મહાન શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પરોપકાર વૃત્તિ
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'आत्मार्थ जीवलोकेडस्मिन् को न जीवति मानवः।
परं परोपकारार्थ यो जीवति स जीवति ।।
આ જીવલોક (જગત)માં પોતાના માટે કોણ નથી જીવતું ? પરંતુ જે પરોપકારને માટે જીવે છે, તે સાચું જીવે છે.' - સંસ્કૃત સુભાષિત
'स जीवति गुणा यस्य, धर्मो यस्य स जीवति ।
गुणधर्मविहीनो यो निष्फलं तस्य जीवनम् ।।
જે ગુણવાન અને ધર્મપરાયણ છે તે જ જીવિત છે, જે ગુણ અને ધર્મથી રહિત છે એનું જીવન નિષ્ફળ છે.' (બૃહસ્પતિ નીતિસાર-૧૭)
‘Self-interest is but the survival of the animal in us. Humanity only begins for man with self-surrender.
સ્વાર્થ આપણામાં રહેલી પરાપૂર્વની પશુતાનું અનુજીવન છે. મનષ્ય માટે માનવતાની શરૂઆત તો આત્મ-સમર્પણથી થાય છે.
- હેનરી ફ્રેડરિક એમિએલ (સ્વિસ કવિ અને તત્ત્વચિંતક)
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર ઓગણીસમી શતાબ્દીના પ્રસિદ્ધ તત્ત્વચિંતક, શિક્ષણવિદ, સમાજ સુધારક, લેખક અને પરોપકારી મહાનુભાવ હતા. તેમનું બાળપણનું નામ ઇશ્વરચંદ્ર બન્દોપાધ્યાય હતું, સંસ્કૃત ભાષા અને ચિંતન-દર્શનમાં અગાધ પાંડિત્યને લીધે વિદ્યાર્થી જીવનમાં જ સંસ્કૃત કોલેજે તેમને 'વિદ્યાસાગર' પદવી આપી દીધી હતી એટલે તે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર તરીકે ઓળખાવા લાગ્યા હતા. તેમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર ૧૮૨૦ ના રોજ પશ્ચિમ મેદિનીપુર જિલ્લા, પશ્ચિમ બંગાળમાં એક નિર્ધન ધાર્મિક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઠાકુરદાસ અને માતાનું નામ ભગવતીદેવી હતું. તેમને ગરીબો અને દલિતોના સંરક્ષક કહેવાય છે. તેમણે સ્ત્રી-શિક્ષણ અને વિધવા વિવાહને પ્રબળ વેગ અપાવ્યો તેમના પ્રયત્નોથી જ ઇ.સ. ૧૮૫૬માં વિધવા-પુનર્વિવાહ કાયદો સ્વીકૃત કરાયો હતો. તેમણે તેમના એકમાત્ર પુત્રના લગ્ન એક વિધવા સાથે જ કર્યા હતા. ઇ.સ. ૨૦૦૪માં એક સર્વેક્ષણ કરાયું એમાં એમને 'અત્યાર સુધીના સર્વક્ષેષ્ઠ બંગાળી' માનવામાં આવ્યા હતા.
એક દિવસ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર એમના મિત્ર ગિરીશચંદ્ર વિદ્યારત્ન સાથે બંગાળના કાલના ગામે જઈ રહ્યા હતા. બન્ને મિત્રો વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં તેમની નજર રસ્તા પર સૂતેલા પીડાથી કણસી રહેલા એક ગરીબ મજૂર પર પડી. તેને ચેપી રોગ કોલેરા થયો હતો. તેનું વજનદાર પોટલું રસ્તા પર પડેલું હતું. તેના કપડામાંથી દુર્ગંધ આવી રહી હતી. લોકો તેના તરફથી મોં ફેરવી દૂર જતા રહેતા હતા. કોઈ તેને મદદ કરવા તેની પાસે આવતું નહોતું. એ રોગિષ્ટ મજૂર જાતે ઊભો થઈ શકવા પણ સમર્થ નહોતો.
આ દ્રશ્ય જોઈ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું દયાળુ દિલ દ્રવીભૂત થઈ ગયું. વિદ્યાસાગર દયાના સાગર પણ હતા.પરોપકાર, સેવા-સુશ્રૃષા, સહાય કરવાની ભાવના તો તેમને ગળથૂથીથી પ્રાપ્ત થયેલી હતી. તે તેમના મિત્ર ગિરિશચંદ્રને કહેવા લાગ્યા - આ દરિદ્રનારાયણનો રોગ વકરી ગયો છે એની સેવા કરવાનો આજે આપણને અવસર મળ્યો છે તે ચૂકવો ના જોઈએ. દીન-દુઃખિયાની મદદ કરવી એ તો મોટો ધર્મ છે. ચાલો, આપણે તેની પાસે જઈ તેને મદદ કરીએ. તેની સેવા-ચાકરી કરીએ. અહીં તેનું કોઈ સગું-સંબંધી કે સ્વજન નથી તો આપણે તેના સ્વજન બનીએ.
દયાળુ, પરોપકારી ઇશ્વરચંદ્ર સાથે ગિરીશચંદ્ર પણ એ સેવાયજ્ઞામાં જોડાયા. ઇશ્વરચંદ્રે તે દુઃખિયા, કોલેરાગ્રસ્ત મજૂરને પોતાના બન્ને હાથમાં ઉચકી લીધો અને તેને પોતાની પીઠ પાછળ રાખી ચાલવા માંડયું. ગિરીશચંદ્રે તે મજૂરનું ભારે પોટલું પોતાના માથે ઉપાડી લીધું અને કાલના તરફ આગળ વધવા લાગ્યા. કાલના પહોંચી તેમણે તે મજૂર માટે રહેવાની વ્યવસ્થા કરી. એક વૈદ્યને ચિકિત્સા માટે બોલાવ્યા. ઇશ્વરચંદ્રે અને ગિરીશચંદ્રે પૂરી તન્મયતાથી તે બીમારની સેવા-શુશ્રૃષા કરી. જ્યારે તે મજૂર ત્રણ-ચાર દિવસમાં ઉઠવા-બેસવા લાયક થઈ ગયો, એનો રોગોપચાર થઈ ગયો ત્યારે તેને થોડા-ઘણા પૈસા આપી તેને ઘેર જવા માટે વિદાય કર્યો. એ મજૂરે તેમનો આભાર માન્યો પણ તેમણે તો તેને કહ્યું - અમે તને મદદ કરી છે, તારી સેવા-શુશ્રૃષા કરી છે એવું કોઈને કહીશ નહીં. એટલો ઉપકાર કરજે કે અમે તારા પર ઉપકાર કર્યો છે એવું કોઈને જણાવીશ નહીં. આને કહેવાય માનવતા.