કળિયુગના પ્રભાવથી બચવા 'પૃથ્વીમાતા' ઉપાય બતાવે છે .
શ્રીમદ્ ભાગવત- દ્રાદશ સ્કંધ- અધ્યાય ૩, 'ભૂમગીત' તરીકે જાણીતો છે. તેમાં શ્રીકૃષ્ણભગવાનના 'સ્વધામ' ગયા પછી, શરૂ થયેલા કળિયુગમાં રાજા-પ્રજામાં વધી ગયેલ દોષોથી બચવા ઉપાય બતાવ્યો છે.
માનવ, પશુપંખી... વિવિધ જીવ... વનસ્પતિની 'જનની-માતા પૃથ્વી છે. સૌ તેનાં સંતાન છે. સમસ્ત જીવસૃષ્ટિ સુખી-આબાદ થાય, એવી દિવ્ય ભાવના ધરતીની છે. કળિયુગી પ્રભાવથી અનેક દોષોને કારણે, જીવસૃષ્ટિને નર્કગતિએ જતી જોઈ તે દુ:ખ સાથે કહે છે કે...
'અહો! મૃત્યુનાં રમકડાં સમાં આ રાજાઓ પૃથ્વી ઉપરનાં સૌને ડરાવી ધમકાવી, પ્રપંચ-પાખંડ- હત્યાઓ કરી સુખ ભોગવવા ઇચ્છી રહ્યા છે. આવા અવિચારી રાજાઓ કળિયુગના પ્રભાવમાં યુદ્ધો પાછળ ગાંડા બન્યા છે. ખતરનાક કળિયુગ, સર્વની કેવી ખરાબ દશા કરશે તે વિશે, સ્વાર્થમાં અંધ બનેલા સમજતા નથી.
કળિયુગી પ્રભાવ વધતાં ભગવાન ભૂલાશે. મરતા, પીડાતા, ઠોકરો ખાતા, સર્વનાં ચિત્ત, પાખંડોથી ભરાઈ જશે. સૌ બુદ્ધિહીન થઈ જશે. સર્વ સૃષ્ટિનો નાશ નોંતરશે.
ધરતીમાતા કહે છે કળિયુગથી બચવા 'હરિ સ્મરણ' જ ઉત્તમ ઉપાય છે. પ્રભુનામ સ્મરણ કળિયુગના સર્વ દોષો, નાશ કરી શકે તેમ છે. સોનામાં રહેલો અગ્નિ સોનાની મલિનતા દૂર કરે છે તેમ, હરિ-પ્રભુ સ્મરણ જ કળિયુગની અશુભ વાસનાઓનો નાશ કરી શકે તેમ છે. સૌએ સાવધાન થઈ, શ્રદ્ધાપૂર્વક આ પુરુષાર્થ ચાલુ કરી દેવા જેવો છે. કળિયુગમાં 'હરિકીર્તન' જ રામબાણ ઇલાજ છે.
હાલના સમયમાં આ કળિયુગી પ્રભાવથી, આપણે ત્રસ્ત થયા છીએ. ધરતી માતાની સલાહ પ્રમાણે પ્રભુસ્મરણમાં શ્રદ્ધા રાખી, બહાદુરી પૂર્વક જીવન તો જીવવું જ પડશે.
સાંપ્રત સમયમાં 'પાપો' વધતાં જાય છે. જેમ કે સિદ્ધાંત વગરનું રાજકારણ મહેનત વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચારિત્ર્ય વગરનું શિક્ષણ, વૈરાગ્ય વિનાની ઉપાસના, નીતિ વગરનો વેપાર અને સંવેદના વગરનું વિજ્ઞાાન.
'તુમાખી ભરેલી આંખો, જૂઠા બોલી જીભો, નિર્દોષના લોહીથી ખરડાયેલા હાથ, કાવતરામાં રાચતું મન, દુષ્ટકાર્ય કરવા દોડતા પણ, શ્વાસે શ્વાસે કટુ બોલતો માણસ, સ્નેહ-સંબંધોમાં મૂકાતી આગ.. આ પ્રકારનું કળિયુગી વાતાવરણ આજે વધતું જ જાય છે.
ને...તેથી જ શ્રીમદ્ભાગવત પુરાણમાંની ધરતી માતાની સલાહ પ્રમાણે શ્રી હરિસ્મરણ દ્વારા, કળિયુગી પ્રભાવ દૂર કરવા... 'સાત્વિક પુરુષાર્થ' શરૂ કરી દેવા જેવો છે.
બાહ્યઉર્મિના ક્ષણિક ઉછાળા વડે નહીં, પણ સમજણની ગંભીર શાંતિ વડે, સ્વસ્થતાથી સંગઠિત થઈ, પ્રચંડ મનોબળ અને સંકલ્પશક્તિનાં હથિયાર વડે લડીને કળિયુગી પ્રભાવ સામે 'વિજયી' બનવાનું છે.
उत्तिष्ढ जाग्रतः...प्राप्यवरान्नि बोधते ।
ઉઠો, જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.
- ચિંતન - પરિપક્વ વિચાર, સમસ્યાઓનું સમાધાન શોધી આપે છે.
- અંધારાને ગાળો દેવામાં દુ:ખી થવા કરતાં, આળસ ખંખેરી.. હિંમતથી દીવો પ્રગટાવી લ્યો.
- પ્રચંડ મનોબળ અને સખત પુરુષાર્થથી સંગઠિત થઈ આપણે સર્વશ્રેષ્ઠ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ.
- માત્ર સ્થૂળ ભૌતિક પ્રયત્નોથી આજની અનિચ્છનીય પ્રવૃત્તિઓનાં તોફાન અટકાવવા મુશ્કેલ છે. 'અધ્યાત્મ' દ્વારા... સૂક્ષ્મ જગતની મદદ મેળવવા, જોરદાર પુરુષાર્થ કરવો પડશે.
- લાભુભાઈ ર. પંડયા