'પંજાબ કેસરી વલ્લભસૂરિજી મહારાજ: ક્રાંતિની મહાન મિશાલ !'
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
આચાર્યશ્રીએ મોતીલાલ નહેરુને કહ્યું કે' તમે પહેલાં સિગારેટ છોડો પછી આઝાદીની વાત કરો'
શ્રી વલ્લભસૂરિજીએ કહ્યું, 'જૈનદર્શન એ ભારતીય ધર્મદર્શનોમાં મુકુટ મણિ છે. એ સામાન્ય માણસો ચર્ચા કરે અને મહાન ઠરાવે તે મને જ માન્ય નથી. પહેલાં તમારી મહાનતા પૂરવાર કરો પછી આગળ આવો.'
ભારતના એક છેડાથી બીજા છેડા સુધી વિહાર કરતા જૈન મુનિને જોઈ અજાણ્યા માનવીને પણ હાથ જોડવાનું મન થાય છે કેમ કે જૈન મુનિના તપ, ત્યાગ કેવા વિરલ છે !
આકરૂં તપ, કઠિન ત્યાગ, મુશ્કેલી ભર્યો વિહાર હસતાં-હસતાં કરી રહેલા જૈન મુનિ આત્મ કલ્યાણ માટે સંસારનો ત્યાગ કરીને નિકળી પડે છે.
ક્રાંતિકારી જૈન મુનિ આચાર્યશ્રી વલ્લભસૂરીશ્વરજી મહારાજ પંજાબથી વિહાર કરીને ગુજરાત આવી રહ્યા હતા. ઇ.સ.૧૯૬૪નું એ વર્ષ. એ સમયે પંજાબથી આચાર્ય શ્રી કમલસૂરિજી મહારાજે તારથી સંદેશો મોકલ્યો કે પંજાબ જલદી પાછા આવો. વલ્લભસૂરીશ્વરજી મહારાજે માણસ મોકલીને કારણ પૂછાવ્યું તો કમલસૂરિજી મહારાજે જણાવ્યું કે અહીંના કેટલાંક ધર્મદ્વેષી લોકો એમ કહે છે કે , પૂજ્ય આત્મારામજી મહારાજ લિખિત' જૈનતત્ત્વાદર્શ' અને 'અજ્ઞાાનતિમિરભાષ્કર' - બંને ગ્રંથો અમને માન્ય નથી, એની ચર્ચા થવી ઘટે.
વલ્લભસૂરિજી મહારાજ સમજ્યા કે આ બંને ગ્રંથોને ઉડાડી દેવાનો મતલબ એ થાય કે જૈનતત્ત્વની વાતો ખોટી છે.
ભર ઉનાળામાં એમણે પંજાબ તરફ વિહાર શરૂ કર્યો. રોજ સવાર અને સાંજ થઈને ૩૦ માઈલનો વિહાર, ખુલ્લા પગ, તપસ્વી શરીર : પગમાંથી લોહી નિકળે અને શરીરમાં તાવ ભરાયેલો એ સંજોગોમાં શ્રી વલ્લભસૂરિજી જેવા ગુજરાનવાલા પહોંચ્યા કે તરત જ જેઓ ચર્ચા કરવા માંગતા હતા તે નાસી ગયા !
શ્રી વલ્લભસૂરિજીએ ઘોષણા કરી કે જેમણે શાસ્ત્રાર્થ કરવો હોય તે બેધડક આગળ આવે. પણ કોઈ ના આવ્યું. શ્રી વલ્લભસૂરિજીએ કહ્યું, 'જૈનદર્શન એ ભારતીય ધર્મદર્શનોમાં મુકુટ મણિ છે. એ સામાન્ય માણસો ચર્ચા કરે અને મહાન ઠરાવે તે મને જ માન્ય નથી. પહેલાં તમારી મહાનતા પૂરવાર કરો પછી આગળ આવો.'
શ્રી વલ્લભસૂરિજીની પંજાબમાં ધાક બેસી ગઈ.
