- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'ન હિ વેરેન વેરાનિ
સમ્મન્તીધ કુદાચનં ।
અવેરેન ચ સમ્મન્તિ,
એસ ધમ્મો સનન્તનો ।।
ઘૃણાથી ઘૃણા કદી શાંત નથી થતી,
કેવળ મૈત્રી,
કરુણાથી જ શાંત થાય છે.
આ સનાતન ધર્મ છે.
- ધમ્મપદ, શ્લોક-૫
ઇધ ભિક્ખવે ભિક્ખુ કરુણાસહગતેન
ચેતસા એકં દિશં ફરેતિ...
તથા દુતિયં, તથા તતીયં,
તથા ચતુર્થં ।
ઇતિ ઉદ્યં અધો તિરિયં સબ્બધિ
સબ્બત્તતાય સબ્બાવન્તં લોકં
કરુણાસહગતેન ચેતસા
વિપુલેન મહગ્ગતેન
અપ્પમાણેન અવેરેન
અવ્યાપજ્જેન ફરેતિ ।।
ભિક્ષુ કરુણાથી ભરેલા ચિત્ત દ્વારા એક દિશામાં, પછી બીજી, ત્રીજી અને ચોથી દિશામાં, ઉપર, નીચે અને ચારે બાજુ સમસ્ત લોકમાં અસીમ, મહાન, દ્વેષરહિત કરુણાનો વિસ્તાર કરે છે.
- બ્રહ્મવિહાર (દિઘ નિકાય ૧૩, તેવિજ્જસુત્ત)
અંગુલિમાલ ભગવાન બુદ્ધના સમયમાં એક ખૂંખાર, નિર્દયી ડાકુ હતો. તે રાજા પ્રસેનજિતના રાજ્ય શ્રાવસ્તીમાં નિર્જન જંગલોમાં રહેતો હતો અને વટેમાર્ગુઓને મારી નાંખતો હતો અને એમની આંગળીઓની માળા બનાવીને પહેરતો હતો એટલે એનું નામ અંગુલિમાલ પડયું હતું. ભગવાન બુદ્ધના ઉપદેશથી તેનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને તે ડાકૂમાંથી સાધુ બની ગયો હતો.
લગભગ ઇસુથી પાંચસો વર્ષ પૂર્વે કોશલ દેશની રાજધાની શ્રાવસ્તીમાં એક બ્રાહ્મણ પુત્ર વિશે એક જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી કે આ બાળક હિંસક પ્રવૃત્તિઓ કરીને હત્યારો લૂંટારો બને એવા યોગ છે. એ એવો ન બને અને અહિંસાનું આચરણ કરનારો થાય એટલે માતા-પિતાએ એનું નામ અહિંસક રાખ્યું અને એને પ્રસિદ્ધ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવવા મોકલ્યો. અહિંસક અત્યંત મેઘાવી વિદ્યાર્થી હતો અને આચાર્ય, ગુરૂનો પ્રિય પણ હતો. કેટલાક સહપાઠીઓ ઇર્ષાળુ હતા તેમાંથી અહિંસકની પ્રગતિ અને ગુરુનો તેના પર કરાતો વિશેષ ભાવ જોવાતો ન હતો. ગુરુની જેમ ગુરુ પત્ની પણ અહિંસક માટે શુદ્ધ સ્નેહભાવ રાખતા હતા. અહિંસકને ખરાબ બતાવવા એ ઇર્ષાળુ સહપાઠીઓએ ગુરુને કહ્યું કે અહિંસક ગુરુમાતા તરફ કુદ્રષ્ટિ રાખે છે. આ સાંભળી ગુરુ ગુસ્સે ભરાયા અને અહિંસકને કહ્યું - તારામાં બ્રાહ્મણ પુત્ર કહેવડાવવાની યોગ્યતા નથી. મારું અંતિમ શિક્ષણ ત્યારે જ પુરું થશે જ્યારે તું એક હજાર વ્યક્તિઓની આંગળીઓ કાપીને મારી પાસે આવીને બતાવશે. એના કારણે તે હત્યારો બનીને લોકોને મારી, એમની આંગળીઓ કાપી તેની માળા બનાવીને પહેરતો હતો.
એકવાર ભગવાન બુદ્ધ શ્રાવસ્તી નગરની પાસે જેતવનમાં અનાથપિંડિકાના મઠમાં રોકાયા હતા. એ દરમિયાન એક દિવસ બપોરના સમયે તે જંગલમાં જવા તૈયાર થયા. તેમણે અંગૂલિમાલ ડાકૂ વિશે સાંભળ્યું હતું. લોકોએ તેમને રોક્યા કે તમે તે જંગલમાં ન જશો. અંગુલિમાલ ક્રૂર, ઘાતકી હત્યારો છે. તેમ છતાં ભગવાન બુદ્ધ તેને સુધારવા માંગતા હતા એટલે નિર્ભીક બનીને તે જંગલમાં ગયા. તે અત્યંત શાંત ભાવે જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યાં પાછળથી કર્કશ અવાજ આવ્યો - 'એ સાધુ, ઊભો રહી જા. આગળ ના વધીશ.' પણ બુદ્ધ ચાલતા જ રહ્યા. અંગુલિમાલે મોટો બરાડો પાડી બુદ્ધને અટકી જવાનો આદેશ કર્યો - 'જો એક ડગલું પણ આગળ વધીશ તો મારું આ શસ્ત્ર જોયું છે ? તેનો હું વાર કરીશ.'
ભગવાન બુદ્ધ ચાલતા અટકી ગયા અને તેના તરફ પાછા વળીને કહેવા લાગ્યા - 'હું તો અટકી ગયો. પણ તું આ બધાથી ક્યારે અટકીશ ? અંગુલિમાલે બુદ્ધના ચહેરા તરફ જોયું તો તેના પર જરાય ડર દેખાતો નહોતો. તેમના મુખ પર પ્રગાઢ શાંતિ અને આંખોમાં કરુણા દેખાતા હતા. તેણે બુદ્ધને કહ્યું - હે સંન્યાસી, તને ડર નથી લાગતો ? મેં સેંકડો લોકોને મારી એમની આંગળીઓની માળા પહેરી છે. ભગવાન બુદ્ધે કહ્યું - 'શું તું ખરેખર શક્તિશાળી છે ?' તેણે કહ્યું - 'હા, પ્રચંડ શક્તિશાળી છું. એક ઘા અને બે કટકા.' બુદ્ધે કહ્યું - 'તો સામેના ઝાડની એક ડાળી તોડીને લાવ. તેણે સરળતાથી એક ડાળી તોડી બુદ્ધને આપી. બુદ્ધે કહ્યું - 'આ તો કોઈપણ શસ્ત્ર ધરાવનાર કરી શકે. તું ખરેખર શક્તિશાળી હોય તો જે કોઈ ના કરી શકે એ કરી બતાવ. આ ડાળીને પાછી ઝાડ પર જોડી દે. તું લોકોની હત્યા કરી એમનું જીવન લઈ લે છે એ સાચી શક્તિ નથી. તું કોઈને જીવન આપી શકે, કોઈ મરતાને બચાવી શકે તો વધારે શક્તિશાળી કહેવાય.' આ સાંભળી અંગુલિમાલનું હૃદય પરિવર્તન થઈ ગયું. તે બુદ્ધના ચરણોમાં પડી ગયો. તે ડાકૂમાંથી સાધુ-સંન્યાસી બની ગયો.


