તાજેતરમાં અમદાવાદમાં મોટી વિમાની દુર્ઘટના બની ગઈ ત્યારે મોટી સંખ્યામાં મુસાફરોએ જીંદગી ગુમાવી. આ પછી બાકીની બીજી વિધિ માટે મૃતકના પરિવારના સભ્યોનો DNA ટેસ્ટ લેવામાં આવ્યો. શરીરના DNA જેવું જ મનુષ્યના મગજના DNAનું છે. મનુષ્યના મગજનું DNA કરવા બેસીએ તો વિચિત્ર જ પરિણામો જોવા મળે. દરેકના સ્વભાવ, વિચારો સરખા હોતા નથી. શ્રીમદ્ ભગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે: 'મનઃ એવં મનુષ્યાણાં કારણ બંધ મોક્ષયોઃ'' અર્થાત્ મનુષ્યના મોક્ષ અને બંધનનું કારણ તેનું મન છે. ચંદ્ર એ મનનો કારક છે. માણસના વિચારો તુમુલ યુદ્ધ કરતા હોય છે. વિચારો મનમાંથી જ આકાર ધારણ કરતા હોય છે. આપણે આપણાં મનનું ધાર્યુ ઘણી વાર કરી શકતા નથી. DNA થી શરીર કે પરિવારના સભ્યની ઓળખાણ ભલે થતા હોય પરંતુ મનના તાગ મેળવવા બહુ જ દુષ્કર છે. મજબુત મનોબળ વાળો આદમી પણ ઘણીવાર ઢીલો પડી જતો હોય છે.
શરીરની તંદુરસ્તી મન ઉપર બહુ જ આધાર રાખે છે. મનમાં મુંઝવતા પ્રશ્નોને કારણે ઘણીવાર રોગના ભોગ બની જતા હોઇએ છીએ. મનનો નિગ્રહ કરનાર તેનાં કાર્યોમાં સફળતાને વરે છે. માનવીના મનનો મણકો માળાના મણકાની જેમ ચાલતો રહે છે. ઘણીવાર મન ક્યાંક બીજે ભટકતું હોય છે તો શરીર ક્યાંય બીજે 'ચંચલઃ હી મન કૃષ્ણ:' આ વાક્ય સાચું જ પુરવાર થયું છે. મન ઘણીવાર અસ્થિર થઈ જાય છે. અને ડગમગવા લાગે છે. મનની સ્થિરતા કે અડગપણું જીત અપાવે છે. આપણે ઘણીવાર આપણાં મનને મારતાં હોઈએ છીએ અને તેમ કરવું પણ પડે છે. મન પર કાબુ રાખવાથી સફળતાની સીઢી પર ચડી શકાય છે.
શાયર ગની દહીંવાળાના પ્રચલિત શબ્દો યાદ આવે છે.
ન ધરા સુધી, ન ગગન સુધી
નહીં ઉન્નતિ, ન પતન સુધી.
આપણે તો જવું હતું બસ
એકમેકનાં મન સુધી.
આમ આપણે એક બીજાના મન સુધી પહોંચવા પ્રયાસો કરવાના રહે છે. મન મળી જાય તો કામ પણ થઈ જાય છે. મનના ભાવો ઉત્તમ હશે તો જીવન સુંદર બનશે.
'મન' શબ્દને લઈને કેટલીક જાણીતી કહેવતો આ પ્રમાણે છે.
'મન ચંગા તો કથરોટમેં ગંગા,'
'મન હોય તો માળવે જવાય.'
'જેનું મન સવળું તેને દરરોજ દિવાળી
જેનું મન અવળું તેને દિવાળીને દિવસે પણ હોળી.''
આપણાં ઘણાં ફિલ્મી ગીતોમાં મન વિશે કહેવાયું છે: તોરા મન દરપન કહેલાયે (૨) મન મોરા બાવરા (૩) મનકી બીન મતવાલી બાજે (૪) મન રે તુ કા હે ન ધીર ધરે વિગેરે.
DNA ની એક વ્યાખ્યા આ રીતે પણ કરી શકાય:
D = Do Not be
N = Negative &
A = Agressive or Angry
સકારાત્મક વિચારોનો પ્રભાવ સારો પડતો હોય છે. ગુસ્સો, લોભ, લાલચ, ઇર્ષ્યા એ બધાં તત્વો મનના દુશ્મનો છે. બીજો અર્થ
D = Do
N = Noble Work
A = Always
હંમેશાં ઉમદા કાર્ય કરતા રહેવું. મનની નાવ હાલકડોલક થાય તો વિચારો ઘેરી વળે છે. મનની સ્થિરતા, એકાગ્રતા અને પવિત્રતા હોય તો જીવન ધન્ય બને છે. આવો, આપણે મનને જીતવા સઘન પ્રયત્નો કરીએ.
- ભરત અંજારિયા