સમગ્ર દેશમાં ક્રાંતિની હવા ફેલાઈ હતી. આઝાદીની ચળવળ ચાલતી હતી. ગાંધીજી ઠેર-ઠેર પ્રજાને અંગ્રેજોની વિરુધ્ધ આઝાદીનું મહત્ત્વ સમજાવતા હતા. તે દિવસોમાં મોતીલાલ નહેરુ શ્રી વલ્લભસૂરિજીને મળવા માટે દિલ્હીના ઉપાશ્રયમાં પહોંચ્યા.
શ્રી વલ્લભસૂરિજીએ ઉપાશ્રયની બારીમાંથી મોતીલાલ નહેરુને ગાડીમાંથી ઉતરતા જોયેલા. એમના હાથમાં સિગારેટનું પાકીટ અને સળગતી સિગારેટ હતા. ફોરેનની બ્રાન્ડની છાપ એ પાકીટ પર વંચાતી હતી.
વલ્લભસૂરિજીએ મોતીલાલ નહેરુને વાતવાતમાં ટકોર કરી: ' તમે આઝાદીની વાત કરો છો અને હાથમાં ફોરેન બ્રાન્ડની સિગારેટ લઈને ફરો છો આ બંને વાતનો મેળ ખાય છે ?'
મોતીલાલ કહે, 'સિગારેટની ટેવ પડી ગઈ છે.'
'જો આપણે છોડવા માંગીએ તો ગમે તેવી ટેવ છોડી શકાય. તમે લોકોને સમજાવો કે લોકોએ અંગ્રેજોએ બનાવેલી વસ્તુ ન વાપરવી અને તમે વાપરો તે બરાબર નથી અને તમે પોતે વ્યસન ન છોડો તે પણ બરાબર નથી.'
મોતીલાલ નહેરુ શરમાઈ ગયા. એમણે તે જ પળે સિગારેટના બોક્સનો બારીમાંથી ઘા કરી દીધો. એ પછી જ્યારે પણ મોતીલાલ નહેરુ વલ્લભસૂરિજી મહારાજને મળતા ત્યારે કહેતા કે તમારા આશીર્વાદથી જ મારું વ્યસન ગયું !
કોઈએ અંગ્રેજ સરકારના કાન ભંભેર્યા કે આ દેશમાં ક્રાંતિકારીઓ સંતોના વેશમાં ફરે છે, વલ્લભસૂરિજી પણ તેમાંના જ એક છે !
જૈન અગ્રણી લક્ષ્મીચંદજી ઢઢ્ઢાએ આ જાણ્યું ત્યારે તેમણે અંગ્રેજોને કહ્યું કે આતો પવિત્ર જૈન મુનિ છે. તેમના માટે આવું વિચારવું તે પણ પાપ છે. આ છતાં પણ અંગ્રેજોએ તપાસ કરવા માટે ગુપ્તચરો રોક્યા. જ્યારે ગુપ્તચરોએ જોયું કે આ જૈન સાધુ પોતાની જીવનચર્યામાં એક કીડીને પણ પોતાના વ્યવહારથી મરવા દેતા નથી, ઉકાળેલું પાણી પીવે છે, તપ અને ત્યાગથી ભરપૂર જીવન જીવે છે ત્યારે ગુપ્તચરો પણ તેમના ભક્તો બની ગયા.
'પંજાબકેસરી'ના હુલામણા નામથી જાણીતા શ્રી વલ્લભસૂરિજી મહારાજ ક્રાંતિકારી જૈનસાધુ જરૂર હતા પણ ભગવાન મહાવીરની પરંપરાના મહાન ઉપાસક હતા. એ ઉપાસનાની જ્યોત એવી પ્રગટી જે ક્યારેય બુઝાવાની નથી.
પ્રભાવના
સફળતા સમયે તાળીઓ વગાડતી બે હથેળી કરતાં નિષ્ફળતા સમયે કોઈની આંખનું આંસુ લૂંછનારી એક આંગળી વધારે મૂલ્યવાન છે.