જેઠ સુદ તેરસ, ચૌદશ અને પૂર્ણિમા આ ત્રણ દિવસ વડ સાવિત્રીના દિવસો છે
આપણી ભારતની સન્નારી એની એવી શક્તિ અને ક્ષમતા છે કે, જે યમપાશમાંથી પણ પોતાના પતિને પાછો છોડાવી લાવે છે અને એ કાર્ય સતી સાવિત્રી એ કર્યું છે જે જગદંબાનો અંશભૂત છે. તેઓ પૃથ્વી પર સત્યવાનની સાથે અનેક સુખો ભોગવી અને પોતાનું અવતાર કાર્ય પરિપૂર્ણ કરી અને ધામમાં ગયા છે. જેઠ મહિનાની સુદ તેરસ, ચૌદશ અને પૂર્ણિમા કદાચ આ ત્રણ દિવસ ઉપાસના ન થઈ શકે તો પૂર્ણિમાના દિવસે વિશેષ ઉપાસના નું મહત્ત્વ છે. આ વ્રત સૌભાગ્વતી સ્ત્રીઓ કરતી હોય છે. જેમાં વડનું પૂજન અને માં જગદંબાનું પૂજન થતું હોય છે. જેમાં માતાજીનો શણગાર વસ્ત્રએ બધું જ સમર્પિત થતુ હોય છે. પૂજન કર્યા પછી સાવિત્રી વ્રતની પૂજા એ છે કે પતિદેવના ચરણોમાં દંડવત્ કરવા. કારણ કે આ વ્રતમાં મુખ્ય સંદેશ એ છે કે પતિ એ જ બ્રહ્મા છે. પતિ એ જ વિષ્ણુ છે અને પતિ એ જ શિવ છે. રાત્રિના સમયે જાગરણનું વિધાન છે, જ્યારે વ્રતનો અંતિમ દિવસ હોય ત્યારે જાગરણ કરી જગદંબાનું સ્મરણ કરવું. સાવિત્રીનું ત્રિદિવસીય વ્રત છે, અને વડ સાવિત્રી પછી જ આપણા જે તહેવારો છે એની શરૂઆત થતી હોય છે.
સાવિત્રી વ્રતનો સંદેશ એ છે કે જે ઘરમાં નારીની પૂજા થાય એટલે કે નારીને માન-સન્માન અને મહત્ત્વ મળે ત્યાં દેવોનો નિવાસ હોય છે. મનુ સ્મૃતિ માં મનુ મહરાજે પણ આ જ વાત કરી છે કે જેના ઘરમાં નારીનું સન્માન થાય ત્યાં દેવો પણ નિવાસ કરે છે.
જેઠ સુદ તેરસ, ચૌદશ અને પૂર્ણિમા આ ત્રણ દિવસ વડ સાવિત્રીના દિવસો છે. કદાચ ત્રણ દિવસ વ્રત ન થઈ શકે તો એક દિવસ પણ વ્રત કરી શકાય અને એ દિવસ છે જેઠ મહિનાની પૂર્ણિમાનો દિવસ.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલભાઈ જોષી