Get The App

'આપ ભલા તો જગ ભલા' .

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
'આપ ભલા તો જગ ભલા'                         . 1 - image

તમારી પાસે ગુણ છે ખ્યાતિ છે તે તો જાણે ઠીક છે બાકી બાહય આડંબર નકામા છે. આ દુનિયામાં સફળતાની સીડી ચઢવા માટે સદ્ગુણો કેળવવા આવશ્યક છે. આવા સદ્ગુણોથી જ જીવનની સાર્થકતા લાધી શકે. આપણી કાયા તો માટીનું પુતળુ છે. એમાં રહેલા સદ્ગુણો એ જીવનનું સોનું છે આ સંસારનો બહારનો બધો ખજાનો છેવટે નકામો છે એ બધુ મુકીને ચાલ્યા જ જવું પડશે પણ તમારી અંદર એક ખજાનો બીજો સાચો ખજાનો છે. 

જ્ઞાન અને પરમાત્માની જ્યોતથી એ જોવાનો છે આજે પરમાત્માની જ્યોત આપણી પાસે જલતી નથી લાગતી તેથી જીવન અંધકારમય લાગે છે. પણ જ્યારે અંદરની એ જ્યોત પ્રગટશે ત્યારે આ લોક અને પરલોક-બેઉનાં જીવન ઉપર નવો પ્રકાશ લાધશે. આ સફળતા મેળવવા માટે ગંભીરતા, તુચ્છતાનો ત્યાગ, તંદુરસ્ત જીવન, સંપૂર્ણ અંગો પાત્ર પ્રકૃતિ- સૌમ્યત્વ, રાગ દ્વેષથી પર અને સ્વભાવની નિર્મળતા વગેરે ગુણોને આવશ્યક માનવામાં આવ્યાં છે. દુનિયાથી તમે જુદા નથી. દુનિયાનો અવાજ એ તમારા બોલ નો જ પડઘો છે. દુનિયા ને જે દષ્ટિથી જોશો એ જ દ્રષ્ટિથી દુનિયા તમારી સામે જોશે. એટલે કહ્યું કે આપ ભલા તો જગ ભલા. માણસનું જીવન સુંદર તો જગતનું જીવન પણ સુંદર.

ધોબી કપડા ધુવે છે ને એક સાધુ ત્યાંથી નીકળે છે. સાધુને ધોબીના છાંટા ઉડયા અને ક્રોધ જાગ્યો એટલે સાધુએ હલકો શબ્દ વાપરી ઠપકો આપ્યો. ધોબી પણ કાબૂ ખોઈ બેઠો એણે સાધુને ગાળો આપી. પછી શાંત પડીને એકબીજાને ક્ષમા આપી. આમ સાંજાપાત ઉતરી જાય ત્યારે સાધુ એ સાધુ તરીકે પ્રગટે છે અને ધોબી ધાબી તરીકે જણાઈ જાય છે. માણસ આવેશમાં આવી જાય ને એનાં મોમાથી બીજા દુભાય એવા વેણ નીકળી પડે છે. આ આવેશને આપણે સદા સંયમમાં રાખવો રહ્યો, કારણકે કુદરતનો નિયમ છે કે ક્ષમાથી ક્ષમા, સમતામાંથી સમતા અને ક્રોધમાંથી ક્રોધ ઉદ્દભવે છે અને બેઉને એની સારી કે ખરાબ અસર કરી જાય છે.

માનવી ત્યાગને સાધુપણાને નમે છે પણ જે સમયે એનામાં ક્રોધ આવે છે ને આવેગ હોય છે ત્યારે સાધુ અને સામાન્ય માનવી એક સમાન ભૂમિકા પર આવી જાય છે. માનનો ખોટો આવેશ માણસમાં ગર્વ લાવે છે. એ આવેશ ચાલ્યો જાય પછી જ અંતરમાં નિર્મળતા અને સમજણ આવે છે અને પછી તમારા વિચારને ઉંડે પ્રેરણા આપે એવી પળો તમારા જીવનમાં આવે છે ને જીવન સરસ શરૂ થાય છે જે માણસ બધાનો જાણકાર છે તેનો કોઈક વાર ઉધ્ધાર શક્ય છે. 

જ્ઞાનીના વચનોનાં શ્રવણ સાથે જ ક્યારેક માણસના આત્માનાં દ્વાર ખુલી જાય છે. આ માટે સહશ્રવણ એ આપણા જીવનનાં ઉત્થાનની એક આવશ્યક ભૂમિકા છે. જીવનમાં એ ખુબ જ સહાયક બને છે ગરમ તવા ઉપર પડેલું પહેલુ ટીપુ તો બળી જાય છે પણ એક પછી એક સો ટીપા બળી ગયા બાદ એકસો એકમું ટીપુ જ તવા પર દેખાય છે પણ પેલા સો ટીપા નિષ્ફળ ગયા નથી. આની પાછળ સો ટીપાઓનો ત્યાગ રહેલો હોય છે એ ભૂલવું પણ ના જોઈએ. શ્રવણ અને મનનનું જીવનમાં આ સ્થાન છે. ધર્મનું આ જીવન એટલે આંતરિક સુક્ષ્મ પરિવર્તન ખરી રીતે તો તમારો વિચાર જ તમારું કાર્ય છે.

કામ કરવાનું શરૂ કરો ત્યારથી કામ કર્યુ ગણાય. પણ આ માટે માણસનો અંતરનો આશય કેવો છે એ જાણવુ બહુ જરૂરી વસ્તુ છે. જેનામાં આ ધર્મભાવના પડી છે, સુંદર વિચારો પડયા છે અને ક્ષમા તથા સહનશીલતા ભાવનાઓ છે તેને જીવનમાં કદી અસફળતા નહી સાંપડે. આ દુનિયામાં કાગની દૃષ્ટિતો સૌને વરેલી હોય છે પણ હંસ દૃષ્ટિ આવવી મુશ્કેલ છે. બીજાના દોષ જોવાનું કામ અનાદિ અનંતકાળથી કરતા આવ્યા છીએ એ આપણે માટે સરળ બની ગયું છે આને પરિણામે સંસારમાંથી આજ સુધી દોષ જોયા કર્યા છીએ. ગુણ નથી તારવ્યાં. સંસારને જોવાની આપણી દૃષ્ટિ દોષવાળી હોય તો એ ગળણીમાંથી સારા ગુણો ગળાઈને ચાલ્યા જશે. અને માત્ર દુર્ગુણો જ ભાગ્યમાં રહેવાનાં કાગડા જેવી દૃષ્ટિ રાખીને જીવનને ખરાબ કરવું એના કરતાં હંસદૃષ્ટિ રાખતા ક્યારેક છેતરાઈ જવામાં જ મઝા છે ફાયદો છે.

- ચેતન એસ.ત્રિવેદી