Get The App

છત્રપતિ શિવાજી મહારાજે જેમના ચરણોમાં રાજ-પાટ સમર્પી દીધું તે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત સમર્થ રામદાસજી

Updated: Mar 30th, 2022

GS TEAM


Google News
Google News
છત્રપતિ શિવાજી મહારાજે જેમના ચરણોમાં રાજ-પાટ સમર્પી દીધું તે મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત સમર્થ રામદાસજી 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

સ મર્થ રામદાસજી મહારાષ્ટ્રના વિખ્યાત સંત હતા. તે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ હતા. રામદાસજીનું મૂળ નામ નારાયણ હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જાંબ નામના સ્થાને ચૈત્ર સુદ નવમી-રામ નવમીએ મધ્યાહનના સમયે જ જન્મદગ્નિ ગોત્રના દેશસ્થ ઋગ્વેદી બ્રાહ્મણ પરિવારમાં ઈ. સ. ૧૬૦૮માં થયો હતો. તેમના પિતાનું નામ સૂર્યાજીપંત કુલકર્ણી હતું. તેમની માતાનું નામ રેણુકાદેવી-રાણુબાઈ હતું. સૂર્યાજી પંત સૂર્યદેવના ઉપાસક હતા અને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરતા હતા. સૂર્યનારાયણ ભગવાનની કૃપાથી સૂર્યાજી પંતને બે પુત્ર ગંગાધર અને નારાયણ હતા. ગંગાધરને બધા 'શ્રેષ્ઠ' કહેતા અને નારાયણને 'સમર્થ'. ગંગાધરે ૯ વર્ષની ઉંમરે શ્રી હનુમાનજીના પ્રત્યક્ષ  દર્શન કરી લીધા હતા. જ્યારે નારાયણે માત્ર ૮ વર્ષની ઉંમરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પ્રત્યક્ષદર્શન કરી લીધા હતા. ભગવાન શ્રીરામે સ્વયં તેમને દીક્ષા આપી હતી અને તેમનું નામ નારાયણમાંથી 'રામદાસ' રાખ્યું હતું.

લગ્ન સમયે કન્યાને મંડપમાં પધરાવવામાં આવે તે પૂર્વે મંગલાષ્ટક બોલાય છે. મંગલાષ્ટકના દરેક શ્લોકને અંતે શુભ મંગલ સાવધાન, વર-કન્યા સાવધાન એવું બોલાય છે. રામદાસના લગ્ન થઈ રહ્યા હતા ત્યારે પણ આ પ્રમાણે બોલાયું. વિધિ કરાવનારા બ્રાહ્મણો સાવધાન બોલ્યા તે વખતે જ તેમના મનમાં જ્ઞાાનનો ચમકારો થયો. તેમને વિચાર આવ્યો. આ બધા સાવધાન કેમ બોલે છે ? તે મને સાવધાન કરવા માંગે છે. મારી બ્રહ્મચારી રહેવાની આ છેલ્લી પળો છે. મામા હમણાં જ એની ભાણીને પધરાવશે. એ સાથે પુષ્પમાળા પહેરાવાશે, કન્યાદાન થશે, લાજા હોમ થશે અને ફેરા ફેરવવામાં આવશે. હું કન્યાનો પતિ બની ગૃહસ્થ થઈ જઈશ ! સાવધાન શબ્દથી રામદાસજી સાવધાન બની ગયા અને લગ્ન મંડપમાંથી ઊભા થઈ પલાયન થઈ ગયા. પગે ચાલી, પંચવટી પહોંચી ગોદા અને નંદિનીના સંગમ પર ટાફલીમાં એક ગુફામાં આસન લગાવી ભગવાન શ્રી રામનું સ્તવન કરી  તપશ્ચર્યા કરવા લાગ્યા. બાર વર્ષની ઉંમરે લગ્ન મંડપ અને ઘર છોડીને ત્યાં આવેલા રામદાસજીએ બીજા બાર વર્ષ તે ગુફામાં તપ કર્યું. ત્યાંથી તીર્થયાત્રાએ બદ્રિનાથથી રામેશ્વર સુધીના બધા મુખ્ય તીર્થ ક્ષેત્રોનું સેવન કર્યું. બાર વર્ષ સુધી તીર્થયાત્રા કરી ગોદાવરી પરિક્રમાએ નીકળ્યા. લોકો પાસેથી માતાના કષ્ટ વિશે સાંભળી પોતાના ઘેર ગયા. માતાને કપિલ ગીતાનો ઉપદેશ સમજાવી માતાની આજ્ઞાા લઈ પાછા ગોદાવરી પરિક્રમા કરવા ગયા. તે પૂર્ણ થયા બાદ તે માહુલીમાં રહેવા લાગ્યા. ત્યાં એમને મળવા અનેક સંતો આવતા. આ જ જગ્યાએ સંત તુકારામ તેમને મળવા આવ્યા હતા. જયરામ સ્વામી, રંગનાથ સ્વામી, આનંદ સ્વામી, કેશવ સ્વામી અને સમર્થ રામદાસ સ્વામી આ પાંચ મહાપુરુષોને દાસ પંચાયતન કહેવામાં આવે છે. તેમણે એકત્રિત થઈ જ્ઞાાન અને ભક્તિનો ચોમેર પ્રસાર કર્યો.

