબાદને જીતીને પોતાના રાજ્યમાં ભેળવી દીધું તો ગુરુનાનક અને તેમના શિષ્યને પણ જેલમાં જવું પડયું. થોડા દિવસો પછી અધિકારીઓ દ્વારા નાનકની આધ્યાત્મિક શક્તિ વિશે સાંભળીને બાબર તેમને મળવા આવ્યો. અને તેમને ભેટ સ્વરૂપ કંઈક માગવાનું કહ્યું. ગુરુ નાનક બોલ્યા: 'માણસ માણસને શું આપી શકે છે ? મારે જો કંઈ માગવું હશે તો હું પરમાત્મા પાસે માગીશ. જે મનુષ્ય તો શું રાજા સુધ્ધાંને આપે છે.' આ સાંભળી બાબરે કહ્યું: ' તો આપ જ મને કંઈક આપી દો.' નાનક બોલ્યા: 'બાબર ! આ સંસારમાં કોઈપણ વસ્તુ અમર નથી. આપનું અને આપના પુત્રોનું શાસન પણ ત્યાં સુધી રહેશે. જ્યાં સુધી તેનો આધાર પ્રેમ અને ન્યાય બની રહેશે. હા, ધર્મ શાશ્વત છે. આથી પરવરદિગાર પ્રત્યે આસ્થા રાખીને જીવન જીવો. આજ મારો આપને ઉપદેશ છે.'

Tags :