ક ચ્છના ભચાઉ શહેરથી ભુજ તરફ જતાં ૧૬ કિ.મી.ના અંતરે આવેલું એક એવું ધામ કે જ્યાં દાન પેટી નથી. દાન પેટીની વાત જવા દો, અહિં એક પણ રૂપિયાનું દાન પણ સ્વીકારવામાં આવતું નથી. અહિં રૂપિયો રાખનાર કે આપનારને પાપ લાગે છે તેવા બોર્ડ પણ આ ધાર્મિક સ્થાનકે જોવા મળે છે. હા. આપણે વાત કરી રહ્યા છીએ, કબરાઉ ગામે આવેલા મોગલધામની. મોગલધામ એટલે દિવ્ય શક્તિનો વાસ. અહિં, ટ્રસ્ટી નથી, ભવ્ય, અવિસ્મરણીય, રહસ્યથી ભરપૂર અને શ્રદ્ધાના અનેક કિસ્સાઓ સાથે જોડાયેલા મોગલધામે દર્શનાર્થે માત્ર કચ્છ જ નહિં બલકે ગુજરાત સહિત દેશમાંથી પણ હજારો ભાવિકો મોગલ માતાજીના દર્શનાર્થે આવે છે. મંગળવારે એક જ દિવસે હજારો ભાવિકો ઉમટે છે.
મણીધર વડવાળી મોગલ માંના દરબારમાં માથું ટેકવવાથી આશિર્વાદ મળે છે. વર્ષો જુના રોગને દૂર કર્યાના પરચાઓ છે. આ ધામે દાન દક્ષિણા સ્વીકારાતી નથી. ગુજરાતમાં ઘણા એવા મંદિરો છે જે શ્રદ્ધા સાથે જોડાયેલા છે ત્યારે કબરાઉ ગામે આવેલું મોગલધામ તે પૈકીનું એક છે. અહિં વિશ્વાસે માથું ટેકવાથી દર્શન કરવાથી માં મોગલ અવશ્ય ફળ આપે છે. કચ્છના લોકોને માં મોગલ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી અહિં મંગળવારના દર્શનાર્થે ભાઈ બહેનો મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શનાર્થે આવે છે. કબરાઉ ગામે હાજરાહજુર માં મોગલ બિરાજમાન છે અને સાક્ષાત પરચાં પણ પુરે છે.
વડવાડી મોગલ એટલા માટે કહેવાય છે કે માતા વડની નીચે બિરાજમાન છે. માટે માતાના નામની સાથે વડવાળી વડવાળી મોગલ જોડાયેલું છે. ભુજ - ભચાઉ હાઈવે પરથી પસાર થાઓ એટલે દૂરથી મા ની ધજા અને લાલ રંગમાં લખેલ માં ના દર્શન થાય. મોગલ ધામના સામતભા બાપુ કહે છે, દાન તો દીકરીને અપાય એટલે અહીં કોઈ દાન સ્વીકારાતું નથી. તેઓ અંધશ્રદ્ધાના પ્રચંડ વિરોધી છે. તેઓ પોતાના અનેક વીડિયોમાં અંધશ્રદ્ધાળુથી લોકોને દૂર રહેવા અપીલ કરે છે.
મોગલ માં એ અનેક નિસંતાન પરિવારોને ત્યાં ઘોડિયા બંધાવ્યા છે. મોગલ ધામે અહીંની દિવાલ પર નાના ભુલકાઓના ફોટા તેની સાબિતી આપે છે. માતાજીએ લોકોને ગંભીર બીમારીથી મુક્ત કર્યા છે. બાપુ કહે છે, માં મોગલને ખુશ કરવા માટે બહેલા તમે તમારી કુળદેવીનો દીવો કરો, પહેલા તમારી કુળદેવી અને પછી માં મોગલનું સ્મરણ કરો, માં મોગલ આપોઆપ તમારા ઉપર રાજી રહેશે અને કૃપા વરસાવશે. માં મોગલ અઢારે વર્ણની માં છે. માતાજીમાં શ્રદ્ધા રાખવાથી અચુક ભક્તોની માનતાઓ પુર્ણ કરે છે.


