Get The App

પ્રભુનું અદ્ભુત સર્જન મા .

Updated: May 10th, 2023

GS TEAM


Google News
Google News
પ્રભુનું અદ્ભુત સર્જન મા                                    . 1 - image


- મા બાળકના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી રહે છે. પોતાનાં સંતાનોને સંસ્કારોનું સિંચન કરવામાં મા સદા તત્પર રહે છે. એટલે તો એવું કહેવાતું થયેલું છે કે ''એક માતા એટલે સો શિક્ષકોની બરાબર છે.''

ઇ શ્વર પછી મનુષ્ય કે બાળકને માટે સૌથી વધારે પ્રીતિપાત્ર અને પ્રેમાળ કોઇ ગણનાપાત્ર મહાન વિભૂતિ હોય તો મા છે. માનું સર્જન એ ઇશ્વરની મહાન પ્રતિમૂર્તિ છે.

બાળકને પૃથ્વી પર જન્મ ધરતાં કે આવતાં અગાઉના નવ માસ માટે તેને સારુ ઇશ્વરે માતાના ઉદરમાં અદ્ભુત રચના કરેલી છે, ત્યાં જ તેને પોષણ મળે છે, હવા પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ સલામતી મળતી રહે છે એ તો ઇશ્વરની અભૂતપૂર્વ રચના છે; માણસ તેનું રહસ્ય સમજી શકતો નથી.

બાળકના જન્મ પૂર્વે મા તેના માટે અવનવી જરૂરિયાતોનો સંગ્રહ કરે છે. તેના માપનાં, તેને હૂંફ લાગે તેવાં વસ્ત્રોની પૂર્વ તૈયારી કરે છે. તેના જન્મ પૂર્વે પ્રસૂતિની અસહ્ય વેદના સહન કરે છે; પરંતુ બાળકનો જન્મ થતાંની સાથે જ તે સમગ્ર પીડા વિસારી દે છે અને હાસ્યોલ્લાસમાં મગ્ન થઇ જાય છે. આ છે માની મમતા.

મા બાળકના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી રહે છે. પોતાનાં સંતાનોને સંસ્કારોનું સિંચન કરવામાં મા સદા તત્પર રહે છે. એટલે તો એવું કહેવાતું થયેલું છે કે ''એક માતા એટલે સો શિક્ષકોની બરાબર છે.'' માતાના ઉછંગ અને પાલવમાં શિશુને જે હૂંફ, સ્નેહ તથા સલામતી મળે છે એવી સુવિધા અન્યત્ર ક્યાંથી તેને મળતી નથી. માના ઉછંગમાં નિરાંતે તથા નિશ્રિતે સ્તનપાન કરતા બાળકનું ચિત્ર વિશ્વનાં અન્ય ચિત્રોમાં વિશેષ સ્મરણીય છે.

અદ્યતન યુવાનોએ પોતાનાં માની કદર કરવામાં અને આમન્યા જાળવવામાં સતત સાવધાની રાખવા જેવી છે. આ યુવાનોની પત્નીઓને પોતાનાં સાસુમાને મા સમજીને પતિઓ દ્વારા કરાતી માતૃસેવામાં સહયોગ આપવામાં જાગૃતિ રાખવાની છે. આ એક ઉત્તમ આશીર્વાદિત સેવાકાર્ય છે.

સ્કૂલમાંથી કાઢી મૂકેલા એડીસનને વીજળીનાં બલ્બનું સંશોધન કરવામાં તેનાં માતાનો સાથ અને ફાળો અનોખો હતો. તો વળી તદન ખોટા માર્ગે રખડી ગયેલા દીકરા ઓગસ્ટીન માટે સતત શિખામણ આપવાનું અને પ્રાર્થના કરવાનું તેમનાં મા મોનિકા કદી ચૂક્યાં ન હતાં. અને માતાના પરિશ્રમને પરિણામે તેમનો દીકરો આખર જતાં સંત ઓગષ્ટિન તરીકે વિખ્યાતિ પામ્યો. ઇસુ પોતે પણ પોતાનાં મા મરિયમ અને પિતાને આધીન રહ્યા હતા.

''તપતા તડકે તનથી વાયુ શીત વહાવે મા;

પાલવમાં પોઢાડી શિશુને પ્રીત બતાવે મા.''

- સુરેન્દ્ર આસ્થાવાદી

Tags :