ચાફલ પાસે શિવાજી મહારાજે પ્રથમવાર સમર્થ રામદાસજીના દર્શન કર્યા. તેમણે રામદાસજીનું પોતાના ગુરુ તરીકે વરણ કર્યું. જ્યારે રામદાસજી પરલી (સજ્જનગઢ)માં રહેતા હતા ત્યારે શિવાજી વારંવાર એમના દર્શન કરવા આવવા લાગ્યા. કરંજ ગામથી પગે ચાલી રામદાસજી એક દિવસ સતારેના શિવાજીના રાજદ્વારે પહોંચી ગયા અને પોકારી ઉઠયા. જય શ્રી રઘુવીર સમર્થક શિવાજી બહાર દોડી આવ્યા અને ગુરુની ઝોળીમાં એક પત્ર પધરાવી દીધો. એમાં લખ્યું હતું - આજ સુધી મેં જે બધું પ્રાપ્ત કર્યું છે તે સમર્થ સ્વામીના શ્રીચરણોમાં અર્પણ. બીજા દિવસે શિવાજી ખભે ઝોળી લટકાવી ગુરુ રામદાસજીની પાછળ પાછળ ચાલી નીકળ્યા. કહેવા લાગ્યા- મેં મારું રાજ-પાટ, સંપત્તિ બધું તમને અર્પણ કરી દીધું છે. હવે હું તમારો અનુયાયી દાસ બની તમારી સાથે રહીશ.

સ્વામી રામદાસજીે તેમને કહ્યું - 'શિવા, સાધુ આ પત્રનું શું કરશે ? તું શાસન કરવા, પીડિતોની રક્ષા કરવા, દીન-દુખિયાને સહાય કરવા, જન્મ્યો છે કે ખભે ઝોળી લટકાવી ભિક્ષા માગવા ?' શિવાજીએ કહ્યું - 'મેં બધું તમને અર્પણ કરી દીધું. હવે રાજ્ય તમારું થઈ ગયું.' ગુરુ રામદાસજીએ કહ્યું - 'રાજ્ય મારું થઈ ગયું ને ? તો એના સ્વામી તરીકે મારી આજ્ઞાા છે કે મારા વતી તું જ રાજ્યનું સંચાલન કર.' ગુરુની આજ્ઞાાને શિવાજી કઈ રીતે નકારી શકે ? ગુરુ વતી શાસન કરતા હોય તેમ ધર્મપરાયણ બની, ન્યાય-નીતિથી ભક્તિ સાથે તે રાજ્ય વહીવટ કરવા લાગ્યા.

Tags :