Get The App

'શ્રી વાલ્મીકિ રામાયણ'ની રચના કઈ રીતે થઈ ?

- મહર્ષિ વાલ્મીકિ એવા વિરલ વ્યક્તિ વિશેષ હતા જેની રચના જગત જનો માટે સ્વર્ગની નિસરણી બનીને સર્વ પાપોમાંથી મુક્ત કરાવનાર પુણ્યનું સાધન બની રહેશે

Updated: Nov 26th, 2020

GS TEAM


Google News
Google News
'શ્રી વાલ્મીકિ રામાયણ'ની રચના કઈ રીતે થઈ ? 1 - image


ભા રતીય ધર્મગ્રંથોમાં ઉતમસ્થાન ગણાતાં ગ્રંથોમાં 'રામાયણ' પણ એક અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર ગ્રંથ છે. પંડિત હનુમાન શર્મા એ આશરે ૪૪ રામાયણોની સંખ્યા ગણાવી છે. તેમાં વાલ્મીકિ રામાયણ એ વાલ્મીકિ ઋષીની અદ્ભૂત રચના ગણાય છે. જે મૂળ સંસ્કૃતમાં છે. એની રચના પાછળ પણ એક મહત્વની ઘટના બની હતી.

મહર્ષિ વાલ્મીકિ પોતાની તપશ્ચર્યા માટે તપજ્ઞાા નદીમાં નિર્મળ જળમાં સ્નાન કરી અનુષ્ઠાન કરવા એકાંત સ્થળ શોધી રહ્યા હતા. તેવામાં એક કૌંચ પક્ષીનું જોડું ત્યાં મધુર સ્વર કરતું આનંદિતરૂપે નિર્દોષ ક્રિડા કરતું હતું. તે જોઈને મુનિ પ્રસન્ન થયા તેવામાં જ કોઈ ક્રુર પારધીએ તેના ઉપર એક બાણ છોડી નર પક્ષીને વીંધી નાખ્યું. લાલ મસ્તકવાળો તે નર કૌંચ લોહી લુહાણ થઈ પૃથ્વી ઉપર પડયો અને ચીસો પાડવા લાગ્યો. તેને જોઈ ક્રૌંચ માદા પણ કલ્પાંત કરવા લાગી. અને પતિની પાછળ શોક કરી રહેલી માદા માથા પછાડવા લાગી.

આવો કરૂણાજનકં દ્રશ્ય જોઈ ધર્માત્મા વાલ્મિકિમુનિના મનમાં અતિ દુઃખ થયું. તેમણે ચિંતન કરતા વિચાર્યું કે 'કામ ભોગમાં આસકત પશુપક્ષીનો વધ કરવો એ અધર્મ છે.' આવું શાસ્ત્રોનું કહેવું છે. આથી તેમના હૃદયમાં અનોખો આર્તનાદ થયો અને તેમના મુખમાંથી એક શ્લોક સરી પડયો.

'મા નિષાદપ્રતિષ્ઠા ત્વમગમ: શાશ્વતી: સમા: ।

યત્ કૌંચ મિથુનાદે કમ વધી: કામમોહિતમ્ ।।

'હે પારધી ! કામાસક્ત ક્રૌચ પક્ષીઓના જોડામાંથી એકને માર્યું છે તેથી તું આ પૃથ્વી લોકમાં લાંબો સમય રહી શકીશ નહિ.'

આ રૂપે વાલ્મીકિ પીડા પામ્યા અને તેમના અંતરમાં ઉત્પન્ન થયેલા સુક્ષ્મ ભાવોની સંવેદનાએ સંસારને સરસ સનાતન કવિતા આપી. એ કવિતા દ્વારા ભાવિમાં પ્રગટનારા 'રામાયણ મહાકાવ્ય' નું બીજા રોપણ થયું. ક્રૌંચવધના પ્રસંગમાં અને રામાયણનાં મુખ્ય કથા પ્રસંગમાં ઘણુ સામ્ય છે. કુદરતને ખોળે ખેલનારીએ સારસપક્ષીની જોડલીની જેમ જ રામ તથા સીતાની સ્નેહભરી સુંદર જોડલી હતી. એમાં સીતાનું રાવણ દ્વારા હરણ થયા પછી તેની અસર રામ ઉપર પણ થઈ. એમનું હૃદય વિરહની વેદનાથી સ્વભાવિક રીતે જ વ્યથિત થયું. જે કવિ વાલ્મીકી જેવા કરૂણાપ્રધાન કાળજામાં રામાયણ રૂપી કવિતાનું નિર્માણ થયું.

રામ અને સીતાના જીવનમાં કાળ રૂપી નિષાદનાં કઠોર બાણ વાગવાનાં ચાર નોંધપાત્ર પ્રસંગો હતા.

૧) માતા કૈકેયીનાં વરદાનને લીધે એમને અયોધ્યા છોડીને વનમાં જવું પડયું.

૨) બીજો પ્રસંગ રાવણ દ્વારા થયેલા સીતાનાં હરણનો હતો. 

૩) ત્રીજો પ્રસંગ અયોધ્યામાં પાછા ફર્યા પછી લોકાપવાદને લક્ષમાં લઈને કરવામાં આવેલ રામ દ્વારા સીતા ત્યાગનો.

૪) અને ચોથો પ્રસંગ રામની સંનિધિમાં અયોધ્યાની રાજ્યસભામાં સીતાએ કરેલો પૃથ્વીમાં પ્રવેશનો.

આ ચારેય પ્રસંગો અતિશય કરુણ અને કોઈપણ મહાકવિના મનમાં મંથન જગાવે તેવા હતા. આમ રામ અને સીતાને કાળે કે નિર્યતિરૂપે નિષાદે જ્યારે બાણ માર્યું ત્યારે ત્યારે એ પડછંદા વધારે ને વધારે પ્રબળ પણે જોઈ શકાય છે. આમ રામાયણની રચના ભક્તકવિ વાલ્મિકે કરી છે. રામાયણની અલૌકિકતાનું એજ મુખ્ય કારણ છે. મહર્ષિ વાલ્મીકિ કવિતા કરવા નથી બેઠા. એમને કવિતા કરવી પડી છે. શક્તિ એક વસ્તુ છે અને ભક્તિ બીજી વસ્તુ છે. જ્યાં શક્તિ હોય છે. ત્યાં કેટલીકવાર ભક્તિ નથી હોતી. અને જ્યાં ભક્તિ હોય છે ત્યાં કેટલીકવાર શક્તિ નથી હોતી. બન્નેનો સુગમ સમન્વય કોઈક વિરલ વ્યક્તિ વિશેષમાં જ જોવા મળે છે. મહર્ષિ વાલ્મીકિ એવા વિરલ વ્યક્તિ વિશેષ હતા જેની રચના જગત જનો માટે સ્વર્ગની નિસરણી બનીને સર્વ પાપોમાંથી મુક્ત કરાવનાર પુણ્યનું સાધન બની રહેશે.

इदं पवित्रं पापध्रं पुण्यं वेदैश्यासंमितम् ।

यः पढेन् राम चरित सर्वपापैं प्रमुच्यते ।।

શ્રી વિવેકાનંદજીએ રામાયણ ગ્રંથ માટે કહેલું કે 'જગતમાં જેનો ભેટો નથી, એવા અનન્ય સાહિત્યગ્રંથ તરીકે રામાયણ આપણને પ્રાપ્ત થયું છે. ('અધ્યાત્મ' માંથી સભાર)

- ડો.ઉમાકાન્ત જે.જોષી

Tags :