સર્વ ધર્મના ગ્રંથમાં પાંચ પાપ ગણાવ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ તેમના અગિયાર વ્રતોમાં આ પાંચ પાપોનો ત્યાગ ઇચ્છનીય છે તેમ કહેતા હતા. તે પાંચના નામ છે : હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ યાને સંગ્રહખોરી. શાસ્ત્રોમાં એમ પણ જણાવ્યું છે કે આ પાંચ પાપો કરનાર નરકમાં જાય છે, જ્યાં ન કહી શકાય તેવાં દારૂણ દુ:ખો વેઠવા પડે છે. આ પાંચ પાપોને છોડનાર જીવો સ્વર્ગના અનુપમ સુખો ભોગવે છે. આ બધા વચનોથી સૌ જાણ કાર છે, પણ આ કળિયુગમાં (પંચમકાળમાં) સ્વર્ગની ખેવના અને નરકનો ભય ખતમ થઈ ગયા છે. એટલે સર્વત્ર ઓછા વત્તા પ્રમાણમાં ને ઘણી વખત તો પરાકાષ્ઠારૂપ પાપોનું આચરણ છડેચોક, બેધડક અને જરાય અરેરાટી વગર નજરે પડે છે.
કતલખાનાઓમાં પશુપક્ષીઓના વધ, ને તેનો મતબલખ વેપાર, દવાખાનાઓમાં ગર્ભપાતના નામે માનવ હત્યા, દંગા, હુલ્લડ, તોફાનો, નિર્દોષ જીવોની કતલેઆમ, ખૂન ખરાબી, વચનભંગ, ફરેબવાણી, જૂઠી સાક્ષી, વેપારમાં અનીતિ વગેરે પાપના સંતાનો છે. કપટ, છેતરપીંડી, દગા ફટકા, બે નંબરી વ્યવહાર, ખોટા અને બનાવટી ચોપડા, જૂઠા વાઉચરો, વિના હક્કની લેવડદેવડ, ત્રાજવાની રચનામાં ગોલમાલ. આમ પાપોની જાતોની ગણતરી કરવી લગભગ અશક્ય છે. મોજશોખ અને ફેશનના નામે ભૂંડી લીલાઓ ચાલે છે. આ બધાંને ઓળખીએ તેમાં જ સૌની ભલાઈ છે.
પ્રેક્ષક - દિનેશ શાહ


