- ખેડબ્રહ્મા : મહિષાસુર મર્દીની અંબિકા માતાજી
ગુજરાતમાં અંબાજી માતાના ઘણા મંદિર છે. આરાસુરના શિખર પર વિદ્યમાન શક્તિતીર્થ અંબાજી. અહીં ભક્તિના મહિના ભાદરવામાં ભવ્ય મેળો ભરાય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર અંબાજી માતા બિરાજે છે.ભરૂચમાં રેવાને તીરે (નર્મદા કાંઠે) આવેલ અંબાજી માતાના મંદિરે સ્વામી શિવાનંદ વામદેવ પંડયાને માતાજીએ સંવત સોળમાં સન્મુખ પ્રગટ થઈને સાક્ષાત દર્શન આપ્યા હતા! એમના મુખારવિંદથી જય આદ્યાશક્તિ... શબ્દોથી શરૂ થતી અદ્દભુત આરતીનું અતિસુંદર સર્જન થયું હતું...
આજે વાત કરવી છે જ્યાં આદ્યશક્તિ જગદંબાનું અવતરણ-પ્રાદુર્ભાવ થયો હતો. આ પાવન ભૂમિ એટલે ખેડબ્રહ્મા.અહીં અંબિકા માતાજી વાર અનુસાર રોજ નવી સવારી પર આરૂઢ હોય છે ! જેમકે... સોમવારે નંદી, મંગળવારે સિંહ, બુધવારે મોર, ગુરુવારે હાથી, શુક્રવારે ગરુડજી, શનિવારે ચામુંડા સ્વરૂપ અને રવિવારે વાઘ પર બિરાજમાન હોય છે... પૂનમના પુનિત દિવસે માતાજી પદ્મ પર બિરાજે છે. રોજ સવારે મંગળા આરતી થાય છે, બપોરે રાજભોગ આરતી થાય છે અને સાંજે સાયં આરતી થાય છે. કારતક પૂનમ અને પોષી પૂનમે ૫૬ ભોગ અન્નકૂટ ધરાવાય છે. પોષી પૂનમે માતાજી નગરયાત્રાએ નીકળે છે.
ઉત્તરાભિમુખ મંદિરમાં બિરાજમાન દેવી અંબિકાને પૂજારી નિત નવો શૃંગાર કરાવે છે. નિજ મંદિરમાં દિવ્ય ઓજસ તેજધારી સંપૂર્ણ મૂર્તિ-પ્રતિમા શુદ્ધ ચાંદીની બનેલી છે અને દેવીનું સિંહાસન શુદ્ધ સુવર્ણથી મઢેલું છે. મંદિરના દ્વાર પણ ચાંદીથી મઢેલાં છે. આસો સુદ એકમ અને ચૈત્ર સુદ એકમે સવા મણ દૂધનો અભિષેક કરાય છે.રાત્રે માતાજીના ગરબા થાય છે. ચૈત્ર પૂનમ અને ભાદરવી પૂનમે માતાજીના મેળા ભરાય છે. લાખો શ્રદ્ધાળુઓ પગપાળા આવે છે, ધજા ચડાવે છે. મા સૌની મનોકામના પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ કરે છે. વાર-તહેવારે ઉત્સવો ઉજવવામાં આવે છે. આસો સુદ અષ્ટમીએ ઈડર સ્ટેટ તરફથી યજ્ઞા-હવનનું આયોજન થાય છે.
- જિતેન્દ્ર એમ ટાંક


