પચાસ પછી વ્યક્તિ 'વનપ્રવેશ કરે છે એ જ વખતે મન પ્રવેશ પણ થવો જોઈએ. મન પ્રવેશ એટલે મનની જાગૃતિ. 'વૃદ્ધત્વ' જ્યારે 'બુદ્ધત્વ' પામે, ત્યારે જીવન હરિયાળુ બની રહે છે. ઘડપણ એ મૃત્યુની નોટિસ છે એવું સમજી મોહ, માયા સમેટી લેવા અને પરિવાર પાસેથી પારાવાર અપેક્ષાઓ રાખવાને બદલે, એને પારાવાર વહાલ આપવું. નવી પેઢીને તટસ્થભાવે માર્ગદર્શન આપવું. વડીલપણાનો ભાર પરિવાર ઉપર મુકવાથી વ્યક્તિ અપ્રિય થઈ પડે છે. ઘડપણને બોજમુક્ત અને મોજયુક્ત બનાવવું હોય તો, નીચેની સાત બાબતો જીવનમાં ઉતારવી :
પોતાના વિચારો, માન્યતાઓ અને સિદ્ધાંતો પ્રમાણે બીજા લોકો ચાલે, એવો હઠાગ્રહ ન રાખવો, નાના બાળકો પ્રત્યે છલોછલ, દોસ્તી કરવી. પોતાના ભુતકાળને વારંવાર યાદ કરી તેની બડાસ બકીને, નવી પેઢીને ત્રાસ ન આપવો. ઓછામાં ઓછું બોલવું. સમયને અનુરૂપ, નવી પેઢીની ભાવનાઓ અને લાગણીઓને અનુકૂળ થવું. સતત ફરિયાદ કરવાની ટેવને કાઢી નાખવી.


