- સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સદ્ગુરૂ સંત શ્રી ગોપાળાનંદસ્વામી વચન સિદ્ધ હતા. તેઓ જે બોલે તે પ્રમાણે થઈ જતું. એમની પાસે રડતાં આવેલા માણસો હસતાં પાછા ફરતાં
આજના યુવાનોની આ વાત, અમુક અંશે સાચી છે. અંધશ્રદ્ધાથી ચોક્કસ દૂર રહેવું જ જોઈએ. પરંતુ આપણા શાસ્ત્રો, અવતારો, સંતો-ઋષિમુનિઓએ જે વર્ષો પહેલા કહ્યું છે, તેમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાની પણ જરૂર છે. દરેક વસ્તુ આપણને ના દેખાય અથવા તો મગજમાં ના બેસે માટે એ ખોટી છે, તેવું ન માની લેવું જોઈએ. આધ્યાત્મિક ક્ષેત્રે વિશ્વાસ અને શ્રદ્ધા અનિવાર્ય છે. સાચું અને ખોટું અવશ્ય જાણવું પણ જોઈએ. પરંતુ જે સાચું હોય તેને સ્વીકારવાની તૈયારી પણ રાખવી જોઈએ.
આજે વાત કરવી છે. લગભગ ૧૯૫ વર્ષ પહેલાની... સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર સદ્ગુરૂ સંત શ્રી ગોપાળાનંદસ્વામી ની. તેઓ વચન સિદ્ધ હતા. તેઓ જે બોલે તે પ્રમાણે થઈ જતું. એમની પાસે રડતાં આવેલા માણસો હસતાં પાછા ફરતાં. એવા સંતને શ્રી સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની બનાવ્યા હતા.
સાધુ વર્ણીપાળા સુણી લેજો રે,
ગોપાળમુનિની આજ્ઞામાં રહેજો હે.
(ભક્તચિંતામણિ)
આવા સંતની વાણીનો પ્રભાવ કેવો હતો? એ આજે અહીં ટાંકીયો છે. કારણ કે, કારતક સુદ-આઠમ તા. ૧૨-૧૧-૨૦૨૫ ના રોજ તેમણે દીક્ષા ગ્રહણ કરી તેને ૨૧૮ વર્ષ પૂર્ણ થાય છે.
આવો તો વાંચીએ અત્રે તેમની વાણીના પ્રભાવ વિષે...
શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની ધરા ઉપર જનસમાજ ઉત્થાનના કાર્યો કર્યા ત્યારે બ્રિટીશ શાસનના અધિકારીઓ પણ હતા. તેઓ અભૂતપૂર્વ કાર્યોની પ્રશંસા મુક્ત કંઠે કરતા હતા.
મુંબઈના ગવર્નર સર જોન માલ્કમ રાજકોટ આવ્યા હતા. ત્યારે તેમને શ્રી સહજાનંદ સ્વામી મહારાજનાં દર્શનની ઇચ્છા થઈ. તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને મહાવદ ૧૪ ના (તા. ૨૨-૦૨-૧૮૩૦, સોમવાર) દિવસે શ્રી હરિ ઉપર રાજકોટ પધારી દર્શન આપવા માટે પ્રાર્થના લખીને મોકલ્યો.
શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની વિનંતી સ્વીકારીને રાજકોટ પધાર્યા.
અંગ્રેજ અધિકારી સર જોન માલ્કમને તેમના બંગલે મળ્યા. તેમને શિક્ષાપત્રી ગ્રંથ ભેટમાં આપ્યો. (આ મહાપ્રસાદી ભૂત શિક્ષાપત્રી, વર્તમાનમાં ઓક્સફર્ડમાં બોડલીયન લાઈબ્રેરીમાં સાચવવામાં આવી છે.)
તે વખતે સૌથી આગળ ચાલતાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પાઘ બોરડીના કાંટામાં ભરાઈ અને એક છેડો છૂટો થઈ ગયો. તે મહાન સદ્ગુરુવર્યશ્રી બોરડી તરફ ઊંચી નજરે જોઈને બોલ્યા કે, અરે! પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો તને સ્પર્શ થયો, તે ભગવાન તારી છાયામાં બેઠા છતાં તે તારો કાંટાળો સ્વભાવ છોડયો નહિ ?
હ્ય્ર્ં્ખ્ત હ્ય્પપ્ીહ્રશ્ર !
તે બોરડીના બધા જ કાંટા ખરી પડયા.
આજે પણ વર્તમાનકાળે રાજકોટના ભૂપેન્દ્ર રોડ પરના શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં તે કંટક રહિત બોરડીનું વૃક્ષ વિદ્યમાન છે. સદ્ગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના પરમ કૃપાપાત્ર લોધિકા નરેશ શ્રી અભયસિંહ બાપુએ સંવત ૧૯૪૨ માં બોરડી સહિતની વિશાળ ભૂમિ વેચાતી લીધી અને શ્રી હરિકૃષ્ણ મહારાજ જૂનાગઢને સમર્પણ કરી હતી. વળી જે સ્થળે શ્રી હરિનો ઉતારો હતો ત્યાં સુંદર છત્રી આકારની બેઠક કરાવી હતી.
આજના કળિયુગમાં પણ આ કાંટા વિનાની બોરડી સૌને જોવા મળે છે. આ છે આપણી ભારતીય આધ્યાત્મિકતા - આપણા ઋષિમુનિઓ અને આપણા સંતોની વાણીનો પ્રભાવ...
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


