- ધર્મનું ઓઠું લઈ, ખોટી રીતે પૈસો મેળવવામાં ને તેનો સ્વાર્થી લાલચો માટે ભ્રષ્ટાચાર થાય તો છેવટે 'પાપ' ભોગવવા જ પડે છે
'આનંદ રામાયણ'માં એક કથા આવેલી છે. શ્રી રામચંદ્રજીએ એક દિવસ, કૂતરાનો રડવાનો અવાજ સાંભળ્યો. શ્રીરામજીએ લક્ષ્મણને પૂછયું, 'કૂતરો કેમ રડે છે ? કૂતરાને બોલાવી લાવો.'
લક્ષ્મણજી કૂતરાને, શ્રી રામજી પાસે લાવ્યા. શ્રીરામજીએ પૂછયું, 'તું કેમ રડે છે ?'
કૂતરો કહે, 'પેલા સંન્યાસીએ મને પથ્થર માર્યો.' થોડેક દૂર એક સંન્યાસી ઊભો હતો. લક્ષ્મણજી તે સંન્યાસીને બોલાવી લાવ્યા. શ્રીરામજીએ કહ્યું, 'મહારાજ ! હું માધુકરી માગીને જતો હતો. તે વખતે આ કૂતરો મારી પાછળ પડયો. મને થયું કૂતરો મને અડકી જશે તો હું અભડાઈ જઈશ. તેથી મેં કૂતરાને પથ્થર માર્યો.'
શ્રીરામજીએ કહ્યું, 'મહારાજ ! તમે સંન્યાસ લેવામાં ઉતાવળ કરી છે. કૂતરો તો પશુ છે. તે બિચારો શું સમજે ? તમે કૂતરાનો અપરાધ કર્યો છે. એટલે આ કૂતરો તમને જે સજા ફરમાવશે તે તમારે ભોગવવી પડશે.' રામજીએ કૂતરાને કહ્યું, 'તારે જે સજા કરવી હોય તે કર.'
કૂતરાએ માગ્યું કે, 'આ સંન્યાસીને લાખો રૂપિયાની આવકવાળા મઠનો મહંત બનાવો.' લક્ષ્મણે કહ્યું 'આ તો સજા કે આશીર્વાદ ?'
કૂતરાએ સમજાવ્યું કે, 'પ્રભુ ! મારી કથની સાંભળો. હું ગત જન્મમાં આવા એક મઠનો મહંત હતો. અને 'દેવધન' મેં મારા વિલાસ અર્થે વાપરેલું. દેવધનનો મેં ખોટો ઉપયોગ મારા વિલાસી સ્વાર્થ માટે કરેલો. તેથી મારે કૂતરાનો અવતાર લેવો પડયો છે. આ સંન્યાસી કોઈ મંદિરનો મોટો મંહંત થશે તો અને વિલાસ ભોગવવા 'દેવધન' વાપરશે તો તેની દશા મારી માફક 'કૂતરો' બનવું પડશે, અને લોકો તેને પથ્થર મારશે.'
નૃગરાજાની પણ એક કથા છે... તેણે 'રાજધન'નો અને ધર્મ, સંસ્કૃતિ તથા સામાજિક સેવા અંગે દાનપેટે મળેલા ધનનો પોતાના સ્વાર્થ વૈભવ-વિલાસ રૂપે અનેક પાપકર્મ માટે કરેલો તેથી 'કાચંડા'નો અવતાર મળેલો.
ધર્મનું ઓઠું લઈ, ખોટી રીતે પૈસો મેળવવામાં ને તેનો સ્વાર્થી લાલચો માટે ભ્રષ્ટાચાર થાય તો છેવટે 'પાપ' ભોગવવા જ પડે છે. સમાજમાં ને દેશમાં ધર્મ સંસ્કૃતિ-શિક્ષણ, દેવસેવા, કામ કરતી સંસ્થાઓમાં પ્રભુ પ્રીત્યર્થે દાનવીરો દાન આપે છે. નિષ્ઠા, પ્રામાણિકતા, નૈતિકતા, મૂલ્યો, સિદ્ધાંતો પૂરેપૂરાં સચવાય ને ભ્રષ્ટાચાર-કૌભાંડ ન થાય તે માટે પ્રામાણિક જાગૃત 'સેવાભાવી'ઓની કાયમ જરૂર હોય છે. આવું હાલનો સમય સૌને ખાસ સૂચવે છે.


