Get The App

સુખની શોધમાં માનવી .

Updated: Aug 21st, 2019

GS TEAM

Google News
Google News
સુખની શોધમાં માનવી                 . 1 - image


માત્ર માનવી જ એક માત્ર એવો જીવ છે જેને થોડા સુખનો આનંદ કે સંતોષ નથી. સુખ મેળવવા અને વધુમાં વધુ સુખી- ધનવાન થવા માટે માનવી રાત દિવસ ચિંતાતુર છે. 

આદિ અનાદિ કાળથી માનવી સુખની શોધમાં જ છે. સુખના અનેક પ્રકાર હોય છે. સુખની ચોક્કસ વ્યાખ્યા નથી. કેટલીક વ્યાખ્યા એકબીજાની પૂરક હોય છે. વિરૂધ્ધ પણ હોય છે જગતને સાંસારિક સુખોમાં રસ હોય છે. સંત, સાધુ, સંન્યાસી કે ફકીર સાંસારિક સુખોથી વિરૂધ્ધ હોય છે. તેનું મન ભગવદ પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિમાં લાગેલું હોય છે. તેમના માટે ભૌતિક સુખ નકામું છે.

તેઓ આધ્યાત્મિક સુખની શોધમાં હોય છે, ચાહક હોય છે. તેમનું મન સત્સંગના રંગે રંગાયેલું હોય છે. કોઈક ઉદ્યોગપતિને ધન પ્રાપ્તિમાં સુખ હોય છે. કોઈક સંતોષી માનવીને એક ટંક ખાવાનું મળે તો દુનિયાભરના સુખનો આનંદ થાય છે.

રાજાને રાજ્ય પ્રાપ્તિનો આનંદ હોય છે. નેતાઓને સત્તા પ્રાપ્તિમાં સુખ જણાય છે. કોઈકને મારૂતિ કાર મલ્યાનો આનંદ છે. કોઈકને સાયકલ પ્રાપ્ત થતાં જ સુખના આનંદ થાય છે. કવિ લેખકને પોતાની કવિતા કે લેખમાં અનહદ સુખનો આનંદ થાય છે. શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવામાં સુખના દર્શન થાય છે. બાળકોને રમકડાં મલ્યાનું સુખ છે. શાણા અને સમજુ માણસને સાદુ અને સરળ જીવન જીવવામાં આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે.

મહાત્માઓ, સાધુ, સંતો, મહંતો અને ધર્મગુરૂઓને જગતને સદબોધ આપી સાચી સમજણ દ્વારા સૌ સારી રીતે જીવન જીવે, સત્સંગના માર્ગે જાય એમાં આનંદ છે. નરસિંહ મહેતાનો પ્રભુ ભક્તિમાં સુખનો આનંદ મળે છે. તેમણે કહ્યું કે હરિના જન તો મુક્તિ ન માંગે, પરંતુ જન્મોજનમ મનુષ્યનો અવતાર માંગે છે.

કારણકે તેને હરિના ગુણ ગાવામાં, પ્રભુ ભજનમાં અને સતસંગમાં જ સુખ પ્રાપ્તિ થાય છે. માતાપિતાને પોતાના સંતાનોનાં સુખમાં પોતાનું સુખ દેખાય છે. પરિવાર સુખી તો માતાપિતાને સ્વર્ગના સુખનો આનંદ થાય છે. પશુઓને ઘાસચારો અને ખાવાનું મલ્યાનો અતિ આનંદ છે. પક્ષીઓને પોતાના બચ્ચાને ઉછેરનો આનંદ છે. તેમને અલ્પસુખ મળે છે.

માત્ર માનવી જ એક માત્ર એવો જીવ છે જેને થોડા સુખનો આનંદ કે સંતોષ નથી. સુખ મેળવવા અને વધુમાં વધુ સુખી- ધનવાન થવા માટે માનવી રાત દિવસ ચિંતાતુર છે. એકના બે કરવામાં હોશિયાર માનવી ધર્મના નામે પણ અયોગ્ય કરવા તૈયાર થઈ જાય છે. લોભી અને લાલચુ માણસને કદી સંતોષ થતો નથી. તે હંમેશા ધન મેળવવા તૈયાર હોય છે.

સામેની વ્યકિતનું હિત કે અહિત જોતો નથી. તે માત્ર પોતાનો જ સ્વાર્થ જુએ છે. સ્વાર્થી માનવીને માત્ર પોતાના સુખમાં જ રસ છે. કુદરતે મનુષ્ય અવતારમાં પચાસ ટકા સંત, સજ્જન, સાધુ અને સંતોનું નિર્માણ કરેલ છે. જેમના આધારે જગતનું યોગ્ય સંચાલન ચાલી રહ્યું છે. બાકીના પચાસ ટકામાં દુર્જન, સ્વાર્થી, લોભી લાલચુ અને દુષ્કર્મી તો તેમના કાર્યમાં અને સ્વભાવમાં એવા જ રહેવાના છે.

આ પ્રમાણે અનેક પ્રકારે જગતના જીવો સુખની ઝંખના કરતા હોય છે. દરેક જીવ સુખ પ્રાપ્તિનો આનંદ પામે છે. સુખી જીવનું મન તંદુરસ્ત હોય છે. માનવીના મન અને વર્તનથી તેના સુખ દુખનો અણસાર આવી જાય છે. વધુ પડતું સુખ અને વૈભવથી માનવીને માનસિક દુઃખ દુખી કરે છે. અતિશય સુખની ચિંતા થતા તેને અનિંદ્રાનો રોગ થાય છે. રોગનો ભોગી બનતા તેના સુખમાં દુખ આવે છે. સંતોષી નર સદા સુખી અત્યંત દુખમાં પણ સુખને માણે છે. સંતોષથી જીવન પસાર કરે છે.

- ભગુભાઈ ભીમડા

Tags :