ભક્તિ તો, ભવસાગર તારે
આ દુનિયાની અંદર માણસો શાશ્વત સુખની પ્રાપ્તિ માટે અનેક પ્રકારના સાધનો કરે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં ભગવાનને પામવા માટેનું સર્વોત્તમ સાધન તરીકે ભક્તિને ગણાવામાં આવેલું છે. જે મુમુક્ષુ ભગવાનની ભક્તિ કરે છે, અને હું અને મારું એ બે જે મૂકી દે છે. તે ભગવાનને પામી શકે છે.
ભક્તિ કુલ નવ પ્રકારની હોય છે.
શ્રવણં કીર્તન વિષ્ણો : સ્મરણ પાદસેવન ।
અર્ચનં વંદન દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ।।
૧) શ્રવણ ભક્તિ ૨) કીર્તન ભક્તિ ૩) સ્મરણ ભક્તિ ૪) પાદસેવન ભક્તિ ૫) અર્ચન ભક્તિ ૬) વંદન ભક્તિ ૭) દાસ્ય ભક્તિ ૮) સખ્ય ભક્તિ ૯) આત્મનિવેદન ભક્તિ. આ નવ પ્રકારે ભગવાનનું ભજન કરવામાં આવે તેને ભક્તિ કહેવાય છે.
અને જે મનુષ્ય આવી નવ પ્રકારની ભક્તિ કરે છે તેનો મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય છે. ભવના બંધન થકી મૂકાય છે. તેથી માણસ માત્રે બીજા સર્વ કામોનો ત્યાગ કરીને ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ.
જેમ સમુદ્ર વહાણ વિના તરી શકાતો નથી, તેમ ભગવાનની ભક્તિ વિના આ સંસાર સાગર તરી શક્તો નથી.
જેમ ભોજન લીધા વિના ભુખ ભાંગતી નથી, પાણી પીધા વિના તૃષા છીપતી નથી, તેમ ભગવાનની ભક્તિ વિના માણસ ભવાટવી એટલે કે, જન્મ મરણમાંથી બહાર નીકળી શક્તો નથી. ભગવાનની ભક્તિ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
સદ્. શ્રી નિષ્કુળાનંદસ્વામી કહે છે કે, જળચરને જેમ જળ જીવન છે, વનચરને જેમ વન એ જીવન છે, તેમ ભગવાનના ભક્ત હોય તેમણે ભક્તિને જીવન બનાવી દેવું જોઈએ.
હુંડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ,
અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ જાજ.
આપણા પગથી મંદિર તરફ ના જવાયું. જીભથી ભગવાનનું નામ સ્મરણ ના થયું. આંખ થી ભગવાનના દર્શન ના થયા, કાનથી ભગવાનના ચરિત્રનું ગાન ના થયું, તો તે સર્વ વ્યર્થ છે. તેથી ભગવાનની ભક્તિ કરીને મનુષ્ય જન્મ સાર્થક કરી લેવો જોઈએ.
સર્વ સાધનામાં ભક્તિ શ્રેષ્ઠ છે. જેમ રાત્રીનો અંધકાર સૂર્ય વગર ટળતો નથી, તેમ આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિ દોષો રુપી અંધકાર ભક્તિ વિના ટળતો નથી.
આ દુનિયામાં સૌથી દુર્લભમાં દુર્લભ શું છે ? પૈસા, ગાડી, બંગલા, સ્ત્રી, પુત્ર આદિ ? ના. આ દુર્લભ નથી.
મનુષ્યનો દેહ, મોક્ષની ઇચ્છા અને મોટાપુરુષનો જોગ મળવો એ ત્રણ અત્તિ દુર્લભ છે.
મનુષ્ય જન્મ તો ઘણાને મળ્યો છે. દુનિયામાં ઘણા માણસો જીવે છે. સવારે ઉઠે, સ્નાન કરે, કામ ધંધો કરે, પૈસા કમાય, ખાય- પીવે, મોજ- મજા કરે અને આવા થોડા દિવસો, થોડા વર્ષો ચાલે અને પછી મરી જાય.. તો આનો અર્થ શું ?
ઉઠયા, જાગ્યા, ન્હાયા, ખાધું- પીધું, મોજ કરી મરી ગયા.. આ શું કોઈ જીવન છે. આ તો સંસાર એક નાની કથા થઈ. જો માણસ શાંતિથી વિચારે તો તેને ખ્યાલ આવશે કે, જીવનમાં જોઈએ છે થોડું, પણ માણસ દોડે છે ઝાઝું.
સંસારમાં સુખનો છાંટો છે અને દુ:ખ તો દરિયા જેવું છે, જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિનું સુખ તો આનંદનો મહાસાગર છે. તેથી આપણે ભક્તિ અવશ્ય કરવી જ જોઈએ તેથી જ કહ્યું છે કે,
પ્રભુ મહિમા દૃઢ સમજીને, ભક્તિ કરવી સદાય,
અનન્ય પ્રભુની ભક્તિથી, અગાધ શાંતિ પમાય.
ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષ થાય છે. પરંતુ ભક્તિ કરવામાં બે મોટા વિઘ્ન નડે છે. એક હું અને મારું એ મૂકી દેવા જોઈએ એટલે કે, દેહાભિમાન મૂકીને ભગવાનની ભક્તિ કરવી જોઈએ. દેહાભિમાન હોય ત્યાં સુધી ભગવાનની ભક્તિ સાર્થક બનતી નથી.
તમે જુઓ જેટલા અક્ષર છે તેમાં હું અક્ષર સૌથી વધુ વાંકો છે અને એના કારણે જ મોક્ષ માર્ગમાં સૌથી મોટો વાંધો પડે છે.
તેથી આપણે હું ને મારાપણાનો ત્યાગ કરવો જ પડશે.
આપણે જે ભગવાનની ભક્તિ કરવાની છે તે પણ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહથી પૃથક થઈને કરવાની છે.
તે વાત શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રથમ પ્રકરણના ૨૩મા વચનામૃતમાં સુપેર સમજાવી છે... જે આ રીતે દેહભાવથી પૃથક થઈને ભક્તિ નથી કરતા તેની ભક્તિમાં અવશ્ય વિઘન આવે આવે ને આવે જ છે. તેથી આપણે જીવનપ્રાણ બાપાશ્રી એ શીખવ્યું છે તેવી રીતે ત્રણ દેહથી પૃથક થઈને, પોતાને પુરુષોત્તમ રુપ માનીને ભગવાનની ભક્તિ કરીને મોક્ષ સાધી લેવો એ જ વાત સારમાં સાર છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar