Get The App

મનસા, વાચા, કર્મણા .

Updated: Jul 5th, 2023

GS TEAM


Google News
Google News
મનસા, વાચા, કર્મણા                                                                        . 1 - image


આપણાં ધર્મશાસ્ત્રો અને સામાજિક સંદર્ભમાં પણ મન, વચન અને કર્મનો અલગ જ મહિમા છે. ઉપરોક્ત ત્રણેય બાબતમાં વિશેષ માહિતી નીચે પ્રમાણે છે.

મનસા : આપણે ત્યાં શપથની ક્રિયામાં 'હું' મન, વચન, અને કર્મથી બંધાઉં છું, તેવા વાક્યોનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રી મદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ''મન એવ મનુષ્યાણાાં કારણ બંધ મોક્ષયો'' અર્થાત્ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ મન જ છે. ગીતામાં અન્ય અધ્યાયમાં કહ્યું છે ઃ 'ચંચલ ઃ હિ મન ઃ કૃષ્ણ' એટલે કે મનુષ્યનું મન ચંચળ છે. શ્રી હનુમાન ચાલીસામાં, દોહો આવે છે 'મન, ક્રમ વચન ધ્યાન જો લાવ,' મન વિશે કેટલીક કહેવતો પણ છે ઃ કારણ બધાં મનમાં (૨) સાંભળવું સહુનું પણ કરવું મનનું. (૩) મન હોય તો માળવે જવાય. (૪) મનમાં હોય પણ જીભે ન આવે. આપણે જીવનમાં સફળતા મેળવવી હોય તો કોઈ પણ વાતનો દ્રઢ નિશ્ચય મન દ્વારા જ કરી શકાય છે.

મન વિશે એક જાણીતું વાક્ય છે ઃ 'મન ચંગા તો કથરોટ મેં ગંગા' આપણા મનમાં ઘણી વખત મનોમંથન ચાલતું હોય છે. આપણે મનવાંછીત ફળ મળે તે માટે પ્રભુને પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ. મન વિશે થોડા પ્રચલિત શબ્દો ઃ મનમોજી (તરંગી) મનસ્વી, મનોજ, મનોવૃત્તિ, મનોભાવ, મનોકામના આમ, મન વિશે થોડી વાતો પછી હવે થોડું વાચા (વચન) વિશે ઃ

વાચા : રામાયણની સુપ્રસિદ્ધ ચોપાઈ છે. 'પ્રાણ જાય પર વચન ન જાઈ' સંસ્કૃતમાં એક ઉક્તિ છે ઃ વચનેષુ કિં દરિદ્રતા. વાચા એટલે વચન પણ થાય છે અને વાણી પણ. હિતકારી અને છતાં અપ્રિય વચન બોલનાર અને સાંભળનાર બન્ને દુર્લભ હોય છે. સુંદરકાંડમાં પણ શબ્દો આવે છે. મધુર બચન બોલે હનુમાના. મધુરાષ્ટકમમાં લખ્યું છે પ્રભુની વાણી પણ મધુર છે.

સત્ય બોલવું તે વાણીનું ભુષણ છે. રામચરિત માનસમાં વચનની વાત ખુબ જ પ્રચલિત છે. કોઈને આપેલું વચન પાળવું તે વચન આપનારની જવાબદારી છે. આપણે ત્યાં વાગીશ્વરી (સરસ્વતી) તે વાણીની દેવી છે વ્યાકરણમાં પણ એકવચન, બહુવચન જેવા શબ્દો આવે છે.

કર્મણા : કર્મ કર્યા વિના કોઈ પણ માનવી બેસી શકતો નથી. ''કામ કરે ઈ જીતે'', કામ કર્યું તેણે કામણ કર્યું. ''અક્કરમીનો પડિયો કાણો'', કરે તેવું પામે, વિ. કામ વિશેની કહેવાતો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રચલિત શ્વોક છે 'કર્મણ્યે વાધિકારરસ્તે મા ફલેચુ કદાચન' અર્થાત્ ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવું. કર્મ કરતાં જવું પણ ફળની કે પરિણામની આશા ન રાખવી. સંસ્કૃતમાં પ્રસિદ્ધ વાક્ય છે. યોગ ઃ કર્મષુ કૌશલમ્, આપણે ત્યાં કર્મને કરમ (નસીબ) પણ કહે છે. જાણીતા સંસ્કૃત ગ્રંથમાં એક વાક્ય છે કર્મણા ગહનો ગતિ ઃ એટલે કે કર્મની ગતિ ધણી ગહન છે. આપણે જે કંઈ કર્મ કરીયે છીએ તે છેવટે તો માધવં (કેશવ) પ્રતિ ગચ્છતિ જેવું છે. આપણે કરેલાં શુભ કે અશુભ કર્મોનો બદલો આપણને આવશ્ય મળે છે.

હરિદ્ધારમાં મનસા દેવી (મંછા દેવી)નું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. જેનો ઉદ્દભવ કે જન્મ મનમાંથી થયો હોય તે મનસા કહેવાય છે. મનસાનો બીજો અર્થ મનિષા (ઈચ્છા) પણ થાય છે. ગુજરાતના આદિ કવિ શ્રી નરસિંહ મહેતાએ પણ 'વૈષ્ણવજન'ની વ્યાખ્યામાં કહ્યું છે

વાચ, કાછ, મન નિર્મળ રાખે (નિશ્લલ રાખે) મન, વચન અને કર્મમાં શુદ્ધતા, પવિત્રતા અને નિર્મળતા હોય તે સાચો વૈષ્ણવજન છે.

આમ, મનસા, વાચા અને કર્મણા થકી જ આપણું જીવન શુદ્ધ, આદર્શ, પવિત્ર તથા પ્રેરણાદાય બને છે. આવો આપણે પણ મન, વચન તથા કર્મથી જીવનને સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરીએ. અસ્તુ !

- ભરત અંજારિયા

Tags :