ગાયત્રીમંત્ર અને ગાયત્રી માતાનો મહિમા

''ગાયત્રી'' શબ્દ સંસ્કૃત ધાતુ ગૈ અને ત્રા-થી બનેલો છે. ગૈ-ગયાન્ એટલે પ્રાણ અને ત્રાયતે એટલે રક્ષણ. જે માણનું રક્ષણ કરે છે તે ગાયત્રી. ગાયત્રી મંત્ર સૂર્ય ઉપાસનાનો મંત્ર છે. મન:ત્રાયતે ઈતિ મંત્ર જે મનનું રક્ષણ કરે છે તે મંત્ર. ભાષામાં અનુષ્ટુપ, ઈન્દ્રવ્રજ્જા, છંદ હોય છે તે અનુસાર ગાયત્રી મંત્રનો છંદ પણ ગાયત્રી છે. ચારે ચાર વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે, જેથી તેને વેદમંત્ર પણ કહે છે.
''ગાયત્રી'' મંત્રનું બંધારણ આ પ્રમાણે છે : આ મંત્રમાં કુલ : ૧૨ (બાર) શબ્દો છે, ૨૪ (ચોવીસ) અક્ષરો છે, ઓમ - એક પ્રણવ છે, ભૂ : ભુવ : સ્વ : ત્રણ ચરણ અને ત્રણ વ્યાદુતિ છે. વ્યાદૃતિ એટલે ચારેય તરફથી ખેંચી લાવવું. મંત્રમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ-એમ ૪ (ચાર) વેદ છે, શિક્ષા, કલ્પ, નિરૂકત, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ એવાં ૬ (છ) સ્વર છે, મંત્રનો ગેય છંદ ગાયત્રી છે, આ મંત્રના ઋષિ ગાધિપુત્ર બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર છે, મંત્રના દેવતા ''સવિતુ'' - સૂર્ય છે, મંત્રમાં બ્રહ્મદંડ, બ્રહ્મશિરસ અને બ્રહ્માસ્ત્ર-ત્રિગુણાત્મક ત્રિદંડની ગુપ્ત શક્તિ છે, ઁ - આ મંત્રનું ઊર્જાકેન્દ્ર અર્થાત્ એન્જિન છે. આ મંત્રના અનુષ્ઠાન જપ માટે મંત્રગાનની અર્વાધ ૨૩ (ત્રેવીસ) સેકંડ નિયત કરવામાં આવી છે.
''ગાયત્રી'' - મંત્રનું ઉચ્ચારણ સૌ પ્રથમ બ્રહ્માજીના મુખેથી થયાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ઋગ્વેદના ત્રીજા મંડળના સૂકત ૩/૬૨/૧૦માં સૌ પ્રથમ આ મંત્રનો પરિચય આપેલ છે. યજુર્વેદમાં આ મંત્ર કુલ ૪ (ચાર) વખત આવર્તન પામેલ છે, સામવેદમાં ૧૪૬૨મો મંત્રએ ગાયત્રી મંત્ર છે, અથર્વવેદમાં ૧૬મા સુકતનો ૭૧મો મંત્ર ગાયત્રી મંત્ર છે. ઉપનિષદોમાં તૈત્તિરીયમાં બે વખત, બૃહદારણ્યમાં ૧ વખત, જૈમિનીયમાં ૧ વખત, શ્વેતા-શ્વતરમાં ૪ વખત, બ્રહ્મ ઉપનિષદમાં
૨ વખત આ મંત્રનો ઉલ્લેખ જોવા મળેલ છે.
''ગાયત્રી'' મંત્ર શ્રૌતસૂત્ર, આપસ્તંભ સૂત્ર, શંખાયનસૂત્ર, કૌશિતકી, ખાદિર, ગૃહ્યસૂત્ર, માનવસૂત્ર-એમ અનેક સૂત્રોમાં પણ મહત્ત્વનું સ્થાન પામેલ છે. કૂર્મ પુરાણમાં આ મંત્રની વિગતે ચર્ચા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નં.૧૦ શ્વોક : ૩૫ : માં સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે : ગાયત્રી છંદસામહમ - અર્થાત્ છંદોમાં હું ગાયત્રી છંદ છું. આમ વેદો, ઉપનિષદો, સૂત્રો, પુરાણો, નીતિશાસ્ત્રો અને વિવિધ સ્મૃતિશાસ્ત્રોમાં પણ ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે.
- પી. એમ. પરમાર









