- શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં ભગવાન શ્રીરામજીનું ચરિત્ર છે અને ચતુર્થ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર છે. જેમાં શ્રીમદ્ દેવીભાગવતના ચતુર્થ સ્કંધના ૨૪માં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારિકામાં માતા જગદંબાની સ્તુતિ કરી
માતા જગદંબાનું ચરિત્ર ભૌતિક જગતનું સુખ અને મોક્ષ આપવાવાળું છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ માતા જગદંબાની ઉપાસના કરી છે. એટલે જ જ્યારે ભગવાન શ્રીરામજીનો અવતાર થયો ત્યારે ભગવતી રામા કહેવાયા અને શ્રીકૃષ્ણ અવતારમાં શ્યામા કહેવાયા. શ્રીમદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં ભગવાન શ્રીરામજીનું ચરિત્ર છે અને ચતુર્થ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર છે. પચ્ચીસ અધ્યાયનો ચતુર્થ સ્કંધ છે જેમાં શ્રીમદ્ દેવીભાગવતના ચતુર્થ સ્કંધના ૨૪ માં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણએ દ્વારિકામાં માતા જગદંબાની સ્તુતિ કરી. પ્રસંગ એવો છે કે, જ્યારે શંબરાસુર નામના દૈત્યએ ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું અપહરણ કર્યું તે સમયે દ્વારિકા શોકમગ્ન બની. રુકમણિ માતાજી તેમજ દ્વારિકાના પ્રજાજનો દુ:ખી થયાં. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ માતા જગદંબાના શરણે ગયાં. શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યાં કે હે માતા ! પૂર્વકાળ વિશે હું બદરિકાશ્રમમાં ધર્મને ત્યાં પુત્ર હતો. આપનામાં મારી અતૂટ શ્રદ્ધા હતી. તપસ્યાથી મેં આપને પ્રસન્ન કર્યાં હતાં. ફૂલોથી આપની પૂજા કરતો હતો. હે માતા ! શું તમે તે બધું ભૂલી ગયાં ? ખુબ આશ્ચર્યની વાત છે કે ક્યો દુરાચારી પ્રસવગૃહમાંથી મારાં બાળકને હરી ગયો ? અથવા કોઈએ મારા અભિમાનને નીચે પાડવા માટે આ ષડયંત્ર રચ્યું છે ? દ્વારિકાનગરી ચારેબાજુ સમુદ્રની દુસ્તર ખાડીઓથી રક્ષાયેલી છે. નગરની મધ્યમાં મારો મહેલ છે. ભવનની અંદર પ્રસવગૃહ છે. તેના દરવાજા હંમેશાં બંધ રહે છે, આમ છતાં, બાળકનું હરણ થયું છે. હું પણ અહીં જ હતો અને બધા યાદવો પણ અહીં જ છે. નગરની રક્ષા કરવા માટે જાણીતા વીરો નિયુક્ત કરેલા છે. હે જગત જનની ! આપનો પ્રભાવ બધા જાણે છે. આપની માયાથી જ આ ઘટના બની છે, કોઈ માયાવીએ મારા પુત્રનું હરણ કર્યું છે. હે જનની ! આપનું ચરિત્ર જાણી શકવા કોણ સમર્થ છે ? હું પણ તે જાણી શકવા સમર્થ નથી, ત્યારે સામાન્ય બુદ્ધિના લોકો તો તમને ક્યાંથી જાણી શકે? મારા પુત્રની ચોરી કરીને તે વ્યક્તિ ક્યાં ગઈ ? મારા સેવકો પણ તે વ્યક્તિને જોઈ નથી. હે અંબિકા ! આ તમારી જ માયાનો ખેલ છે. તમારા માટે આ કોઈ અશક્ય વાત નથી.
મારા પ્રગટ થતાં પહેલાં તમારી માયાએ પાંચમે મહિને જ મારી માતાનો ગર્ભને ખેંચીને તે બાળકને બીજી માતા રોહિણીજીનાં ઉદરમાં સ્થાપિત કર્યું હતું. હળધર નામે તેમની પ્રસિદ્ધિ થઈ. હે અંબિકા ! તમે તમારા ગુણો દ્વારા જગતનું સર્જન, પાલન અને સંહાર કરવામાં સદા પ્રવૃત્ત રહો છો. પાપનો નાશ કરનારાં તમારા પવિત્ર ચરિત્રોને કોણ જાણી શકે છે ? સમસ્ત જગત તમે જ ઉત્પન્ન કર્યું છે. પુત્ર જન્મના ઉત્સવનો આનંદ આપીને તેના વિરહનું અસહ્ય દુ:ખ પણ અમારા માથે નાંખવામાં કેવળ આપની લીલા જ કારણ છે.
હે માતા ! દુ:ખોથી સંતપ્ત લોકોની એક માત્ર શરણ આપ જ છો. બધા જ શોક-દુ:ખોનું નિવારણ કરવા તમે સમર્થ છો. તેથી કદાચ મારો પુત્ર જીવિત હોય તો તેને મેળવી આપવાની કૃપા કરો. વ્યાસજી કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે કોઈ કામ અસાધ્ય નથી. તેમની સ્તુતિથી દેવી ભગવતી પ્રગટ થયાં અને જગતગુરુ શ્રીકૃષ્ણના પ્રતિ કહેવા લાગ્યાં. દેવીએ કહ્યું કે, હે દેવેશ્વર ! શોક ન કરો. આ પૂર્વજન્મનો શાપ છે. જે આ રીતે તમારી સામે આવ્યો છે. તેનાં કારણે જે શંબરાસુરે તમારા પુત્રનું હરણ કર્યું છે. તેથી ધીરજ રાખો. સોળ વર્ષનો થયા પછી તમારો તે પુત્ર શંબરાસુરને મારીને પોતાની મેળે ઘેર આવી જશે. મારા આ વાક્યો સત્ય છે, તેમાં સંશય કરવો યોગ્ય નથી. વ્યાસજી કહે છે કે, આ પ્રમાણે કહીને પ્રચંડ પરાક્રમાવાળાં દેવી ભગવતી અંતર્ધ્યાન થઈ ગયાં. આમ, ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિથી માતા જગદંબાએ ભગવાને આશિર્વાદ આપી અભય કર્યાં અને તેમના મનોરથો પૂર્ણ કર્યાં.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી


