ચાર પુરુષાર્થ .
આ પણાં શાસ્ત્રોએ જીવનના ચાર પુરુષાર્થ દર્શાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સૂચક રીતે ધર્મને પ્રથમ સ્થાને મૂક્યો છે. જીવનમાં તેનો પ્રવેશ બાકીના પુરુષાર્થોને અને તે દ્વારા જીવન અને વિશ્વને, સરળતાથી સંસારમાં રહીને આધ્યાત્મિક ઊંચાઈએ લઈ જશે.
ધર્મ માત્ર ક્રિયાકાંડોમાંજ સીમિત નથી. ચિત્તની સ્થિરતા અને લક્ષ્યની એકાગ્રતા કેળવવાનું પ્રાથમિક સોપાન છે. સેવા, પરમતત્ત્વની અનુભૂતિ અને નિર્વ્યાજ પ્રેમ જીવનને શુદ્ધ કંચન બનાવે છે. માનવીને માનવ બનાવે છે. પ્રભુમય બનવા આ તત્ત્વોને આચરણમાં મૂકી સદ્ધર્મયાત્રા આરંભાય છે. આચાર પ્રથમો ધર્મ: ।
અર્થો હિ લોકે પુરુષસ્ય બન્ધું. વૈયક્તિક, પારિવારિક અને સામાજિક જવાબદારીઓ વહન કરવા અર્થો પાર્જન અનિવાર્ય છે. ઉક્ત ધર્મમય તત્ત્વોને ધનોપાર્જનની તમામ પ્રવૃત્તિઓ સાથે જોડવાથી દ્રવ્ય પવિત્ર બની વ્યષ્ટિ અને સમષ્ટિના તંદુરસ્ત વિકાસને સિદ્ધ કરી શકે છે. સ્વસ્થ જીવનશૈલી નિર્માણ કરે છે. છળ, પ્રપંચ, કપટ અને અનીતિમય યુક્તિઓને સ્થાન રહેતું જ નથી.
ધર્મના આચરણથી કામ-કામનાઓ-ઇચ્છાઓ પણ નિજસ્વાર્થ રહિત, નિષ્કામ બની જાય છે. સ્વહિતને બદલે પરહિતને દૃષ્ટિ સમક્ષ રાખવાની સમજ ખીલે છે. સમાજ માટે જે સારુ છે તે પોતા માટે પણ સારુ જ છે. સંબંધોની સાંકળ પાવન અને નિચ્છલ બને છે.
ધર્મના પ્રવેશથી ત્યાગીને ભોગવવાનો વેદમંત્ર સૃષ્ટિને સ્વર્ગ બનાવી દે પછી મોક્ષની કામના રહે ખરી ? જીવતે જીવ જળકમળવત બની નિષ્કામ કર્મની દિવ્ય અનુભૂતિ અહીં જ મુક્તિનો નિરવધિ આનંદ આપે છે.
ધર્મના પ્રવેશથી ત્યાગીને ભોગવવાનો વેદમંત્ર સૃષ્ટિને સ્વર્ગ બનાવી દે પછી મોક્ષની કામના રહે ખરી ? જીવતે જીવ જળકમળવત બની નિષ્કામ કર્મની દિવ્ય અનુભૂતિ અહીં જ મુક્તિનો નિરવધિ આનંદ આપે છે.
આપણા ઋષિ-મુનિઓની હજારો વર્ષ પૂર્વેની દિવ્ય અને દીર્ઘ દૃષ્ટિ સર્વકાળમાં પ્રસ્તુત છે. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. જે કાલજયી છે.
- ચંડીદાન ગઢવી