Get The App

શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય .

Updated: Dec 4th, 2024

GS TEAM


Google News
Google News
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય                                       . 1 - image


- મેનેજમેન્ટથી લઈ મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. મોક્ષ એટલે મોહનો ક્ષય એનું નામ જ મોક્ષ

- ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન યોગ. ગીતાજીના દશમા અધ્યાયમાં ભગવાને પોતાના ઐશ્વર્યનું વર્ણન કર્યું

આપણે ત્યાં ચાર વેદો છે અને વેદના સારરૂપ મહાભારતની રચના ભગવાન વેદવ્યાસજીએ કરી. એ મહાભારતનું જો કોઈ કમળ પુષ્પ હોય તો તે કમળ પુષ્પનું નામ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' છે. ગીતાજીને કમળની ઉપમા એટલા માટે આપું છું કે શ્રીકૃષ્ણ ભગવાનના મુખ કમળમાંથી ગીતા પ્રગટ થઈ છે. માટે તે શ્રીકૃષ્ણ ભગવાનની વાણી કહેવાય છે.

ગીતામાં એવા કોઈ પ્રશ્નનો ઉત્તર નહિં હોય કે જેનો જવાબ શ્રીકૃષ્ણ ભગવાને આપ્યો ન હોય. માટે જ કહેવામાં આવ્યું કે, 'યા સ્વયં પદ્મનાભશ્ચ મુખપદમા વિનિશ્રૃતા:.' ગીતાજીમાં જ્ઞાાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગ આ બધા વિષયોની ચર્ચા ભગવાન શ્રીકૃષ્ણએ કરી છે. માત્ર જ્ઞાાન જ નથી આપ્યું પણ પોતાના ઐશ્વર્યના દર્શન અર્જુનને કરાવ્યાં છે. ગીતાજીનો અગિયારમો અધ્યાય એટલે વિશ્વરૂપ દર્શન યોગ. ગીતાજીના દશમા અધ્યાયમાં ભગવાને પોતાના ઐશ્વર્યનું વર્ણન કર્યું. એ વર્ણન કરતાં-કરતાં ભગવાને કહ્યું કે, 'વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા હું છું.' પણ પછી ભગવાનના મનમાં થયું  અને અર્જુનને પણ પ્રશ્ન થયો આ બે વસ્તુનો સમન્વય એટલે વિશ્વરૂપ દર્શન યોગ.

જ્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ અર્જુને જોયું ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે, 'અત્યાર સુધી મેં તમને  કૃષ્ણ કહ્યાં, કેશવ કહ્યાં, યાદવ કહ્યાં પણ આજે મને સમજાયું કે તમે પરાત્પર બ્રહ્મ છો.' ભગવાન શ્રીકૃષ્ણના નામોમાં કેશવ, મધુસુદન,અરિસુદન, કેશીસુદન જેવાં નામોના પ્રયોગો ગીતાજીમાં અર્જુને કર્યાં છે. ગીતાજીના અઢાર અધ્યાય છે. મહાભારતના ભિષ્મ પર્વના પચ્ચીસમા અધ્યાયથી લઈ બેંતાળીસમો અધ્યાય એ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. જેને આપણે ૧ થી ૧૮ અધ્યાય માનીએ છીએ. ગીતાજીના ૭૦૦ શ્લોક છે. પણ ક્યા અધ્યાયમાં કેટલાં શ્લોકો છે એ શ્લોક સંખ્યાનો આપણે વિચાર કરીએ તો, પ્રથમ અધ્યાયમાં ૪૬ શ્લોક છે. બીજા અધ્યાયમાં ૭૨ શ્લોક છે. ત્રીજા અધ્યાયમાં ૪૩ શ્લોક છે. ચોથા અધ્યાયમાં ૪૨ શ્લોક છે. પાંચમાં અધ્યાયમાં ૨૯ શ્લોક છે. છઠ્ઠા અધ્યાયમાં ૪૭ શ્લોક છે. સાતમાં અધ્યાયમાં ૩૦ શ્લોક છે. આઠમાં અધ્યાયમાં ૨૮ શ્લોક છે. નવામા અધ્યાયમાં ૩૪ શ્લોક છે. દશમાં અધ્યાયમાં ૪૨ શ્લોક છે.

અગિયારમાં અધ્યાયમાં ૫૫ શ્લોક છે. બારમાં અધ્યાયમાં ૨૦ શ્લોક છે. તેરમાં અધ્યાયમાં ૩૫ શ્લોક છે. ચૌદમાં અધ્યાયમાં ૨૭ શ્લોક છે.

પંદરમાં અધ્યાયમાં ૨૦ શ્લોક છે. સોળમાં અધ્યાયમાં ૨૪ શ્લોક છે. સત્તરમાં અધ્યાયમાં ૨૮ શ્લોક છે અને અઢારમાં અધ્યાયમાં ૭૮ શ્લોક છે.

આમ, કુલ મળીને ૭૦૦ શ્લોક ગીતાજીમાં છે. ગીતાજીના વક્તા ભગવાન શ્રીકૃષ્ણ એમની એક વિશેષતા એ છે કે જે વિષયની એ વાત કરતા હોય એ વિષયમાં ઓતપ્રોત હોય અને તેની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય. વક્તા આવા હોવા જોઈએ એ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના લીલા ચરિત્ર દ્વારા સમજાવ્યું. જેમને પકડતા પણ આવડે છે અને છોડતા પણ આવડે છે એ જ વ્યક્તિને સાચી દિશા આપી શકે.

જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ ગોકુળમાં રહ્યાં ત્યારે ભગવાન વ્રજભૂમિને ઓતપ્રોત રહ્યાં. પણ જ્યારે મથુરા જવાનું થયું ત્યારે એટલી જ તીવ્ર ગતીથી નિકળી ગયાં. સોનાની દ્વારકા બનાવી પણ ખરી અને એને સમુદ્રમાં ડુબાડી પણ ખરી. આ બધામાં  શ્રીકૃષ્ણ ભગવાન અનાસક્ત રહ્યાં. જે અનાસક્ત હોય એ જ વ્યક્તિ બીજાને સાચું જ્ઞાાન આપી શકે. માટે જ કહેવામાં આવ્યું કે 'કૃષ્ણમ્ વંદે જગત ગુરુમ્.'

મેનેજમેન્ટથી લઈ મોક્ષ સુધીની યાત્રા એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા. મોક્ષ એટલે મોહનો ક્ષય એનું નામ જ મોક્ષ. માટે જ અર્જુને ગીતાજીના અઢારમાં અધ્યાયમાં કહ્યું કે, 'મારો મોહ નષ્ટ થયો. હવે તમે કહેશો એ હું કરીશ. 'કરિશ્યે વચનં તવ.' આ શબ્દમાં જ જ્ઞાાન, કર્મ અને ભક્તિ ત્રણેય આવી જાય છે. 'કરિશ્યે' એટલે 'કર્મ', 'વચનં' એટલે 'જ્ઞાાન' અને 'તવ' એટલે 'ભક્તિ'. તો આવો ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોને આત્મસાત કરી ભગવદ્ પરાયણ બનીએ, ભગવાનને ગમે તેવું જીવન જીવીએ એ જ અભ્યર્થના.. અસ્તુ..!

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :