પુરાણોમાં દર્શાવવામાં આવેલો ભગવાન શ્રી જગન્નાથજી અને રથયાત્રાનો મહિમા
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
નીલાચલ નિવાસાય નિત્યાય પરમાત્મને ।
બલભદ્ર સુભદ્રાભ્યાં જગન્નાથાય તે નમઃ ।।
જગદાનંદકંદાય પ્રણતાર્તહરાય ચ ।
નીલાચલનિવાસાય જગન્નાથાય તે નમઃ ।।
મોક્ષદાયિની જગન્નાથ પુરી ઓરિસ્સા (ઉડીસા) રાજ્યના સમુદ્રતટ પર વસેલી છે. ભારતના પૂર્વમાં બંગાળની ખાડીના પૂર્વ તરફના છેડે વસેલી આ દિવ્ય નગરી ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી થોડા જ અંતરે આવેલી છે. અત્યારે ઓરિસ્સા કહીએ છીએ તે પૂર્વે ઉત્કલ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. જગન્નાથ પુરી ભગવાન વિષ્ણુના ચાર ધામોમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આ ચાર ધામોમાં જુદી જુદી દિનચર્યાઓ કરે છે ઉત્તરમાં હિમાલયના બદ્રીનાથ ધામમાં ભગવાન જગન્નાથ સ્નાન કરે છે, પશ્ચિમમાં ગુજરાતના દ્વારિકા ધામમાં વસ્ત્રાભૂષણ, અલંકાર ધારણ કરી શૃંગાર (શણગાર) પ્રાપ્ત કરે છે. પૂર્વમાં પ્રસિદ્ધ જગન્નાથ પુરીમાં ભોજન કરે છે. અને દક્ષિણમાં રામેશ્વરમ્માં વિશ્રામ અને શયન કરે છે. જગન્નાથ પુરીને શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શાક ક્ષેત્ર, નીલાંચલ અને નીલગિરિ પણ કહેવાય છે. અહીં જગતના નાથ ભગવાન વિષ્ણુએ વિવિધ પ્રકારની લીલાઓ કરી હતી.
બ્રહ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં ભગવાન જગન્નાથનો મહિમા વિસ્તારથી દર્શાવવામાં આવ્યો છે. તે પ્રમાણે અહીં ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવતરિત થયા હતા અને સબર જનજાતિના પરમ પૂજનીય દેવોના દેવ બની ગયા હતા. સબર જનજાતિના દેવોના અધિપતિ હોવાથી અહીં ભગવાન જગન્નાથનું રૂપ કબીલાઓના દેવતાઓ જેવું છે. પૂર્વે કબીલાના લોકો પોતાના દેવોની મૂર્તિઓ લાકડામાંથી બનાવતા હતા. જગન્નાથ મંદિરમાં સબર જનજાતિના પૂજારીઓ સાથે બ્રાહ્મણ પૂજારીઓ પણ હોય છે. જેઠ સુદ પૂનમથી અષાઢ સુદ પૂનમ સુધી સબર જાતિના દૈતાપતિ જગન્નાથજીની બધી રીત-રસમો કરે છે.
પુરાણોનો ઇતિહાસ દર્શાવે છે કે રાજા ઇન્દ્રદ્યુમ્ન માળવાના રાજા હતા. તેમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથના દર્શન થયા હતા. અનેક ગ્રંથોમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન અને તેના યજ્ઞાના વિષયમાં વર્ણનો આવે છે. ભગવાન વિષ્ણુએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે નિલાંચલ પર્વતની ગુફામાં મારી એક મૂર્તિ છે એનું નામ નીલમાધવ છે. તમે એક મંદિર બનાવી એમાં મારી આ મૂર્તિ સ્થાપિત કરી દો. રાજાએ એમના સેવકોને નીલાંચલ પર્વત અને તેની ગુફામાં રહેલી મૂર્તિની શોધમાં મોકલ્યા. એ સેવકોમાં એક હતો બ્રાહ્મણ વિદ્યાપતિ. તેને ખબર હતી કે કબીલાના લોકો નીલમાધવની પૂજા કરે છે અને તેમણે તે મૂર્તિને નીલાંચલ પર્વતની કઈ ગુફામાં છુપાવી રાખી છે. તેણે કબીલાના મુખિયા વિશ્વવસુની પુત્રી સાથે લગ્ન કરી લીધા. પછી તેની પત્નીની સહાયથી નીલમાધવની ગુફા સુધી પહોંચી ગયો. ત્યાંથી તે મૂર્તિ તેણે ચોરી લીધી અને રાજાને આપી દીધી.
જો કે નીલમાધવ વિશ્વવસુની ભક્તિથી ગુફામાં પાછા આવી ગયા અને રાજા ઇન્દ્રદ્યુમ્નને ભરોસો આપ્યો કે તે યોગ્ય સમયે જરૂર તેમની પાસે પાછા ફરશે. પણ તેણે એમના માટે સુંદર મંદિર બનાવીને તૈયાર રાખવું પડશે. તેણે તે બનાવી પણ દીધું. પછી ભગવાને તેમને કહ્યું- મારી મૂર્તિ બનાવવા માટે દ્વારિકાથી સમુદ્રમાં તરીને પુરી તરફ આવી રહેલો વૃક્ષનો મોટો ટુકડો છે તે લઈ આવો. રાજાએ સેવકોને મોકલ્યા પણ તે બધા ભેગા મળીનેય તેને ઉઠાવી શક્યા નહીં. ભગવાને વિશ્વવસુની સહાય લેવાનું કહ્યું. તેણે એકલાએ એ ટુકડો ઉઠાવી રાજાએ બનાવેલા મંદિર સુધી પહોંચાડયો અને કારીગરોએ અથાગ અપાર પ્રયત્નો કર્યા પણ તે લાકડાને છેદીને મૂર્તિ બનાવી શકયા નહીં. છેવટે દેવ શિલ્પી વિશ્વકર્મા વૃદ્ધ કારીગરનું રૂપ લઈને આવ્યા અને કોઈ ઓરડામાં પ્રવેશે નહીં એવી શરત મૂકી મૂર્તિ બનાવવા બેઠા. એક દિવસ રાજરાણી ગુંડિચાને મૂર્તિ બનાવવાનો અવાજ ન સંભળાયો. એટલે ચિંતાતુર થઈ રાજાને આ વાત કરી. રાજાએ એ વૃદ્ધ કારીગર બીમાર તો નથી પડયો ને કે તેનું મરણ તો થઈ ગયું નથી ને તે જોવા એ ઓરડામાં પ્રવેશ કર્યો. એનાથી શરતનો ભંગ થઈ ગયો. તે કારીગર રૂપ વિશ્વકર્મા અદ્રશ્ય થઈ ગયા. રાજા-રાણીએ જોયું તો મૂર્તિઓ અધૂરી હતી. ભગવાન શ્રીકૃષ્ણ, એમના ભાઈ બલરામ અને એમની બહેન સુભદ્રાની એ અધૂરી મૂર્તિઓને ભગવાનની ઇચ્છા માનીને મંદિરમાં સ્થાપિત કરી દેવામાં આવી.
અષાઢ સુદ બીજના દિવસે આ ત્રણેય મૂર્તિઓને રથ પર બેસાડી તેમની યાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાને ભગવાનની નગરચર્યા પણ કહેવામાં આવે છે. રથયાત્રામાં સૌથી આગળના નીલધ્વજ રથ પર બળરામજી બિરાજે છે, એમની પાછળ પદ્મધ્વજ રથ પર સુભદ્રાજી બિરાજે છે, એમની પાછળ ગરુડધ્વજ રથ પર ભગવાન શ્રીજગન્નાથજી (શ્રીકૃષ્ણ) બિરાજે છે. એવી પૌરાણિક માન્યતા છે કે આ રથોને ખેંચનારા, એમાં સામેલ થનારા અને તેના દર્શન કરનારાને મરણ બાદ વૈકુંઠ કે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. એમાં સામેલ થનારને સો યજ્ઞા કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.